બહુચરાજી માતાજીને પહેરવાયો અંદાજિત 300 કરોડનો નવલખો હાર, જાણો શું છે નવલખા હારનો ઈતિહાસ…

બહુચરાજી માતાજીને પહેરવાયો અંદાજિત 300 કરોડનો નવલખો હાર, જાણો શું છે નવલખા હારનો ઈતિહાસ…

સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા મહેસાણાના બેચરાજી સ્થિત બહુચરાજી મંદિરે (Bahucharaji Temple) માતાજીને આજે અમૂલ્ય એવો નવલખો હાર (Bahucharaji Mataji necklace) પહેરાવવામાં આવ્યો હતો. આમ તો દર વર્ષે આજે માતાજીને હાર પહેરાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને મુખ્ય મંદિરથી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા નીકળતી હોય છે. પરંતુ ઇતિહાસમાં પહેલીવાર આ પરંપરા આજે તૂટી છે. પાલખી યાત્રા રદ્દ કરીને માત્ર માતાજીની ગાદીએ માતાજીને નવલખો હાર થોડી વાર માટે પહેરાવીને પરંપરા સાચવવામાં આવી હતી. આ હાર વર્ષમાં માત્ર બે વાર જ દશેરા અને બેસતા વર્ષે માતાજીને પહેરાવાય છે. આ હારની અંદાજિત કિંમત 300 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.

ઈતિહાસમાં પહેલીવાર કોરોનાને કારણે ન નીકળી પાલખીયાત્રા

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર બહુચરાજીના મધ્યમાં આવેલું છે. જ્યાં ચાર બુરજ અને 3 વિશાળ દ્વાર સાથે ભવ્ય કિલ્લાનું નિર્માણ વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે ઇ.સ.1783માં કરાવ્યું હતું. બહુચરાજી નજીક 5200 વર્ષ જૂનું શંખલપુર ગામે માતાજીનું આદ્ય સ્થાનક છે. આ બંને મંદિર વર્ષોથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીત નવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. થોડા વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજિત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવી સમી વૃક્ષ સુધી પાલખી યાત્રા વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે ભક્તોની ભીડ ના થાય અને સંક્રમણ ના ફેલાય તે માટે આ પરંપરા ઇતિહાસમાં પહેલી વખત રદ્દ કરીને માત્ર માતાજીની ગાદીએ માતાજીને હાર થોડી વાર માટે પહેરાવીને પરંપરા સાચવવામાં આવી હતી.

નવલખા હારનો ઇતિહાસ

નવલખા હારનો ઇતિહાસ જોઈએ તો, ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા ૩૦૦ કરોડને આંબી ગઇ છે. આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં જડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણે આ હારને આખુ વર્ષ મંદિર સલામત સ્થળે રાખે છે. અને દશેરાના દિવસે જ મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હારને માતાજીના શણગારમાં લેવાય છે. જો કે, આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે. અને જયારે માતાજીની પાલખી યાત્રા નીકળતી હતી. ત્યારે માતાજીને અપાતું ગાર્ડ ઓફ ઓનરનો સમય એ અનોખી ક્ષણ બની જાય છે.