ગેહલોતનો ગેમ પ્લાન:નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનો 'ખેલ’ પાડનાર ગેહલોત પાટીદારકાર્ડ રમવામાં માહેર, આ જ રણનીતિએ કોંગ્રેસને અપાવી'તી 77 બેઠક

ગેહલોતનો ગેમ પ્લાન:નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનો 'ખેલ’ પાડનાર ગેહલોત પાટીદારકાર્ડ રમવામાં માહેર, આ જ રણનીતિએ કોંગ્રેસને અપાવી'તી 77 બેઠક

 
  • રાહુલ ગાંધીના વિશ્વાસુ એવા અશોક ગેહલોત ગુજરાતની ચૂંટણીમાં ફરી સક્રિય
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની અટકળો વચ્ચે તમામ રાજકીય પક્ષોએ રાજકીય સોગઠાં મારવાની શરૂઆત કરી દીધી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પ્રશાંત કિશોર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેની મુલાકાતથી નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનવાની શક્યતા છે, ત્યારે આ કોંગ્રેસની આ રણનીતિ પાછળ અનુભવી કોંગ્રેસી નેતા અને ગુજરાતની રગેરગથી વાકેફ અશોક ગેહલોત હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ પાટીદાર કાર્ડ રમવામાં માહેર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની આ રણનીતિએ જ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી.

    રાહુલ ગાંધી-નરેશ પટેલ વચ્ચેની કડી બન્યા ગેહલોત
    અશોક ગેહલોત 2017ની વિધાનસભા ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. એ સમયે કોંગ્રેસને 77 બેઠક અપાવી પ્રદર્શન સુધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માત્ર એટલું જ નહીં, ભાજપને 100 સીટના આંકડે પહોંચવા દીધો નહોતો, ત્યારે રાહુલ ગાંધીના વિશ્વાસુ એવા અશોક ગેહલોત ગુજરાતની ચૂંટણીમાં સક્રિય બન્યા છે તેમજ રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોર તથા નરેશ પટેલ વચ્ચેની કડી પણ બન્યા છે.

    2017ની ચૂંટણીમાં ગેહલોતની ભૂમિકા મહત્ત્વની રહી
    2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેહલોત ગુજરાતના પ્રભારી હતા અને તેની અસર ચૂંટણી પરિણામો પર પણ જોવા મળી હતી. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે વધુ બેઠકો મેળવી હતી. ચૂંટણી પહેલાં સંગઠનાત્મક રીતે કોંગ્રેસ સાવ નબળી પડી ગયેલી હોવા છતાં ત્યારે કોંગ્રેસના વોટશેરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2017ની વિધાનસભા વખતે અશોક ગહલોત બે મહિનાથી વધુ સમય સુધી ગુજરાતમાં રોકાયા હતા. તેઓએ ગુજરાતમાં પાર્ટીના મોટા નેતાઓ વચ્ચે સમન્વય બનાવવાની પૂરી કોશિશ કરી હતી. તેમજ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરને પોતાના પક્ષમાં લાવવામાં પણ ગેહલોતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

    પાટીદારના સપોર્ટથી ચૂંટણી જીતવાનો પ્લાન
    પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં ભાજપ અને પાટીદાર સમાજ વચ્ચે તિરાડ પડી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે વધુમાં વધુ પાટીદારોને કોંગ્રેસની ટિકિટ આપીને ચૂંટણી લડાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચવા પાટીદાર સમાજની નિર્ણાયક ભૂમિકા ભજવે એ માટે ગેહલોતે 33 ટકા અથવા 55 ટિકિટ પાટીદારોને ફાળવવા રજૂઆત પણ કરી હતી. બીજી તરફ, અમદાવાદમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા દલિત નેતાને શહેરની જવાબદારી સોંપવાની પણ રજૂઆત ગેહલોત દ્વારા કરવામાં આવી હતી.

    ગેહલોતના નરેશ પટેલ સાથે ખાસ સંબંધ
    હાલમાં નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવવા પર અશોક ગેહલોતની મહત્ત્વની ભૂમિકા ગણવામાં આવી રહી છે. જોકે નરેશ પટેલ અને અશોક ગેહલોત વચ્ચે પહેલેથી જ સારા સંબંધો રહ્યા છે. 2017માં જ્યારે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા ત્યારે પણ નરેશ પટેલને ગુજરાતની રાજનીતિમાં લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ, નરેશ પટેલ અને કોંગ્રેસનેતા રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત કરાવવામાં પણ અશોક ગેહલોતની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું પણ સામે આવ્યું હતું.

    અશોક ગેહલોતની તાકાત
    અશોક ગેહલોતનો રાજકારણમાં લાંબો અનુભવ છે અને તેઓ બેવાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમજ ગેહલોતને રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસના કેન્દ્રીય સંગઠનમાં સંગઠન મહાસચિવના પદ પર હતા, સાથે જ રાજસ્થાનમાં દરેક જિલ્લામાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં સારી છબિ ધરાવે છે. રાજ્યના દરેક જાતિના લોકોને સાથે રાખવામાં માહેર છે તેમજ સિનિયર નેતાઓમાં પણ તેમની છબિ સારી છે.

  • ( Source -  Divyabhaskar )