IPLમાં અમદાવાદ ટીમના માલિક CVC કેપિટલ અને લખનઉ ટીમના માલિક સંજીવ ગોયેન્કા કોણ છે તે જાણો

IPLમાં અમદાવાદ ટીમના માલિક CVC કેપિટલ અને લખનઉ ટીમના માલિક સંજીવ ગોયેન્કા કોણ છે તે જાણો

  • CVC કેપિટલ રૂપિયા 56 હજાર કરોડની નેટવર્થ, વિશ્વભરમાં 3 લાખથી વધુ લોકો જોડાયેલા છે
  • સંજીવ ગોયેન્કા સૌથી યુવા વયે વર્ષ 2001માં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)ના અધ્યક્ષ બનેલા

દુબઈની હોટેલ તાજમાં સોમવારે યોજાયેલી બિડમાં છેવટે વર્ષ 2022માં યોજાનારી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)માં અમદાવાદ અને લખનઉની ટીમ અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ બિડમાં 10 જેટલા પક્ષકારોએ ભાગ લીધો હતો, જેમની સમક્ષ અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાલા, ગુવાહાટી તથા ઈંદોરની ટીમ અંગે વિકલ્પો આપવામાં આવ્યા હતા. પણ છેલ્લે અમદાવાદ અને લખનઉ પર મંજૂરીની મહોર લાગી. આ બન્ને ટીમની માલિકી મેળવનાર સંજીવ ગોયેન્કા અને લંડનની ઈન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ ગ્રુપ કોણ છે અને તેઓ કઈ કામગીરી સાથે જોડાયેલા તે અંગે ચર્ચા કરશું.

CVC કેપિટલ્સ ગ્રુપની પસંદગી અમદાવાદ ટીમ પર
આમ તો અદાણી ગ્રુપ અમદાવાદ ટીમ માટે સૌથી પ્રબળ દાવેદાર હતું, પણ CVC કેપિટલ્સ ગ્રુપે બાજી પોતાના નામે કરી લીધી. લંડનની ઈન્વેસ્ટમેન્ટ કંપની CVC કેપિટલ્સ ગ્રુપે રૂપિયા 5,166 કરોડની બિડ સાથે IPL માટે અમદાવાદ ટીમનો માલિકી હક મેળવી લીધો. આ સાથે સૌથી રસપ્રદ બાબત એ છે કે CVCએ અમદાવાદની ટીમ ખરીદી લેતા વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ તેનો દબદબો વધશે. આ સ્ટેડિયમ આશરે દોઢ લાખ લોકોની ક્ષમતા ધરાવે છે અને વિશ્વની સૌથી શ્રેષ્ઠ આધુનિક સુવિધાથી સજ્જ છે.

કોણ છે CVC કેપિટલ્સ ગ્રુપ
CVC કેપિટલ્સ ગ્રુપ લંડનના લક્ઝમ્બર્ગ સ્થિત એક અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. તેની શરૂઆત વર્ષ 40 વર્ષ અગાઉ 1981માં થઈ હતી. આ કંપનીનું વડુમથક લક્ઝમબર્ગમાં છે અને મેઇન ઓફિસ લંડનમાં છે. કંપની રૂપિયા 56 હજાર કરોડની નેટવર્થ અને વિશ્વભરમાં 3 લાખથી વધારે લોકો કંપની સાથે જોડાયેલા છે. કંપનીએ 73 જેટલી કંપનીઓમાં રોકાણ કરેલું છે અને છેલ્લા 40 વર્ષમાં પાંચ લાખ કરતાં વધારે રોકાણ કરી ચુકી છે.

રમત-ગમત ક્ષેત્રમાં તેણે ફોર્મ્યુલા વનમાં પણ વર્ષ 2006થી વર્ષ 2017 દરમિયાન માલિકી ધરાવતી હતી. આ ઉપરાંત ગ્રુપે સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગા (LaLiga)માં પણ રોકાણ કરેલું છે. તેમ જ આ કંપનીએ 6 દેશની રગ્બી લીગમાં પણ હિસ્સેદારી ખરીદી છે.

કોણ છે સંજીવ ગોયેન્કા
સંજીવ ગોયેન્કાની RPSG ગ્રુપે IPL 2022 લખનઉની ટીમ ખરીદી છે, આ માટે સૌથી ઊંચી રૂપિયા 7090 કરોડની બિડ કરવામાં આવી હતી. સંજીવ ગોયેન્કા દેશના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમનું ગ્રુપ RP-સંજીવ ગોયેન્કા ગ્રુપ મુખ્યત્વે 6 મોટા ઉદ્યોગોમાં કાર્યરત છે. આ 6 ગ્રુપમાં વીજળી અને ટેકનોલોજી સંશાધન, મીડિયા તથા એન્ટરટેઇનમેન્ટ, શિક્ષણ તથા IT,સારેગામા ઈન્ડિયા અને ફિલીપ્સ કાર્બન બ્લેક સાથે જોડાયેલ છે.

ગોયેન્કાના આ સંગઠનમાં 50 હજારથી વધારે લોકો કામ કરે છે અને તેમની પાસે 4.3 અબજ ડોલરની નેટવર્થ છે.60 વર્ષિય સંજીવ ગોયેન્કા ગ્રુપના અધ્યક્ષ છે. વર્ષ 2001માં તેઓ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)ના અધ્યક્ષ બન્યા હતા, તે સમયે તેઓ સૌથી યુવા અધ્યક્ષ હતા. તેઓ IIT ખડગપુરમાં બોર્ડ ઓફ ગવર્નર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન વ્યાપાર અને ઉદ્યોગ પરિષદના સભ્ય પણ રહી ચુક્યા છે.