પહેલા રસી, પછી રાસ:2 વર્ષ પછી ગરબા રમી શકાશે, પણ 400 લોકોની મર્યાદા સાથે; ગણેશજીની સ્થાપના, વિસર્જનમાં 15 લોકોની મર્યાદા નક્કી કરાઈ

પહેલા રસી, પછી રાસ:2 વર્ષ પછી ગરબા રમી શકાશે, પણ 400 લોકોની મર્યાદા સાથે; ગણેશજીની સ્થાપના, વિસર્જનમાં 15 લોકોની મર્યાદા નક્કી કરાઈ

રાજ્ય સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોને શરતોને આધીન મંજૂરી આપી

ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય, માત્ર દર્શન કરી શકાશે

ગાયક વૃંદ, બેન્ડવાજાં, ડીજેને જાહેર કાર્યક્રમોની મંજૂરી અપાઈ

ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું, પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમો 400 વ્યક્તિની હાજરીમાં યોજી શકાશે, એટલે કે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડી દીધો છે, જેમાં ખુલ્લામાં યોજાતા કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતા કાર્યક્રમમાં ક્ષમતાના પચાસ ટકા અને મહત્તમ 400 વ્યક્તિની હાજરીમાં આ કાર્યક્રમો યોજી શકાશે.

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંજૂરીને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને પરવાનગી મળી ગઇ ગણાશે, એટલે કે હવે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકશે. આ ઉપરાંત જ્યાં માતાજીનાં જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે એ પણ થઇ શકશે. સાર્વજનિક ગણેશોત્સવ નિર્વિઘ્ને યોજી શકાશે. આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની જ મંજૂરી આપી હતી, પરંતુ હવે આ નવી માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ કારણોસર ગણેશોત્સવમાં 15ની જ મંજૂરી
ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 વ્યક્તિ સાથેના વરઘોડાની મંજૂરી આપી છે. એનું કારણ એ છે કે જો એમાં વધુ વ્યક્તિઓને પરવાનગી અપાય તો વિસર્જનના સ્થળે અલગ-અલગ સાર્વજનિક ગણેશ મહોત્સવમાંથી એક જ સ્થળે હજારોની સંખ્યામાં મેદની એકત્રિત થઇ જાય અને ભીડ નિયંત્રિત થઇ ન શકે.

તહેવાર, લગ્ન પ્રસંગોને લઈને આ છે નવા નિયમો

  • ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર 15 લોકોની મર્યાદા સાથે એક જ વાહનમાં કરી શકાશે.
  • ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો 400 લોકોની મર્યાદા સાથે જાહેર કાર્યક્રમો યોજી શકશે.
  • માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ નિર્ધારિત મર્યાદા સાથે થઇ શકશે.
  • ધાર્મિક ઉપરાંત સામાજિક તથા અન્ય વરઘોડાને મંજૂરી અપાઈ છે, એટલે કે લગ્નો, ધાર્મિક અનુષ્ઠાનો કે સંમેલનો ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં પણ 400 લોકોની મર્યાદા સાથે વરઘોડો કાઢી શકાશે.

સ્કૂલોમાં ધો.1થી 5ના વર્ગો શરૂ કરવાનો હાલમાં નિર્ણય નહીં
ગુજરાત સરકારે ધો.6થી ઉપરના વર્ગોમાં ઓફલાઇન અધ્યાપન કાર્ય શરૂ કરવા આદેશ આપ્યો છે. ધો.1થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે સરકારનું હાલ કોઇ આયોજન નથી. સરકાર ડિસેમ્બર સુધી રાહ જોશે. નવેમ્બરના આખરી સપ્તાહ સુધી જો કેસ નિયંત્રણમાં રહ્યા તો ડિસેમ્બરથી આ વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ શકશે.

નવરાત્રિ પહેલાં સરકાર વધુ એક ગાઇડલાઇન્સ બહાર પાડશે
રાજ્ય સરકાર નવરાત્રિ સમયે વધુ એક નોટિફિકેશન બહાર પાડીને આયોજન તથા એસઓપીના પાલન અંગેની વધુ સ્પષ્ટતા કરતી ગાઇડલાઇન્સ જાહેર કરશે, પરંતુ અત્યારથી નવરાત્રિના આયોજનને મંજૂરી સૈદ્ધાંતિક રીતે મળી એમ કહેવાશે. અત્યારથી આ જાહેરાત કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે કોમર્શિયલ ગરબા આયોજકોને તેમને કરવી પડતી જરૂરી તૈયારીનો સમય મળી રહેશે.