PM મોદી અને અમિત શાહ સામેનો ૧૦ કરોડ ડોલરનો કેસ અમેરિકી કોર્ટે ફગાવ્યો

PM મોદી અને અમિત શાહ સામેનો ૧૦ કરોડ ડોલરનો કેસ અમેરિકી કોર્ટે ફગાવ્યો

। વોશિંગ્ટન ।

અમેરિકાની એક અદાલત દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરવામાં આવેલા ૧૦ કરોડ ડોલરના એક કેસને ફગાવી દેવામાં આવ્યો હતો. એક અલગાવવાદી કાશ્મીર-ખાલિસ્તાન જૂથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરજદારો કેસની સુનાવણી દરમિયાન બે વખત ગેરહાજર રહેવાના કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કેસ ફગાવી દીધો હતો. હ્યુસ્ટનમાં ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ યોજવામાં આવેલા હાઉડી મોદી કાર્યક્રમ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભારતીય સંસદના એક નિર્ણયને પડકારવા માટે કરવામાં આવ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરી દેવાયો હતો.

કલમ ૩૭૭ રદ કરવાના સંસદ અને ભારત સરકારના નિર્ણય સામે વળતરની માગ કરી હતી

અરજદારો દ્વારા PM મોદી, શાહ અને લે.જનરલ કંવલજિત સિંહ ઢિલ્લોં સામે કેસ કરવામાં આવ્યો હતો. સંસદ અને સરકારના જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૭ રદ કરવાના નિર્ણયની સામે ૧૦ કરોડ ડોલરના વળતરની માગ કરાઇ હતી. ઢિલ્લોં હાલમાં ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર છે અને સીડીએસ સાથે કામ કરે છે. આ કેસ અંગે ટેક્સાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જણાવ્યું હતું કે, કાશ્મીર ખાલિસ્તાન રેફરેન્ડમ ફ્રન્ટ દ્વારા આ કેસને આગળ વધારવા માટે કોઈ પગલાં લીધાં નહોતાં કે તેઓ સુનાવણીમાં હાજર પણ રહ્યા જ નહોતા.