CIDની કાર્યવાહી શરૂ:US-કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીનાં મોત મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની તપાસ

CIDની કાર્યવાહી શરૂ:US-કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીનાં મોત મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની તપાસ

  • ડીંગુચા ગામના તલાટી પાસેથી મૃતકોની મતદારયાદી સહિતના દસ્તાવેજો મગાવાયા
  • પરિવારને ગેરકાયદે વિદેશ મોકલવામાં સંકળાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે
  • કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં માઇનસ 35 ડિગ્રીના વાતાવરણમાં થીજી જવાથી મોત થવાની ઘટનામાં ગુજરાત પોલીસ વડાએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. તેમાં પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે અને ગામના તલાટી પાસેથી મૃતકોના નામની મતદારયાદી વગેરે દસ્તાવેજો લઈ તપાસ આદરી છે.
  • કલોલના ડીંગુચા ગામના બળદેવભાઈ પટેલના પુત્ર જગદીશભાઈ, તેમની પત્ની વૈશાલી, પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક કેનેડા જવા માટે નીકળ્યા હતા અને ત્યાં પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ગેરકાયદે કેનેડાથી અમેરિકા જતી વખતે રસ્તામાં પોતાના ગ્રૂપથી છૂટા પડી જતા જગદીશભાઈ અને તેમના પરિવારનું માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ભયંકર ઠંડીના કારણે થીજી જવાના કારણે મોત થયું હતું. દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે, જેના પગલે ભારત, કેનેડા અને અમેરિકાની તપાસ એજન્સીઓ સંયુક્ત તપાસ શરૂ કરી રહી છે. કેનેડા સરહદે પોલીસ દ્વારા ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટની અટકાયત કરી પૂછપરછ બાદ તેને શરતી જામીન અપાયાનું જાણવા મળી રહ્યું છે.
  • આ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પરિવારને ગેરકાયદે વિદેશ મોકલવા માટે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટે સમગ્ર બનાવની સીઆઇડી ક્રાઇમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી છે, જેમાં ડીવાયએસપી સતીશ ચૌધરીની આગેવાનીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે મૃતકોના દસ્તાવેજો તલાટી પાસેથી મેળવી આ દિશામાં તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

  •  

    સગાંએ એમ્બેસીનો સંપર્ક કર્યો, પણ જવાબ મળ્યો નથી: જગદીશના પિતા
    કેનેડા-અમેરિકા બોર્ડર પર ભારે હિમવર્ષાના કારણે માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં 4 લોકોનાં મોત થયાં હતાં ત્યારે મૃતકો કલોલ તાલુકાના ડીંગુચા ગામના હોવાની શક્યતા છે. જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. રાજ્ય પોલીસ વડાએ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને સીઆઈડી ક્રાઇમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. બીજી તરફ આ અંગે જગદીશ પટેલના પિતા બળદેવભાઈએ કહ્યું હતું કે, ‘સગાંસંબંધીઓ દ્વારા એમ્બેસીમાં સંપર્ક કરાયેલો છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. પુત્ર જગદીશ વિઝા લઈને જ ગયો હતો. આ અંગે વધુ પૂછપરછ પણ મેં કરી નથી. અમે ગામડે રહીએ છીએ અને જગદીશ તેના પરિવાર સાથે કલોલ રહેતો હતો.’

    જગદીશ પટેલ પાસે કેનેડાના વિઝા હતા
    સૂત્રોના મુજબ જગદીશ પાસે કેનેડાના વિઝા હતા. તે અગાઉ બે-ત્રણ દેશમાં ફરેલો હતો. 4 મૃતકો સહિત કુલ 11 લોકો ગેરકાયદે બોર્ડર ક્રોસ કરતા હતા, જેમાંથી 7 લોકો કેનેડા પોલીસના હાથે પકડાઈ ગયા હતા. પકડાયેલા લોકોની પૂછપરછમાં અગાઉ ગેરકાયદે ગયેલા લોકો અને એજન્ટો અંગે પણ ખુલાસા થાય તેમ છે.