રક્ષક બન્યો ભક્ષક : '50 હજાર આપો તો કેસ પતાવી દઈશ, નહીંતર એવી ચાર્જશીટ બનાવીશ કે જજ પણ નહીં બચાવી શકે' PSIની ધમકીથી આધેડનો આપઘાત

રક્ષક બન્યો ભક્ષક : '50 હજાર આપો તો કેસ પતાવી દઈશ, નહીંતર એવી ચાર્જશીટ બનાવીશ કે જજ પણ નહીં બચાવી શકે' PSIની ધમકીથી આધેડનો આપઘાત

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI અને ભૂમાફિયાઓના ત્રાસ અને ધમકીઓથી કંટાળી આધેડનો આપઘાત

જ્યેન્દ્ર અને નરેન્દ્ર કોષ્ટિએ મૃતકની જગ્યા પચાવવા ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું

PSI ગોહિલે બંને સાથે મળી મૃતકને અરજીઓ ન કરવા અને ખોટા કેસમાં ફસાવવા ધમકીઓ આપી

અમદાવાદના ગીતામંદિર રોડ પર આવેલા મજૂરગામમાં એકતાનગરમાં રહેતા આધેડે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PSI પી.કે ગોહિલ અને અન્ય બે શખ્સોએ ભેગા મળી માનસિક ત્રાસ અને જાતિવિષયક શબ્દો કહી અપમાનિત કરતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બે શખ્સ દ્વારા ઘરની પાછળ આવેલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે પોલીસ સ્ટેશનમાં રજુઆત કરતા ધમકીઓ આપી સામી ફરિયાદ નોંધી હતી અને કોઈ રજુઆત સાંભળી ન હતી. આ સમગ્ર બાબત આધેડની લાશ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમણે જણાવ્યું હતું. જેથી PSI ગોહિલ અને બે શખ્સના ત્રાસથી આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યાનો કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જમીન પર બે શખ્સોએ ગેરકાયદેસર કબજો કર્યો
ગીતામંદિર રોડ પર મજૂર ગામમાં આવેલા એકતાનગરમાં રહેતા સાગર રેવર નામનો યુવક મંગળવારે ભાવનગરથી પરત આવી તેના કાકાના ઘરે ગયો હતો. તેના પિતા પ્રેમજીભાઈ રેવરે ફોન ન ઉપડતા તે ઘરે ગયો હતો. જ્યાં ઉપરના માળે રૂમની લાઈટ ચાલુ હતી. અંદર જઇને જોતા તેના પિતા નીચે પડ્યા હતા અને મોઢમાંથી ફિણ નીકળતું હતું. હાથમાં એક ચિઠ્ઠી મળી આવી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેઓને ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

પોલીસને ફરિયાદ કરતા સામે ધમકી અપાઈ
તેઓની પાસેથી મળી આવેલી ત્રણ પાનાંની ચિઠ્ઠી વાંચતા તેઓના હાથના લખાણથી જ્યેન્દ્ર કોષ્ટિ, નરેન્દ્ર કોષ્ટિ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બીગબજાર પોલીસ ચોકીના PSI પી.કે ગોહિલ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે.

PSI અને બે શખ્સના નામે સુસાઈડ નોટ લખી વૃદ્ધનો આપઘાત
આ ચિઠ્ઠીમાં લખેલું હતું, 'જ્યેન્દ્ર અને નરેન્દ્ર દ્વારા અમારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી અવારનવાર ધમકીઓ આપતા હતા. PSI ગોહિલ અમારુ કંઈ સાંભળતાં નથી અને સામેવાળા પાસેથી રૂપિયા લઇ અને અમારા વિરુદ્ધ કેસ કર્યો હતો. PSI ગોહિલે અમારુ ન સાંભળી અને જ્યેન્દ્રનું સાંભળી અમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યેન્દ્ર મારા વિરુદ્ધ કાવતરું કરે છે અને મારી માર્જિનવાળી જગ્યા પડાવવા માટે ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે. PSI ગોહિલે પણ કાવતરું રચ્યું છે અને અમને મરવા માટે મજબૂર કર્યા છે. આત્મહત્યા કરવા માટે તેઓ જવાબદાર છે.' પરિવારે ચિઠ્ઠી પોલીસને સોંપી હતી.

જાતિવિષયક અપમાન અને માનસિક ત્રાસથી આધેડનો આપઘાત
જ્યેન્દ્ર અને નરેન્દ્ર કોષ્ટિ (રહે. નાનપુરાની ચાલી, મજૂરગામ)એ પ્રેમજીભાઈની નાનપુરામા આવેલી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જેની કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જુન 2021થી મેટર ચાલે છે. એપ્રિલ માસથી પ્રેમજીભાઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસમાં અરજીઓ કરી હતી. PSI પી.કે ગોહિલે વારંવાર અરજીઓ નહીં કરવાનું અને જો અરજી કરશે તો તેઓને અને પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. સિવિલ દાવા અને કોર્ટ કમિશન બાદ પણ PSI ગોહિલની મદદથી જ્યેન્દ્રએ જગ્યામાં ધાબું પણ ભરી દિધું હતું. જાતિવિષયક અપમાન કરી માનસિક ત્રાસ આપતાં પ્રેમજીભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.