પેપર લીક મામલે AAP આક્રમક:મહેશ સવાણી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય પર અડગ,પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાએ મુલાકાત લીધી

પેપર લીક મામલે AAP આક્રમક:મહેશ સવાણી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય પર અડગ,પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાએ મુલાકાત લીધી

    • મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા
    • સવાણીનું શુગર લેવલ ઘટતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
    • હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. એ દરમિયાન ગઈકાલે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

      જ્યારે આજે મહેશ સવાણીના નબળા સ્વાસ્થ્યથી ચિંતિતિ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ઉપવાસ તોડી આહાર અથવા થોડું પ્રવાહી લેવા ખૂબ વિનંતી કરી છતાં સવાણી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના પોતાના નિર્ણય પર અડગ છે. બીજી તરફ પાટીદાર આંદોલન સમીતી ગુજરાત કન્વિનર અલ્પેશ કથીરીયા અને ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવીયાએ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

    •  

      AAPના રાષ્ટ્રીય નેતા સંજય સિંહે ટ્વીટ કરી ગુજરાત સરકારને ધમકી આપી

6 દિવસથી આમરણાંત ઉપવાસ હતા ને અચાનક તબિયત લથડી હતી
અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગઈકાલે મહેશ સવાણીનું રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. એ દરમિયાન શુગર લેવલ ઘટતું જણાતાં ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મહેશ સવાણી પ્રભારી, ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા 6 દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક મામલે વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ગઈકાલે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે NCPનાં પ્રદેશ નેતા રેશ્મા પટેલ અને AMCના મ્યુનિ.કોર્પોરેટર નિકુલ તોમરે આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.

ગત મંગળવારે પણ કલેક્ટર ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠા હતા
નોંધનીય છે કે ગુલાબસિંહ યાદવ અને મહેશ સવાણી પહેલાં ગત મંગળવારે કલેક્ટર ઓફિસ ખાતે આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી મોડી રાતે તેમને મુક્ત કર્યા હતા. એ બાદ તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે જ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. રવિવારે 12 ડિસેમ્બરે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ એની કબૂલાત કરી હતી. આમ આદમી પાર્ટીના જ યુવરાજસિંહ જાડેજાએ આ પેપર લીકનો ઘટસ્ફોટ કર્યો હતો અને પુરાવા સોશિયલ મીડિયા મારફત રજૂ કર્યા હતા.