ખંભાતમાં ખાખીની માનવતા:કેન્સરની સારવાર માટે મહિલા દારૂનો અડ્ડો ચલાવતી હતી, પોલીસે રેઇડ પાડી પણ સમગ્ર હકીકતની જાણ થતા અમદાવાદ સારવાર માટે મોકલી

ખંભાતમાં ખાખીની માનવતા:કેન્સરની સારવાર માટે મહિલા દારૂનો અડ્ડો ચલાવતી હતી, પોલીસે રેઇડ પાડી પણ સમગ્ર હકીકતની જાણ થતા અમદાવાદ સારવાર માટે મોકલી

 
  • દારૂના અડ્ડા પર રેઈડ કરવા ગયેલી ખંભાત ગ્રામ્ય પોલીસે હકીકત જાણી મહિલાને સારવાર અર્થે અમદાવાદ ખસેડી
  • ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી એક એવી ઘટના જેણે પોલીસને ખરા અર્થમાં રક્ષક તરીકે સાબિત કરી છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો પોલીસનો કાયદાકીય કાર્યવાહી કરતા એક ચહેરાથી જ વાકેફ હોય છે પરંતુ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં છેલ્લાં દોઢ બે વર્ષથી ફરજ બજાવતા પીઆઈ આર.એન. ખાંટની ભૂમિકાએ બીજા એક ચહેરાનો પણ પ્રકાશમાં લાવ્યો છે અને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

    પતિના છૂટક મંજૂરી પર 4 જણનો પરિવાર નિર્ભર
    સમગ્ર બનાવની હકીકત કંઈક એવી છે કે, ખંભાત તાલુકાના કણઝટ ગામે સીમ વિસ્તારમાં ઈન્દિરા કોલોનીમાં 27 વર્ષીય જ્યોત્સનાબેન ઠાકોર પતિ પોપટભાઈ ઠાકોર સાથે રહે છે. તેમની પાંચ વર્ષીય દીકરી જાનકી અને ત્રણ વર્ષીય દીકરો મેહુલ છે. પતિના છૂટક મજૂરી પર નિર્ભર પરિવાર જીવન ગુજારતા હતા.

    કેન્સરની સારવારમાં બધું વેચાઈ ગયું
    અચાનક ત્રણ વર્ષ પૂર્વે જ્યોત્સનાબેનના જમણાં પગે બિમારી લાગી હતી. ધીમે-ધીમે જમણાં પગના ઘૂંટણના ભાગે ભયાનક સોજો આવી ગયો હતો. અને અસહ્ય દુઃખાવાના કારણે મહિલાને નીચે અડીને પગ પણ મૂકી શકાતું ન હતું. બિમારીમાં છુટકારો મેળવવા પરિવાર અનેક ખાનગી દવાખાના ગયા હતા. પગની સારવાર માટે પત્નીની જણસો તેમજ પતિના વાહન પણ વેચાણ કરી દીધા હતા. તેમ છતાંય ઈલાજ કરાવી શક્યા ન હતા. અંતે પરિવાર પાસે કાંઇ બાકી ન રહેતા આર્થિક સંકડામણમાં ડૂબી ગયો હતો. બિમારગ્રસ્ત મહિલાને પોતાનું જીવ બચે તેવી આશા ન હતી. લાચાર પરિવાર દેશીદારૂના સામાન્ય ધંધા તરફ વળ્યો હતો.

    હકીકત જાણ્યા બાદ પોલીસે મદદ કરી
    બીજી તરફ દારૂના ધંધા પર રોક લગાવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પોલીસ દ્વારા ગત દિવાળીના સમય દરમિયાન, દરોડો પાડવા જતાં સમગ્ર હકીકત પીઆઈ રણજીતભાઈ એન. ખાંટ સમક્ષ ખુલી હતી. તમામ હકીકતોથી વાકેફ થઈ તેમણે તુરંત તાત્કાલિક ખાનગી વાહનમાં અમદાવાદ સિવિલમાં મહિલાની સારવાર કરાવી હતી.

    મેં વચન આપ્યું છે કે, હવે દેશી દારૂનો ધંધો નહીં કરીએઃ પીડિત
    મારા કેન્સરવાળા પગનું ઓપરેશન કરાવી, પોલીસે મને નવજીવન આપ્યું છે. મારા નાના નાના બાળકો સામે જોયું છે. એક પિતા બની મારો સહારો બન્યા છે. સાહેબને અમે વચન આપ્યું છે કે અમે હવે દેશીદારૂનો ધંધાની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરીશું નહિ. - જ્યોત્સનાબેન ઠાકોર, પીડિત.

    આગામી દિવસમાં કૃત્રિમ પગ નાંખવામાં આવશે
    ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પીડિતના પગનું ઓપરેશન કરાવ્યું હતું. આગામી દિવસોમાં કૃત્રિમ પગ નાંખી દેવામાં આંવશે. છેલ્લા બે મહિના ઉપરાંતથી આર્થિક તેમજ અન્ય સહાય પોલીસ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત સુરક્ષા સેતુ યોજના થકી પણ પરિવારને વધુ મદદ કરી. - આર.એન.ખાંટ, પી.આઈ, ખંભાત ગ્રામ્ય પોલીસ.