ટૂંક સમયમાં જ 'કોવેક્સિન'ને મળી શકે છે WHOની મંજૂરી, મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું- અંતિમ ચરણના ડેટા સારા

ટૂંક સમયમાં જ 'કોવેક્સિન'ને મળી શકે છે WHOની મંજૂરી, મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું- અંતિમ ચરણના ડેટા સારા

નવી દિલ્હી, તા. 09 જુલાઈ, 2021, શુક્રવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને ગુરૂવારે એક રાહતભર્યા સમાચાર આપ્યા છે. તેમના કહેવા પ્રમાણે ભારત બાયોટેકની વેક્સિન 'કોવેક્સિન'નો અંતિમ તબક્કાનો ડેટા સારો છે. આ કારણે વેક્સિનને વુની મંજૂરી મળે તેવી શક્યતામાં ખૂબ વધારો થયો છે. 

તેમણે જણાવ્યું કે, વેક્સિનની સમગ્ર પ્રભાવકારિતા અનેક વેરિએન્ટ વિરૂદ્ધ પ્રભાવી છે. જોકે ડેલ્ટા વેરિએન્ટ સામે તેની પ્રભાવશીલતા આશા કરતા ઓછી છે પરંતુ તેમ છતાં સારી કહી શકાય તેવી છે. વધુમાં કોવેક્સિનની સુરક્ષા પ્રોફાઈલ વુના ધોરણો પૂરા કરે છે તેમ પણ જણાવ્યું હતું. 

સ્વામીનાથનના કહેવા પ્રમાણે તેઓ એ બધી વેક્સિન પર આકરી નજર રાખી રહ્યા છે જેને ઈમરજન્સી ઉપયોગની યાદીમાં સામેલ કરવામાં આવી છે. તેઓ મહત્તમ ડેટા એકત્રિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. સ્વામીનાથને કહ્યું કે, અમેરિકાને છોડીને દુનિયાના મોટા ભાગના હિસ્સામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે અને મૃતકોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી આવ્યો. સ્વામીનાથને ભારતમાં ઓછામાં ઓછી 60-70 ટકા વસ્તીને પ્રાથમિક વેક્સિનેશનનું સૂચન આપ્યું છે. 

તેમણે જણાવ્યું કે, ભારત બ્રિટન જેવા દેશો પાસેથી શીખી શકે છે જે બુસ્ટર શોટ્સની યોજના બનાવી રહ્યા છે. જોકે વુ આટલી જલ્દી બુસ્ટર ડોઝની ભલામણ નહીં કરે.