સાવધાન : અમદાવાદમાં ઉકાળાના અતિરેકથી આંતરડા અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં 25 થી 30 ટકાનો વધારો

સાવધાન : અમદાવાદમાં ઉકાળાના અતિરેકથી આંતરડા અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં 25 થી 30 ટકાનો વધારો

  • યોગ્ય માત્રામાં ઉકાળા વ્યક્તિની ઈમ્યુનિટી વધારે છે,પરંતુ વધુ પડતાં પ્રમાણમાં લેવાથી શરીરને નુકસાન કરે છે
  • સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ વાંચી આડેધડ સેવન કરવા સામે ડોક્ટરો અને વૈદ્યોની લાલબત્તી
  • આયુર્વેદના નિષ્ણાત વૈદ્યોના મતે શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ઉકાળાનું પ્રમાણ નક્કી કરવું જોઈએ

કોરોનામાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો વિવિધ પ્રકારનાં ઉકાળાનું સેવન કરે છે પરંતુ કેટલાક લોકોએ વધુ પડતાં પ્રમાણમાં ઉકાળા લેવાનું શરૂ કરતાં આંતરડા અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં 25થી 30 ટકાનો વધારો થયો હોવાનું ડોક્ટરોનું કહેવું છે. કોઇપણ પ્રકારના ઉકાળાનું સેવન વ્યક્તિની પ્રકૃતિને ધ્યાનમાં રાખી ચોક્કસ માત્રમાં આયુર્વૈદિક તજજ્ઞની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ તેમ આયુર્વેદના નિષ્ણાત વૈદ્યોનું કહેવું છે.

કિસ્સો-1: દિવસમાં બે વાર ઉકાળા પીધા પછી પેટમાં બળતરા
સેટેલાઇટમાં રહેતી અને એસીડીટીથી પીડાતી મેઘા વ્યાસ કોરોનાથી બચવા લૉકડાઉનમાં દિવસમાં બે વાર ઉકાળા પીતી હતી, પણ બે મહિના બાદ તેને અચાનક ઊલટી-ઉબકાની સાથે પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો, ડોકટર પાસે જતાં શરૂમાં દવા આપી પણ કોઇ ફેર ન પડતાં વિવિધ ટેસ્ટ કર્યા બાદ પેટમાં ચાંદા પડ્યાનું નિદાન થયું અને ત્યારબાદ બે અઠવાડિયા સુધી સારવાર કરાવી. (નામ બદલ્યું છે)

કિસ્સો-2: પ્રકૃતિ વિરુદ્ધ વધુ પડતાં સેવનથી ઝાડા થઈ ગયા
નારણપુરામાં રહેતા ચિરાગ સોલંકીએ કોરોનાથી બચવા સોશિયલ મીડિયાના મેસેજ વાંચી દિવસમાં ત્રણ વાર ઉકાળા પીવાનું શરૂ કર્યું, શરૂમાં તો તેને ઘણું સારુ લાગ્યું પણ ત્યારબાદ ઝાડા થયા, જેથી કોરોનાનો ટેસ્ટ કરાવતા નેગિટિવ આવ્યો. વૈદ્યની સલાહ લેતાં પ્રકૃતિ વિરુદ્ધ ઉકાળાના વધુ પડતાં સેવનની અવળી અસર થયાનું નિદાન થયું અને ઉકાળા બંધ કરાવાયા. (નામ બદલ્યું છે)

કિસ્સો-3: પેટમાં ચાંદા પડવાને લીધે હોસ્પિ.માં દાખલ થવું પડ્યું
એસીડીટીથી પીડાતી 50 વર્ષીય નયનાબેન પરમારે કોરોનાકાળમાં ઉકાળા પીવાનું શરૂ કર્યા બાદ પેટમાં અસહ્ય દુખાવો અને બળતરાની તકલીફ થતાં એન્ડોસ્કોપીમાં પેટ અને આંતરડામાં ચાંદા પડ્યાનું નિદાન થયું. એસીડીટીની તકલીફની સાથે ઉકાળાના અતિરેકે આગમાં ઘી હોમવાનું કામ કર્યુ હતું. જેથી બે દિવસ દાખલ કરીને 15થી 20 દિવસ ચાંદા રુઝાવાની દવા કરવી પડી. (નામ બદલ્યું છે)

ગયા વર્ષે એક પણ કેસ ન હતો
પેટના રોગોનાં નિષ્ણાંત અને સર્જન ડો. અવિનાશ ટાંકના જણાવ્યા અનુસાર ઇમ્યુનિટી વધારવા લોકો ઉકાળા પીએ છે પણ તેનું ચોક્કસ પ્રમાણ રાખતા નથી. લોકો કોરોનાના ડરને કારણે જરૂર કરતાં વધુ માત્રામાં ઉકાળા પીએ છે. જેથી પેટમાં ચાંદા, આંતરડામાં સોજાની તકલીફ 25થી 30 ટકા વધી છે. ગત વર્ષે આવા એક પણ કેસ ન હતા.

દરેકની પ્રકૃતિને અનુકૂળ ન આવે
વૈદ્ય પ્રવીણ હિરપરાએ કહ્યું- દરેકમાં કફ,વાત્ત, પિત્ત, કફ-પિત્ત, વાયુ-પિત્ત, વાયુ-કફ અને સમ જેવી પ્રકૃત્તિ હોય છે. કોઇ એક ઔષધિ સાતેય પ્રકારની પ્રકૃતિને અનુકુળ આવતી નથી. જેથી નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.