UN પ્રમુખે ફરી ચેતવણી આપી:જો દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં નહીં આવે તો નવા વેરિયન્ટ આવતા જ રહેશે અને જનજીવન ઠપ થતું જ રહેશે

UN પ્રમુખે ફરી ચેતવણી આપી:જો દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં નહીં આવે તો નવા વેરિયન્ટ આવતા જ રહેશે અને જનજીવન ઠપ થતું જ રહેશે

 
  • ગુટેરેસે કહ્યું- લોકોને અને અર્થવ્યવસ્થાને પણ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી રહ્યો છે
  • UNના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વના નેતાઓને 2022ને સુધારાની યોગ્ય તક બનાવવા હાકલ કરી છે. તેમણે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીનો સામનો સમાનતા અને નિષ્પક્ષતાથી કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતું કે જ્યાં સુધી આપણે વિશ્વની દરેક વ્યક્તિનું વેક્સિનેશન કરવામાં નિષ્ફળ રહીશું ત્યાં સુધી કોરોનાના નવા વેરિયન્ટ આવતા જ રહેશે. આ વેરિયન્ટ લોકોના જીવન અને અર્થવ્યવસ્થાને સ્થગિત કરવાનું ચાલુ જ રાખશે.

    ગુટેરેસે મહામારી સામે લડવા માટે એકસાથે ઊભા રહેવા આહવાન કર્યું
    ગુટેરેસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 2022 મીટિંગના ઉદઘાટન સત્રને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતી વખતે આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી એક સરળ પણ કડવું સત્ય દર્શાવે છે કે જો આપણે કોઈને પણ પાછળ છોડીએ છીએ, તો આપણે બધાને પાછળ છોડી દઈએ છીએ. તેમણે વર્ષ 2022ને સુધારવા માટે મહામારી સામે લડવા માટે એકસાથે ઊભા રહેવાનું આહવાન કર્યું છે.

    આર્થિક સુઘારા માટે દરેકના સહયોગની જરૂર છે
    વર્લ્ડ ઈકોનોમિક ફોરમની આ બેઠક કોરોના મહામારીના નવા ઓમિક્રોન વેરિયન્ટના ફેલાવા વચ્ચે મળી છે. આને કારણે વિશ્વભરના લોકોને અને અર્થવ્યવસ્થાને પણ મુશ્કેલ સમયનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુટેરેસે તેમના ભાષણમાં આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને વૈશ્વિક ઉદ્યોગપતિઓને વિનંતી કરી હતી કે અમને રિકવરી અને આર્થિક સુધારા માટે દરેકના સહયોગની જરૂર છે.

  • 54 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે
    તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ મહામારી સામે સમાનતા અને નિષ્પક્ષતા સાથે લડવું જોઈએ. આ મહામારી છેલ્લાં બે વર્ષથી સમગ્ર વિશ્વમાં માથું ઊંચકી રહી છે અને એને કારણે 30.40 કરોડ લોકો સંક્રમિત થયા છે અને 54 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

    આપણે દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં નિષ્ફળ રહીશું તો નવા વેરિયન્ટ આવતા જ રહેશે
    યુએન સેક્રેટરી જનરલે ગુસ્સામાં કહ્યું હતું કે એ શરમજનક છે કે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વેક્સિનેશનનો દર આફ્રિકન દેશો કરતાં સાત ગણો વધારે છે. જો આપણે દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં નિષ્ફળ રહીશું તો નવા વેરિયન્ટ આવતા જ રહેશે અને લોકોના રોજિંદા જીવન અને અર્થવ્યવસ્થાને વિક્ષેપ કરતા જ રહેશે.

    ઓમિક્રોન ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે
    તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને સંક્રમણનો દર પણ વધી રહ્યો છે. એનાથી દેશોની આરોગ્ય વ્યવસ્થા પર બોજો વધે છે. તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી કે ગયા વર્ષના અંત સુધીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના તમામ દેશોમાં 40 ટકા લોકો અને આ વર્ષના મધ્ય સુધીમાં 70 ટકા લોકોને વેક્સિન આપવાના લક્ષ્ય સુધી પણ આપણે પહોંચી શક્યા નથી.