રેપનો આરોપ લગાવ્યો, 3 લાખ લઈને કોર્ટમાં યુ-ટર્ન:આવું MPમાં થાય છે, કારણ કે કેસ ખોટો હોય તોપણ વળતરની રકમ આપવી પડે છે

રેપનો આરોપ લગાવ્યો, 3 લાખ લઈને કોર્ટમાં યુ-ટર્ન:આવું MPમાં થાય છે, કારણ કે કેસ ખોટો હોય તોપણ વળતરની રકમ આપવી પડે છે

મધ્યપ્રદેશમાં સરકારી વળતર મેળવવા માટે રેપ કેસની ફરિયાદ કરવામાં આવે છે. આ સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થશે, પરંતુ આ વાત એકદમ સાચી છે. હકીકતમાં MPમાં રાજ્ય સરકાર SC-ST એટ્રોસિટી એક્ટ અંતર્ગત પીડિત મહિલાને 4 લાખ રૂપિયાનું વળતર આપે છે. આ વળતર મેળવવા માટે અહીં ખોટા કેસ પણ દાખલ કરાવવામાં આવે છે. ભાસ્કર તપાસમાં આવા કેસની ચોંકાવનારી માહિતી સામે આવી છે, જે અમે તમારી સામે રજૂ કરીએ છીએ.

ખોટા રેપ કેસની વાત ક્યાંથી શરૂ થઈ
MPમાં આવેલા સાગરની એક મહિલાએ એક વ્યક્તિ પર દીકરીના નામે ખોટો રેપ કેસ દાખલ કર્યો. આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેને જેલ મોકલવામાં આવ્યો. જ્યારે કેસની સુનાવણી થઈ ત્યારે દલિત મહિલાએ ટ્રાયલ કોર્ટમાં સ્વીકાર્યું કે સામાન્ય ઝઘડામાં તેણે આરોપી પર સગીર દીકરીના નામે ખોટો રેપ કેસ દાખલ કરાવ્યો હતો.
જ્યારે કેસ જબલપુર હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે 17 મે 2022 હાઈકોર્ટે આરોપીને જામીન તો આપી દીધા અને કહ્યું, ટ્રાયલ કોર્ટે રેપ પીડિતને મળેલું વળતર પણ પરત કરવા કહ્યું.

વળતરના ગણિતને સમજો
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલા સાથે રેપ થતાં રાજ્ય સરકાર 4 લાખનું વળતર આપે છે. કેસમાં FIR દાખલ થતાં એક લાખ અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં 2 લાખ રૂપિયા આપવામાં આવે છે, એટલે કે આરોપીને સજા થાય એ પહેલાં જ પીડિતાને 3 લાખ રૂપિયા વળતર આપવામાં આવે છે.
જો આરોપીને સજા થાય તો પીડિતને વધુ એક લાખ રૂપિયા આપવામાં આવે છે. સજા ના થાય તોપણ પહેલાં આપેલું વળતર પરત લેવામાં આવતું નથી. આ સુવિધા માત્ર SC-ST વર્ગને જ મળે છે, અન્યને નહીં.

વળતર મળ્યા પછી નિવેદન બદલાઈ જાય છે
આંકડા જણાવે છે કે SC-ST એટ્રોસિટી એક્ટ અંતર્ગત રેપ કેસમાં દર 5માંથી 4 આરોપી નિર્દોષ છૂટી જાય છે, એટલે કે માત્ર 20 ટકા કેસમાં જ સજા થાય છે. જ્યારે પીડિતને મળનારું વળતર 100 ટકા કેસમાં આપી દેવામાં આવે છે. કેસ નોંધાવા અને સજા મળવાના કેસમાં આટલી મોટી રકમનું સરકારી વળતર આપવામાં આવે છે.

આ કેસને વિસ્તારથી સમજ્યા ત્યારે ખબર પડી કે ઘણા રેપ કેસમાં રેપ પીડિત ત્રણ લાખ વળતર મળ્યા પછી કોર્ટમાં તેનું નિવેદન ફેરવી દે છે. તેઓ FIR અને ચાર્જશીટ દાખલ થવા સુધીનું વળતર લઈ લે છે અને પછી કોર્ટમાં કહી દે છે કે રેપ થયો જ નથી અથવા પછી દબાણમાં રેપની ફરિયાદ નોંધાવાની વાત કરી દે છે.

છ વર્ષમાં 490 કરોડનું વળતર
એટ્રોસિટી એક્ટમાં 47 કેટેગરીમાં વળતરની જોગવાઈ છે. MPમાં છેલ્લાં છ વર્ષમાં દરેક કેટેગરીમાં થઈને 43 હજાર 560 કેસમાં રૂ. 490 કરોડથી વધારે રકમનું વળતર આપવામાં આવ્યું છે. આ દરમિયાન સજા માત્ર 5,710 કેસમાં થઈ છે. માત્ર રેપ કેસની વાત કરીએ તો 5,225 કેસમાં 96 કરોડની મદદ કરવામાં આવી છે, પરંતુ સજા 21% કેસમાં જ થઈ છે. ગયા વર્ષે તો સજાની એવરેજ 12% જ હતી.

લિવ-ઈન કેસમાં પણ રેપની FIR
મધ્યપ્રદેશ પોલીસ કાર્યાલયમાં અનુસૂચિત જાતિ-જનજાતિ ક્રાઈમ બ્રાન્ચના ADG રાજેશ ગુપ્તા ઉદાહરણ આપતા સમજાવે છે કે જબલપુર રીજનમાં એક મહિલા અને એક પુરુષ લિવ-ઈનમાં રહે છે. તેમનાં બે બાળકો પણ છે. મહિલાએ પોલીસને કહ્યું, પુરુષ લગ્નનો ઈનકાર કરે છે. તેથી રેપની ફરિયાદ નોંધવામાં આવે. મહિલાની ફરિયાદને કારણે પોલીસને FIR નોંધવી પડી. 2016માં કાયદો બદલાયો ત્યારે લોકોમાં અવેરનેસ આવી.

વળતર માટે આવી ઘટનાઓ આખા રાજ્યમાં નથી થતી
આ કેસમાં મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિ પંચના સભ્ય પ્રવીણ અહિરવારે જણાવ્યું હતું કે વળતર પીડિત પરિવાર માટે જરૂરી છે, પણ મને નથી લાગતું કે પૈસા માટે કોઈને ફસાવવાની ઘટના આખા રાજ્યમાં થાય છે. 99 ટકા કેસ એવા આવે છે, જેમાં ખરેખર અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોને પરેશાન કરવામાં આવે છે. અપમાનિત કરવામાં આવે છે અને તેમનું શોષણ કરાય છે. જો આવો કેસ બને ત્યારે આરોપીને સજા પણ મળે છે. તેથી કાયદાનો દુુરુપયોગ થાય છે એવું અમે નથી કહેતા.

સરકાર તરફથી દમદાર વકીલાત નથી કરાતી
આદિવાસી નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય હીરાલાલ અલાવાનું કહેવું છે કે કોર્ટમાં આદિવાસી મહિલાઓનો પક્ષ રજૂ કરવા માટે સરકાર તરફથી દમદાર વકીલાત નથી કરાતી. બીજી વાત એટ્રોસિટી એક્ટ લગાવ્યા પછી તપાસની પ્રક્રિયા એટલી લાંબી કરી દેવામાં આવી છે કે ત્યાં સુધીમાં પીડિત મહિલાને કોઈ ને કોઈ લાલચ કે દબાણ કરીને કેસ પરત ખેંચવા માટે મનાવી લેવામાં આવે છે, તેથી આવા કેસમાં બહુ ઓછા આરોપીઓને સજા થાય છે. હકીકતમાં સરકાર દલિતોને ન્યાય અપાવવા જ નથી ઈચ્છતી.

વસતિની સરખામણીએ SC-ST વિરુદ્ધ ઓછા કેસ
મધ્યપ્રદેશમાં 53 હજાર ગામ છે, એમાંથી 45 હજાર ગામડાંમાં SC-ST વર્ગની કોઈ FIR નથી. એક્સપર્ટનું કહેવું છે કે જો તમે SC-STના ગુના દેખો છો તો તમારે એ પણ જોવું પડશે કે રાજ્યમાં તેમની સંખ્યા અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે. રાજ્યમાં તેમની સામે થયેલા ગુના તેમની વસતfની સરખામણીએ ઓછા છે.

( Source - Divyabhaskar )