આયુર્વેદથી સફળતા:મ્યુકોરમાઇકોસિસના દર્દીને ખાનગી હોસ્પિટલે 5 દાંત-પેઢાં કઢાવવાની સલાહ આપી, આયુર્વેદથી નજીવા ખર્ચે સાજાં થયાં, હોસ્પિ.ને 50 બેડનું દાન કર્યું

આયુર્વેદથી સફળતા:મ્યુકોરમાઇકોસિસના દર્દીને ખાનગી હોસ્પિટલે 5 દાંત-પેઢાં કઢાવવાની સલાહ આપી, આયુર્વેદથી નજીવા ખર્ચે સાજાં થયાં, હોસ્પિ.ને 50 બેડનું દાન કર્યું

જેતપુરના નિવાસી ઉર્વશીબહેન અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની સારવારથી એટલાં પ્રભાવિત થયાં કે 50 નવાં બૅડ દાનમાં આપ્યાં

ક્યારેક એવું જોવા મળે છે કે સારવાર માટે બધી જગ્યાએથી આશા ગુમાવી ચૂકેલા માણસને અચાનક એવી જગ્યાએથી સાવ સહજ રીતે ખૂબ સારી સારવાર મળી જાય છે ત્યારે દર્દી અને તેના પરિવાર માટે આ ઘટના કોઇ ચમત્કારથી ઓછી હોતી નથી. આવો જ કિસ્સો અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં બન્યો છે, જેમાં ખાનગી હોસ્પિટલોએ લાખોના ખર્ચે જેમને 5 દાંત અને પેઢાં કઢાવવાની સલાહ આપી હતી, તેવાં એક દર્દી બહેન આયુર્વેદની સારવારથી સાવ નજીવા ખર્ચે એકદમ સાજાં થઈ ગયાં છે. સૌરાષ્ટ્રના જેતપુરમાં રહેતાં ઉર્વશીબહેન જાડેજા નામની મહિલાને મ્યુકોરમાઇકોસિસ થયો હતો. ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું, જ્યાં રૂ.2 લાખના ખર્ચ અંદાજ આપવામાં આવ્યો હતો અને એમાંય વળી ડોક્ટર્સે આ બહેનને 5 દાંત અને પેઢાં કાઢવાની સલાહ આપી હતી. દેખીતી રીતે જ આને લીધે ઉર્વશીબહેનનો આખોય પરિવાર ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો.

દર્દીની સારવાર લગભગ એક મહિના સુધી ચાલી
એવામાં થોડા પરિચિતોના માધ્યમથી ઉર્વશીબહેનના પરિવારને અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારી સારવાર થતી હોવાની જાણકારી મળી હતી, જેથી ઉર્વશીબહેનને તેનો પરિવાર અમદાવાદ લઇ આવ્યો હતો. અહીં ડો.રામ શુક્લની દેખરેખ હેઠળ ઉર્વશીબહેનની ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લગભગ એક મહિના સુધી ચાલી હતી. અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યા બાદ વારંવાર ફોલો-અપ માટે અમદાવાદ ન આવવું પડે એ માટે ઉર્વશીબહેનને રાજકોટમાં બીજા એક મહિના માટે ફોલો-અપની વ્યવસ્થા પણ કરી અપાઈ હતી.

ખાનગી હોસ્પિટલે સારવારના રૂ.2 લાખ કહ્યા હતા
આયુર્વેદિક સારવારથી ધીમી પણ મક્કમ અસર થઈ. જે ઉર્વશીબહેનને 5 દાંત અને પેઢાં કઢાવવા માટે રૂ.2 લાખનો ખર્ચ અંદાજ મળ્યો હતો, તે જ ઉર્વશીબહેન સાવ નજીવા દરે આયુર્વેદિક સારવારથી મ્યુકોરમાઇકોસિસને હરાવીને એકદમ સાજાં થઇ ગયાં અને એક પણ દાંત કઢાવવો પડ્યો નથી.

સાજાં થયાં બાદ દર્દીએ 50 બેડનું દાન કર્યું
પોતાને મળેલી સરસ આયુર્વેદિક સારવારથી ગદગદ થયેલાં ઉર્વશીબહેને પોતે સાજા થયા બાદ કોઇ દર્દીને તકલીફ ન પડે એ માટે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલને 50 બેડ દાનમાં પણ આપ્યાં. ઉર્વશીબહેન અને તેમના સમગ્ર પરિવારે અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને સારવારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.