હાઇકોર્ટમાં સુનાવણી:પતિએ ભરણપોષણ પેટે 45 લાખ આપ્યા પણ પત્નીએ કોર્ટમાં કહ્યું, ‘મારે પૈસા નથી જોઈતા, પતિ સાથે જ રહેવું છે

હાઇકોર્ટમાં સુનાવણી:પતિએ ભરણપોષણ પેટે 45 લાખ આપ્યા પણ પત્નીએ કોર્ટમાં કહ્યું, ‘મારે પૈસા નથી જોઈતા, પતિ સાથે જ રહેવું છે

હાઇકોર્ટે પત્નીને પૂછ્યું, આટલું ભરણપોષણ મળે છે તો શું કામ ભવિષ્ય જોખમમાં મૂકો છો?

 

પત્નીને છૂટાછેડા આપીને 10 વર્ષથી લિવ ઇનમાં રહેતા પતિએ પત્નીના બેન્ક એકાઉન્ટમાં 45 લાખનાં ભરણપોષણની રકમ જમા કરાવી હોવા છતા પત્નીએ ભરણપોષણ લેવા ઇન્કાર કરીને પતિની સાથે રહેવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમારો પતિ 10 વર્ષથી તમને મૂકીને બીજી મહિલા સાથે લિવ ઇનમાં રહે છે, ઘણું સારું ભરણપોષણ આપવા તૈયાર છે છતાં તમારું ભવિષ્ય શા માટે જોખમમાં મૂકો છો? 10 વર્ષથી તો સાથે રહેતા નથી હવે શું કામ તેમની સાથે રહેવું છે? જામનગરની મહિલાએ ફેમિલી કોર્ટ દ્વારા આપેલી છૂટાછેડાની ડીક્રીના હુકમને હાઇકોર્ટમાં પડકારી હતી.

પત્ની તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે તેનો પતિ 10 વર્ષથી અન્ય મહિલા સાથે લિવ ઇનમાં રહે છે અને તેમને બે બાળકો છે. તેના પતિએ ભરણપોષણ માટે 45 લાખ બેન્કમાં જમા કરાવ્યા છે પરતું તેને ભરણપોષણની રકમ નથી જોઇતી તેને પતિ સાથે રહેવું છે.

હાઇકોર્ટનો સવાલ : તમે પતિ સાથે રહીને સુખી જીવન જીવી શકશો?
તમારો પતિ તમને મૂકીને 10 વર્ષથી બીજી સ્ત્રી સાથે રહે છે તેમને બે બાળકો છે. તમારા ભવિષ્ય માટે ભરણપોષણની સારી રકમ આપી રહ્યા છે તો શા માટે જીવનને જોખમમાં મૂકો છો. તમે પતિ સાથે રહીને સુખી જીવન જીવી શકશો? સારુ જીવન જીવવા માટે ભરણપોષણની રકમ લઇ શકે છે. આ અંગે કોર્ટે આખરી સુનાવણી દિવાળી વેકેશન બાદ મુકરર કરી છે.

જામનગરની ફેમિલી કોર્ટની ડીક્રી પછી છૂટાછેડા રોકવા માટે પત્નીની કોર્ટમાં અરજી
લગ્નના ટુંકા સમયમાં જ પતિ- પત્ની વચ્ચેના અણગમાને કારણે બન્ને જુદા રહેવા નિર્ણય લીધો હતો. પતિને પત્ની સાથે બિલકુલ મનમેળ ન હોવાથી અને હાઇ પ્રોફાઇલ પરિવારમાંથી આવતો હોવાથી તેણે છુટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જયારે પત્નીએ કોઇપણ હિસાબે પતિને છુટાછેડા નહી આપવા દહેજ, ઘરેલું હિંસા અને માનસિક ત્રાસ અંગેની વારફરતી ફરિયાદો કરી હતી. ફેમિલી કોર્ટે છૂટાછેડા માન્ય કર્યા હતા અને પતિને કાયમી ભરણપોષણની રકમ આપવા આદેશ કર્યો હતો. પરતું પત્નીએ છૂટાછેડા રોકવા માટે કોર્ટમાં નવેસરથી અરજી કરી હતી.

પત્ની ખોટી અરજી કરીને લગ્ન થવા દેતી નથી
પતિ તરફથી હાઇકોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, પત્ની ખોટી ફરિયાદો અને અરજીઓ કરીને તેના લગ્ન થવા દેતી નથી. જયા સુધી આ અપીલ પેન્ડિંગ છે ત્યા સુધી મારા પુન: લગ્ન થઇ શકે તેમ નથી. લીવ ઇનમાં જેની સાથે રહુ છુ તેની સાથે લગ્ન ના થાય તે માટે પત્ની આવા નુસખા અપનાવે છે.