જપ્ત થયેલાં વાહનો ધૂળ ખાય છે:અમદાવાદ પોલીસે બે વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગમાં 83,884 વાહન જપ્ત કર્યાં, 6541 વાહન હજુ કોઈ છોડાવવા નથી આવ્યું

જપ્ત થયેલાં વાહનો ધૂળ ખાય છે:અમદાવાદ પોલીસે બે વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગમાં 83,884 વાહન જપ્ત કર્યાં, 6541 વાહન હજુ કોઈ છોડાવવા નથી આવ્યું

  • 2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ 109 વાહન જપ્ત કર્યાં હતાં
  • કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પુછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી
  • વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમા સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે કોરોનાકાળમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓનાં વાહનો પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યાં હતાં. માત્ર અમદાવાદ શહેરમાં જ પોલીસે છેલ્લાં બે વર્ષમાં 83,884 વાહન જપ્ત કર્યાં હતાં, જેમાંથી 6,541 હજુ સુધી કોઈ છોડાવવા નથી આવ્યું. વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પુછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી કે વર્ષ 2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ 109 વાહન જપ્ત કર્યાં હતાં.

    2,507 વાહન હજુય કોઈ છોડાવવા નથી આવ્યું
    સરકારી આંકડા અનુસાર, જપ્ત કરાયેલાં વાહનોના માલિકો પાસેથી 11.02 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 2020માં જે વાહનોને જપ્ત કરાયા હતા એને છોડાવવા તેમના માલિકોએ સરેરાશ 1425 રૂપિયા દંડ ભરવો પડ્યો હતો. આ વર્ષમાં 62,993 વાહન જપ્ત કરાયાં હતાં, જેમાંથી 4,034 હજુય બિનવારસી હાલતમાં પોલીસ સ્ટેશનોમાં પડ્યાં છે. 2021માં પોલીસે 20,891 વાહન જપ્ત કર્યાં હતાં, જેમાંથી 2,507 વાહનને હજુય કોઈ છોડાવવા નથી આવ્યું.

  • બિનવારસી પડેલા મોટા ભાગનાં વાહનો ટૂ-વ્હીલર અને રિક્ષા હોય છે
    એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનમાં જો વાહન કેટલાક મહિના સુધી પડ્યું રહે તોપણ એને છોડાવવા ઉપરાંત રિપેર કરાવવાનો ખર્ચ 25થી 50 હજાર રૂપિયા જેટલો આવતો હોય છે. તેવામાં ઘણા વાહનમાલિકો એને છોડાવવાનું જ માંડી વાળે છે. બિનવારસી પડેલાં મોટા ભાગનાં વાહનો ટૂ-વ્હીલર અને રિક્ષા હોય છે, જ્યારે અમુક કિસ્સામાં ગાડીઓ પણ કોઈ છોડાવવા નથી આવતું.

    દંડની રકમ વાહનની કિંમત કરતાં પણ વધી જાય છે
    આરટીઓનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણાં વાહનો એવાં પણ છે, જેને સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવ્યાં હોય, પરંતુ તેની માલિકી ટ્રાન્સફર ના કરાઈ હોય. ઘણા કિસ્સામાં વાહનના મૂળ માલિકનો અતોપતો ના હોવાથી એને છોડાવવું મુશ્કેલ બની જાય છે. તો કેટલાક મામલામાં વાહનમાલિક પાસે PUC, RTOની રસીદ તેમજ RC બુક ના હોવાને કારણે એને છોડાવી નથી શકાતાં. વાહન જો જૂનું હોય તો ઘણીવાર એને છોડાવવા માટે દંડની જેટલી રકમ ભરવાની આવે એ વાહનની કિંમત કરતાં પણ વધી જતી હોવાથી પણ લોકો એના માટે તૈયાર નથી થતા.