કોરોના વકર્યો, નિયંત્રણો કડક:ઓમિક્રોનના 30 કેસ વચ્ચે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 1ના બદલે 11થી સવારના 5 સુધી કર્ફ્યૂ, ન્યૂયર સેલિબ્રેશન ઘરમાં જ કરવું પડશે

કોરોના વકર્યો, નિયંત્રણો કડક:ઓમિક્રોનના 30 કેસ વચ્ચે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 1ના બદલે 11થી સવારના 5 સુધી કર્ફ્યૂ, ન્યૂયર સેલિબ્રેશન ઘરમાં જ કરવું પડશે

​​રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે. આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જોકે 20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ રાજ્યમાં હાલ ઓમિક્રોનના 30 કેસો છે, જ્યારે સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.

આ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય બદલાયો
સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

સરકારનું જાહેરનામું

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે
  • રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
  • કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું

રાજ્યમાં 6 મહિના પછી એક દિવસમાં 100થી વધુ નવા કેસ
રાજ્યમાં ગઈકાલે 180 દિવસ પછી કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા હતા. ગુરુવારે 111 નવા કેસ નોંધાયા હતા તથા 2 કોરોના દર્દીના મોત નીપજ્યાં હતાં. સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 30 થયા હતા. વડોદરામાં એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાયા હતા. કેસોમાં વધારો થતા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે ફરી કડક નિયંત્રણો લાગુ કરવાની તૈયારીઓ આરંભી છે. ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં અપાયેલી છૂટછાટો ઓછી કરીને નિયંત્રણો લાદવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ક્યારે ક્યારે કર્ફ્યૂનો સમય બદલાયો?
બીજી લહેરના સમયે એટલે કે એપ્રિલમાં રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ મે મહિનામાં કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપીને 9 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કર્ફ્યૂ કર્યો હતો. ત્યાર બાદ કોરોના હળવો થતાં રાત્રિ કર્ફ્યૂ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. ત્યાર બાદ જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારોને લઇને નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. જેમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યે અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્યો હતો. દિવાળી તહેવારો નજીક આવતા રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

  • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
  • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
  • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
  • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
  • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
  • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
  • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
  • ઘરગથ્થુ ટિફિન સર્વિસિસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
  • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
  • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
  • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
  • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
  • ખાનગી સિક્યોરિટી સેવા
  • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
  • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
  • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
  • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
  • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • સંબંધિત પોલીસ કમિશનરો/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે