રાજ્યસભામાં સરકારનો જવાબ:આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં એકપણ બહારની વ્યક્તિએ જમીન ખરીદી નથી, જમ્મુમાં માત્ર 7 પ્લોટ ખરીદાયા
5 ઓગસ્ટ 2019નાં રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ કાશ્મીર વેલીમાં બહારના લોકોએ હજુ સુધી એક પણ પ્લોટ ખરીદ્યો નથી. તો જમ્મુમાં માત્ર 7 પ્લોટ જ ખરીદવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી આ જાણકારી રાજ્યસભામાં આપવામાં આવી છે.
તો પાનીપતના પીપી કપૂર દ્વારા દાખલ એક RTIનો જવાબ આપતા શ્રીનગર જિલ્લા પોલીસ મુખ્યાલયે જણાવ્યું કે આતંકીઓએ છેલ્લાં ત્રણ દશકામાં 1,724 લોકોની હત્યા કરી છે, જેમાંથી 89 કાશ્મીરી પંડિત અને બાકિ અન્ય ધર્મના લોકો છે, જેમાં મુસ્લિમ પણ સામેલ છે.
માત્ર જમ્મુમાં જ ખરીદવામાં આવ્યા 7 પ્લોટ
ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું- જમ્મુ કાશ્મીર સરકારે જે જાણકારી આપી છે તેમના મત મુજબ કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 7 પ્લોટ ખરીદ્યા છે. તમામ 7 પ્લોટ જમ્મુમાં જ ખરીદવામાં આવ્યા છે.
પીપી કપૂરની RTIના જવાબમાં એવું પણ જણાવવામાં આવ્યું કે 1,54,161 લોકોએ રાજ્યમાંથી પલાયન કર્યું છે, જેમાંથી 1,35,426 એટલે કે 88 ટકા કાશ્મીરી પંડિત અને 12% અન્ય ધર્મના લોકો છે. RTIમાં પલાયન પછી ઘરવાપસી કરનારા કાશ્મીરી પંડિતો અને અન્યની સંખ્યાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
તેઓએ એક પણ વાયદો પૂરો કર્યો નથી- અબ્દુલ્લા
કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં સંસદને જણાવ્યું હતું કે 1990થી અત્યાર સુધીમાં લગભગ 3,800 પ્રવાસી કાશ્મીરથી પરત ફર્યા હતા. તો નવેમ્બરમાં નિત્યાનંદ રાયે સંસદને જણાવ્યું કે ઓગસ્ટ 2019માં આર્ટિકલ 370ને હટાવવામાં આવ્યા બાદ 1,678 પ્રવાસી પરત ફર્યા હતા.
પલાયન કરનારા અને પરત ફરનારા લોકોની સંખ્યા વચ્ચેના અંતરને લઈને ફારુખ અબ્દુલ્લાએ કોઈ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું- તમને વોટ બેંક માનનારોએ મોટાં-મોટાં વાયદાઓ કર્યા હતા, તેઓએ એક પણ વાયદો પૂરો કર્યો નથી.
84 હજારને હજુ નથી મળતી સરકારી રાહત
RTIમાં તે વાત પણ સામે આવી કે જે લોકોએ પલાયન કર્યું હતું તેમાંથી લગભગ 84 હજારને સરકારી રાહત નથી મળતી. જે લોકોને સરકારી સહાયતા મળી છે તેમાંથી લગભગ 54 હજાર હિન્દુ અને લગભગ 11 હજાર મુસલમાન છે, બાકી શીખ અને અન્ય ધર્મના લોકો છે.
દરરોજ 38 કિમી નેશનલ હાઈવેનું નિર્માણ, ટાર્ગેટ 40 કિમીનો છેઃ નીતિન ગડકરી
બુધવારે કેન્દ્રીય સડક તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં પ્રશ્નોનો ઉત્તર આપતા કહ્યું કે તેમનું મંત્રાલય હાલ સરેરાશ લગભગ 38 કિલોમીટર પ્રતિદિવસ રાજમાર્ગનું નિર્માણ કરી રહ્યાં છે જે હવે વધારીને 40 કિલોમીટર પ્રતિ દિવસ થવાની સંભાવના છે જે વિશ્વમાં રેકોર્ડ હશે. તેઓએ કહ્યું કે આગળ જઈને તેને 45 કિલોમીટર પ્રતિ દિવસ કરવાનો પ્રયાસ છે. ગડકરીએ વધુમાં જણાવ્યું કે નેશનલ હાઈવેની લંબાઈ કે જે એપ્રિલ-2014માં 91,287 કિલોમીટર હતી તે આ વર્ષના નવેમ્બરના અંત સુધીમાં 1,40,937 કિલોમીટર કરાઈ છે.
રાજ્યસભામાં જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે 24 કલાકમાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર ચાર લેનના 2.5 કિલોમીટર લાંબા વિસ્તારનું નિર્માણ કર્યું જે એક વિશ્વરેકોર્ડ છે. આ ઉપરાંત સોલાપુરથી બીજાપુર વચ્ચે 26 કિમી લાંબો રસ્તો પણ ટૂંક સમયમાં બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ગડકરીએ કહ્યું કે સરકારે કારગિલની પાસે જોજિલા સુરંગનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.