તાલિબાનનું મોટું નિવેદન:ઓસામા બિન લાદેન 9/11ના હુમલામાં સામેલ હોવાનો કોઈ પુરાવો નથીઃ જબીહુલ્લાહ મુજાહિદ

તાલિબાનનું મોટું નિવેદન:ઓસામા બિન લાદેન 9/11ના હુમલામાં સામેલ હોવાનો કોઈ પુરાવો નથીઃ જબીહુલ્લાહ મુજાહિદ

તાલિબાન ફરી સત્તામાં આવવાથી અલકાયદા ફરી સક્રિય થવાનું જોખમ

અલકાયદાએ નિવેદન જાહેર કરીને તાલિબાનને અભિનંદન પાઠવ્યાં

તાલિબાનના જબીહુલ્લાહ મુજાહિદે એનબીસી સમાચારને કહ્યું હતું કે એ વાતનો કોઈ પુરાવો નથી કે ઓસામા બિન લાદેન 9/11 હુમલામાં સામેલ હતો કે નહિ. 20 વર્ષના યુદ્ધ પછી પણ કોઈ પુરાવા નથી. બીજી તરફ, તાલિબાન પરત ફર્યા પછી આતંકી સંગઠન અલકાયદા ફરીથી એક્ટિવ થાય એવું જાખમ છે. એક રિપોર્ટ મુજબ, અલકાયદાએ નિવેદન જાહેર કરીને તાલિબાનને અભિનંદન પાઠવ્યા છે.

અલકાયદાએ તેના નિવેદનમાં અમેરિકાને આક્રમણકારી અને અફઘાન સરકારને સહયોગ આપનારું ગણાવ્યું છે. જાણકારોનું કહેવું છે કે ઘરેલુ ઉગ્રવાદની સાથે-સાથે રશિયા અને ચીનના સાયબર હુમલાનો સામનો કરી રહેલા અમેરિકા માટે આ મોટી મુશ્કેલી બની શકે છે.

અફઘાનિસ્તાનના નાગરિકોએ બલિદાન આપ્યુંઃ તાલિબાન
તાલિબાને કહ્યું હતું કે દુશ્મનોની વિરુદ્ધ આ લડાઈમાં અફઘાનિસ્તાનના લોકોનાં બલિદાનને ભૂલી ન શકાય. આ સિવાય અલકાયદાએ તાલિબાનની જીતને અમેરિકાની હાર ગણાવી છે. તેમના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે આ તાલિબાનના હાથેથી સોવિયત અને બ્રિટનને મળેલી હારથી પણ મોટી સફળતા છે.

અલકાયદા ફરી થઈ શકે છે સક્રિયઃ ક્રિસ કોસ્ટા
ટ્રમ્પ પ્રશાસનમાં આતંકવાદવિરોધી મિશનના વરિષ્ઠ નિર્દેશક રહેલા ક્રિસ કોસ્ટાનું કહેવું છે કે અલકાયદાને એક તક મળી છે અને તે તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરશે. આ પહેલાં પેન્ટાગનના પ્રવક્તા જોન કિર્બીએ સ્વીકાર્યું હતું કે અફઘાનિસ્તાનમાં અલકાયદની હાજરી છે. જોકે જાસૂસી એજન્સીઓની માહિતીમાં ઊણપને પગલે આતંકીઓની સંખ્યા કહેવી મુશ્કેલ છે.

અમેરિકાએ બે દાયકામાં પોતાને ખૂબ જ મજબૂત કરી લીધું છે. જોકે જૂનમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અલકાયદા સશસ્ત્ર લડાકુઓની સાથે અફઘાનિસ્તાનમાં હાજર છે. એમાં જણાવવામાં આવ્યું હતું કે તાલિબાનની સાથે તેમની નજીકતા છે.

અલકાયદામાં પહેલો જેવો હુમલો કરવાની ક્ષમતા નથી
એક્સપર્ટનું કહેવું છે કે અફઘાનિસ્તાન હવે ઘણાં આતંકી ગ્રુપોનું આશ્રયસ્થાન બની શકે છે. આ જ કારણે રાષ્ટ્રપતિ જો બાઈડન ઓવર હોરાઈઝન ક્ષમતાની વાત કહે છે. તેમના સુરક્ષા સલાહકાર જેક સુલિવને પણ જણાવ્યું હતું, જાસૂસી સમુદાયનું માનવું છે કે અલકાયદા અમેરિકા પર પહેલા જેવો હુમલો કરવાની ક્ષમતા ધરાવતું નથી.