IPLની અમદાવાદની ટીમ 'સીવીસી'ની જગ્યાએ અદાણીના હાથમાં આવી શકે છે

IPLની અમદાવાદની ટીમ 'સીવીસી'ની જગ્યાએ અદાણીના હાથમાં આવી શકે છે

BCCI 3 ડિસેમ્બરે સીવીસી કેપિટલના ભાવિ અંગે ફેંસલો લેશે

સીવીસી કેપીટલ કંપની સ્પોર્ટ્સના સટ્ટાના ધંધામાં હોવાનો આરોપ

અમદાવા : આઈપીએલની 2022ની સિઝનથી દસ ટીમ ભાગ લેવાની છે. અત્યાર સુધી આઠ ટીમ જ રમતી રહી છે. જેમાં મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, રાજસ્થાન, હૈદ્રાબાદ,પંજાબ, બેંગ્લોર અને દિલ્હીની ફ્રેન્ચાઈઝીનો સમાવેશ થાય છે. હવે લખનઉ અને અમદાવાદની ટીમ ઉમેરાઈ છે. અમદાવાદની ટીમની માલિક બનેલી વિદેશી કંપની સીવીસી રમતના સટ્ટાનો ધંધો કરે છે તેવો આરોપ મુકાયો હોઈ તેમનું ભાવિ નક્કી કરતી બીસીસીઆઈની યોજાનાર મીટિંગમાં 3 ડિસેમ્બરે સીવીસી રદ થશે તો અદાણી ગુ્રપને અમદાવાદની માલિકી મળશે.

વધુ બે ટીમો ઉમેરાઈ

આઈપીએલની લોકપ્રિયતા વધતા જતા ભારતીય ક્રિકેટ બોર્ડને લાગ્યું કે તેમાં બે ટીમ ઉમેરી શકાય. આ માટેની જે ફ્રેન્ચાઈઝીને રસ હોય તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના જુદા જુદા શહેરને હોમગ્રાઉન્ડ રાખી શહેરના નામ સાથે ટીમ બનાવવાના વિકલ્પ આપવામાં આવ્યો જેમાં અમદાવાદ, લખનઉ, ધરમશાળા, ઈંદોર, કટક, ગુવાહાટી પણ રેસમાં હતા. સૌથી વધુ રકમ સાથે બે શહેરની ટીમ બનાવવામાં રસ બતાવ્યો હતો. જેમાં લખનઉ અને અમદાવાદ અગ્રેસર રહ્યા હતા. આમ આગામી આઈપીએલથી 10 ટીમ ઉતરશે. લખનૌ એ અમદાવાદ ટીમની એન્ટ્રી થશે.

સંજીવ ગૌએન્કાની સૌથી મોટી રકમની બીડ

જેણે સૌથી મોટી બીડ માટેનું ટેન્ડર ભર્યું હોય તેને જે શહેરની ટીમ બનાવવી હોય તેની પ્રથમ પસંદગી આપવામાં આવી હતી. સંજીવ ગોએન્કાએ તેની કંપની આરપી-એસજી કંપની વતી રૂ. 7090 કરોડની સૌથી વધુ રકમની બીડ ભરી હતી. તેણે લખનૌ અને અમદાવાદ બંને માટે સરખી રકમ સાથે જ ટેન્ડર ભર્યું હતું. તેને બંનેમાંથી જે ટીમ ખરીદવી હોય તેની પ્રથમ ચોઈસનો હક્ક તેને મળ્યો હતો. ગોએન્કાએ તેનું બિઝનેસ, ઉદ્યોગનું કેન્દ્ર ઉત્તર પ્રદેશ હોઈ લખનઉને પ્રથમ પસંદગી આપી હતી.

બીજા ક્રમની સીવીસીને ફાળે અમદાવાદ

ગોએન્કાને નિયમ મુજબ એક જ ટીમ ખરીદવા મળે અને તેણે લખનઉ પર પસંદી ઉતારી હતી. હવે આપોઆપ ગોએન્કાની અમદાવાદ માટે પણ તેટલી જ રકમ હતી છતાં તે લખનઉ માટે ખર્ચાઈ ચૂકી હતી. તેથી તે અમદાવાદ કે અન્ય શહેરની ટીમ ખરીદી ન શકે. તે પછીના ક્રમે સીવીસી કેપિટલે અમદાવાદની ટીમ માટે રૂ. 5625 કરોડની રકમ ટેન્ડરમાં ભરી હતી.

લક્સમબર્ગની કંપની જેની કેપિટલ અને કારોબાર સીંગાપોરમાં પણ છે તેણે અમદાવાદ ખરીદતા કોર્પોરેટ જગતમાં સોપો પડી ગયો હતો. કેમ કે અમદાવાદ માટે અદાણી પોતે ગુજરાતના, અમદાવાદના હોઈ આઇપીએલમાં ટીમ માટે બેતાબ હતા પણ તેની બીડ સીવીસી કરતા રૂ. 500 કરોડ જેટલી ઓછી રહી હતી. અદાણીએ રૂ. 5100 કરોડની રકમથી ટેન્ડર ભર્યું હતું.

સીવીસી પર સટ્ટાના ધંધાનો આરોપ

ભારતીય ક્રિકેટ બોર્ડે પણ અદાણીની જગાએ એક વિદેશી કંપની સીવીસી કેપિટલ અમદાવાદની ટીમની માલિક બની જતા તેઓની ગણતરીમાં થાપ ખાઈ ગયા હોય તેમ અનુભવ્યું હશે. તેવામાં અચાનક આઈપીએલના ભુતપૂર્વ વડા લલિત મોદીએ ભારતીય ક્રિકેટ બોર્ડ પર આરોપ લગાવ્યો કે સીવીસી કેપિટલની પેટા કંપનીઓ અમેરિકા અને યુરોપમાં જ્યાં સટ્ટો સત્તાવાર છે ત્યાં જુદી જુદી રમત ોપર સટ્ટો ખેલતી કંપનીઓ ધરાવે છે. આવી કંપની આઈપીએલની ઈમેજ અને પ્રત્યેક મેચની વિશ્વસનિયતા પર ફટકો પહોંચાડી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આવી ટીમને આઈપીએલમાં પ્રવેશ જ કેમ આપી શકે.

ક્રિકેટ બોર્ડે આરોપમાં ગંભીરતા જોઈ

ભારતીય ક્રિકેટ બોર્ડે લલિત મોદીના આરોપને ગંભીરતાથી લીધો છે અને સેક્રેટરી જય શાહે એવી જાહેરાત કરી કે 'અમે સીવીસી કંપનીની પ્રોફાઈલ અને સેટ અપની ચકાસણી તટસ્થ કમિટી દ્વારા કરીશું. અમારી એવી પાયાની શરત છે કે ટીમ કોઈ રમતના સટ્ટામાં સંડોવાયેલી ના હોય. 'કન્ફલિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ' નહીં ચલાવી લેવાય.

હવે અદાણીના દ્વાર ખુલી શકે તેમ છે

સીવીસી પરના આરોપ યોગ્ય છે કે કેમ તેની ચર્ચા અને સીવીસીની પ્રોફાઈલ, ધંધાના રીપોર્ટ પર 3 ડિસેમ્બરની બોર્ડની મીટિંગમાં ચકાસણી પણ થશે. જો સીવીસી કેપિટલ ભારતીય ક્રિકેટ બોર્ડના ફ્રેન્ચાઈઝી માટેના નિયમના દાયરામાં નહીં આવતું હોય તો તેને રદ કરવામાં આવશે. તે પછીના ક્રમે ટેન્ડરમાં અદાણીની રકમ (રૂા. 5100 કરોડ)  ભરાયેલી છે. તેથી અદાણીને અમદાવાદની ઓફર કરવામાં આવશે. સ્વાભાવિક છે કે અદાણી આ ઓફરનો સહર્ષ કેચ કરી લેશે.