‘આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં, લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. ઉત્તરાયણ 1 વર્ષ પછી પણ ઉજવી શકીશું’: HC

‘આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં, લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. ઉત્તરાયણ 1 વર્ષ પછી પણ ઉજવી શકીશું’: HC

હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો અને સ્થિતિ ડહોળાઈ હતી, તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે.

હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.

અરજદારે આ અરજીની અરજન્ટ સુનાવણી માટે હાઈકોર્ટમાં વિનંતી કરી હતી. જો કે, હાલ તો હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરી નથી, પરંતુ અરજીમાં રજૂ કરાયેલી વાતને ગંભીરતાથી ધ્યાને લીધી છે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે, રાજ્યમાં મકરસંક્રાતિ એ મહત્વનો તહેવાર છે અને લોકો મોટા પાયા પર તેની ઉજવણીમાં જોડાતા હોય છે. આ અંગે રાજ્ય સરકારે એસઓપી બહાર પાડવી જોઈએ.

નાઈટ કરફ્યૂથી અમદાવાદને ફાયદો થયો : હાઈકોર્ટ

કોરોના અંગે થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને પુછયું હતું કે શું જાન્યુઆરી મહિનામાં નાઈટ કરફ્યું ચાલુ રાખશો. આ સમયે, સરકારની રજૂઆત હતી કે, આ મુદ્દા પર રાજ્યના ઉચ્ચ અધિકારીઓની કમિટી નિર્ણય લેશે.

આ પછી, હાઈકોર્ટે તેનો મત વ્યક્ત કર્યો હતો કે નાઈટ કરફ્યુના લીધે સ્થિતિ સુધરી છે.જેથી, નાઈટ કરફ્યું ચાલુ રહે તો સારુ રહેશે. હાઈકોર્ટે રાજ્યના આરોગ્ય વિભાગના સચિવને આદેશ કર્યો છે કે, કોરોનાની સ્થિતિ અંગે જવાબ રજૂ કરો.