ક્રૂઝની મજા લેવા હવે ગુજરાત બહાર નહીં જાવું પડે, ડિસેમ્બરથી મુંબઇ-દીવ ક્રૂઝ સેવા શરૂ થવાની

ક્રૂઝની મજા લેવા હવે ગુજરાત બહાર નહીં જાવું પડે, ડિસેમ્બરથી મુંબઇ-દીવ ક્રૂઝ સેવા શરૂ થવાની

  • સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર દરિયાઇ વિસ્તારમાં પણ ક્રૂઝ ચાલશે
  • મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રિયા ક્રૂઝે તૈયારી દર્શાવી છે, વિદેશી લોકોને આકર્ષવા સુવિધા અપાશે
  • પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડતું ક્રૂઝ ટૂરીસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ છે

રાજકોટ: કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પુષ્ટી કરી છે કે મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રીયા ક્રૂઝે મુંબઇ અને દીવ વચ્ચે આવતા મહિનાથી ક્રૂઝ સેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આથી ગુજરાતી લોકોને ક્રૂઝની મજા લેવા હવે બહાર નહીં જવું પડે. ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. ગુજરાતના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર દરિયાઇ વિસ્તારમાં પણ ક્રૂઝ ચાલશે. મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્વીપ સાથે ગુજરાત પણ ક્રૂઝ માટે યોગ્ય રાજ્ય છે તેમ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયનું કહેવું છે.

ડિસેમ્બરથી આ સર્વિસ શરૂ કરવાની તૈયારી

ક્રૂઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ગત સપ્તાહમાં મુંબઇમાં વર્કશોપનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગ્રિયા ક્રૂઝના પ્રતિનિધિ સાથે મનસુખ માંડવીયાની મુલાકાત થઇ હતી. તેમણે ડિસેમ્બરથી મુંબઇ અને દીવ વચ્ચે ક્રૂઝ સર્વિસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. હજીરા-બાંદ્રા ફેરી સર્વિસ થોડા દિવસમાં શરૂ થઇ શકે છે. આ ઉપરાંત દહેજ અને મુંબઇ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવા માટે શિપિંગ મંત્રાલયે ખાનગી ઓપરેટરોનો સંપર્ક કર્યો છે.

ટૂરિસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ

દ્વારકા, સોમનાથ, પોરબંદર અને માંડવીમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થળોએ દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે. આથી પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડતું ક્રૂઝ ટૂરીસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ છે. રાજ્યમાં બંદરોનું નિયંત્રણ કરતા ગુજરાતના મેરિટાઇમ બોર્ડ પાંચ બંદરો પર ક્રૂઝ ટર્મિનલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગરમાં ક્રૂઝ ટર્મિનલ બનશે.

વિદેશી પ્રવાસીઓને આકર્ષવા આવી સુવિધા અપાશે

વિદેશી પ્રવાસીઓને ગુજરાતના આ સ્થળો પર આકર્ષવા માટે શિપિંગ મંત્રાલય ઇ-વિઝા અને વિઝા ઓન અરાઇવલ સહિતની સુવિધા નક્કી કરેલા સ્થળો પર આપશે. તેમજ ક્રૂઝ પ્રવાસના માર્ગમાં આવતા તમામ બંદરો પર સિંગલ ઇ-લેન્ડિંગ કાર્ડની પણ સુવિધા હશે. આંતરરાષ્ટ્રીય સહેલાણીઓની સુવિધા માટે કસ્ટમ અને ઇમિગ્રેશનના અધિકારીઓ ક્રૂઝ ટર્મિનલ પર કામચલાઉ ધોરણે હાજર રહેશે.