તિરંગાનો બહિષ્કાર કરો, 15 ઓગસ્ટે ઘરો પર શિખ ધ્વજ ફરકાવો, પંજાબના સાંસદનુ ફરી વિવાદિત નિવેદન

તિરંગાનો બહિષ્કાર કરો, 15 ઓગસ્ટે ઘરો પર શિખ ધ્વજ ફરકાવો, પંજાબના સાંસદનુ ફરી વિવાદિત નિવેદન

નવી દિલ્હી,તા.10 ઓગસ્ટ 2022,બુધવાર

શિરોમણિ અકાલી દળના પ્રમુખ સિમરનજીતસિંહ માન ફરી એક વખત પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં છે.

માને કહ્યુ છે કે, લોકોએ તિરંગા અભિયાનનો બહિષ્કાર કરવો જોઈએ અને સાથે સાથે કહ્યુ છે કે, 14 અને 15 ઓગસ્ટે ઘરો અને ઓફિસો પર શિખ ધર્મનો નિશાન સાહેબ ધ્વજ લગાવવો જોઈએ. દિપ સિધ્ધુ આજે આપણી વચ્ચે નથી પણ તે કહેતા હતા કે શિખો સ્વતંત્ર છે અને એક અલગ સમુદાય છે. ભારતના સુરક્ષા દળો પણ આપણા દુશ્મનના સુરક્ષાદળો છે.

માને આગળ કહ્યુ હતુ કે, જરનૈલ સિંહ ભિન્દરાવાલે દુશ્મનોની સેના સામે લડતા શહીદ થયા હતા.

દરમિયાન ભાગલાવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસના નેતા અને આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ પણ એક વિડિયો મેસેજમાં કહ્યુ હતુ કે, પંજાબના લોકોએ 15 ઓગસ્ટના દિવસે તિરંગો સળગાવવો જોઈએ.

બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપે આ નિવેદનોને વખોડી કાઢયા છે. આપના પ્રવક્તાએ સિમરનજિતસિંહ માનના નિવેદન માટે કહ્યુ હતુ કે, તેમના નિવેદનને આટલુ મહત્વ આપવાની જરૂર નથી. કારણકે હજારો પંજાબીઓએ દેશ માટે જીવ આપ્યા છે.રાજ્યના લોકો તિરંગાનુ દિલથી સન્માન કરે છે.

ભાજપે કહ્યુ હતુ કે, ખાલિસ્તાનના વિચારને લોકોએ ફગાવી દીધો છે અને લોકોને મુશ્કેલી બાદ મળેલી શાંતિનુ મહત્વ ખબર છે. આ પહેલા પણ લોકોને ઉશ્કેરવા માટે શિખ ફોર જસ્ટિસ સંગઠન પ્રયત્ન કરી ચુકયુ છે.

( Source - Gujarat Samachar )