LAC 45 વર્ષ બાદ ભારત-ચીન સૈનિકોના ગોળીબારથી ધણધણી, પરિસ્થિતિ ગંભીર
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન (LAC) પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી છે. સરકાર સાથે સંકળાયેલા ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
એલએસી દ્વારા બંને દેશોના સૈનિકો વચ્ચે લાંબા સમયથી તંગદિલી છે અને બંને તરફથી સૈન્ય તથા રાજદ્વારી સ્તર પર સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ પ્રકારનું પહેલી વખત ફાયરિંગ થયું છે.
સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ચીની રક્ષામંત્રાલય ચીની પીપુલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવકતા કર્નલ ઝાંગ શુઇલીની તરફથી મોડી રાત્રે નિવેદન આપ્યું હતું કે ભારતીય સૈનિકો દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી હતી. જોકે, આ ફાયરિંગ અંગે ભારત તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ચીન બે શિખરો પર ફરીથી કબજે કરવા માગે છે
પીએલએ વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલીએ પણ ખુલાસો કર્યો છે કે ભારતીય સેનાએ સોમવારે પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠે આવેલા શેનપાઓ પર્વત પર ગેરકાયદેસર રીતે LAC ક્રોસ કરી હતી.
ભારતીય સૈન્યના સૂત્રો એ પુષ્ટિ કરી છે કે “વોર્નિંગ શોટ્સ” ફાયર કરાયું હતું. સરહદ પર તૈનાત સૈનિકો ત્યારથી હાઇ એલર્ટ પર છે જ્યારથી તેમણે કાલા ટોપ અને હેલ્મેટ પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે અને ચીની સૈનિકો આ બંને શિખરો પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે.
પીએલએ વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલીએ જણાવ્યું હતું કે ઓપરેશન દરમ્યાન ભારતીય સેનાએ ચીની બોર્ડર ગાર્ડસના પેટ્રોલિંગ કર્મચારીઓને ગોળીબાર કરવાની ધમકી આપી હતી, જેનાથી પરિસ્થિતિને સ્થિર કરવા માટે ચીની બોર્ડર ગાર્ડસને જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
તેમણે કહ્યું કે આ એક ગંભીર સૈન્ય ઉશ્કેરણીનો મામલો છે અને ખૂબ જ ખરાબ સ્વભાવ છે. અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ કે ખતરનાક કામગીરી તાત્કાલિક રોકો, ક્રોસ લાઇન કર્મચારીઓને તાત્કાલિક પાછા ખેંચવા, ફ્રન્ટ લાઇન સૈનિકોને કડકાઇથી રોકો, અને એ કર્મચારીઓને સખ્તાઇથી તપાસો અને દંડિત કરો જેમણે ફાયરિંગ કર્યું છે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ફરીથી ના થાય.
સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના પૂર્વ લદ્દાખ સેક્ટરમાં એલએસીની બાજુમાં બની હતી. જો કે, સૂત્રોએ દાવો કર્યો હતો કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એલએસીની પાસે ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ એ સમયે બની છે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓની બેઠકમાં ભાગ લેવા મોસ્કોની મુલાકાત લેવાના છે અને ત્યાં તેમના ચીની સમકક્ષ વાંગ યીની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
વિદેશમંત્રી જયશંકરે સોમવારે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે તેઓ ચીની સમકક્ષ વાંગ યી સાથે બેઠક અંગે પછી જણાવશે. તેમણે કહ્યું કે સરહદની પરિસ્થિતિને દેશના સંબંધો સાથે જોડી શકાય નહીં. આપણી પાસે બોર્ડર મેનેજમેન્ટ વિશે ઘણી સમજ છે જે 1993માં ફરી બની છે. શાંતિ એ સંબંધ માટે આધાર છે.
સોમવારથી ચીની સૈન્યની કવાયત
દરમ્યાન લદાખમાં LAC પર ભારતીય સૈનિકો સાથે તનાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ચીને સોમવારે જિઆંગસુ અને હેબેઇ પ્રાંતોને અડીને આવેલા દરિયાઇ વિસ્તારોમાં લશ્કરી કવાયત ફરી શરૂ કરી હતી. તાજેતરમાં જ પેંગોંગ તળાવના દક્ષિણ વિસ્તારમાં ભારતીય સૈન્ય અને ચીની સેના વચ્ચે અથડામણ થઇ હતી.
ભારતીય સૈન્ય તૈનાત અને જવાબી કાર્યવાહીથી ચીની સેના પરેશાન છે. તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો પણ થઈ ચૂકયા છે.