ગુજરાતના દસ જિલ્લામાં વધુ 10 સાયબર પોલીસ સ્ટેશન શરૂ, ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યુ

ગુજરાતના દસ જિલ્લામાં વધુ 10 સાયબર પોલીસ સ્ટેશન શરૂ, ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યુ

આજે રાજ્યમાં કાર્યરત થનાર નવીન 10 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યુ હતું. રાજ્ય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં એક સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. રાજ્યના 4 શહેરો એટલે કે, 4 કમિશ્નરેટ વિસ્તાર એવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન છે. એ ઉપરાંત વિવિધ રેન્જ જેમ કે, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જૂનાગઢમાં મળી કુલ 14 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે.

રાજ્યના 10 જિલ્લામાં આજથી સાયબર પોલીસ સ્ટેશન શરૂ
સાયબર ક્રાઈમ અંગે લોકોમા જાગૃતિ અને ડિટેકશન માટે સક્ષમ પ્રયાસો કરી નાગરિકોને સહાયરૂપ થવા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ તંત્રને તેમણે આહવાન કર્યું હતું. આજે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ-10 (દસ) જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી આ વિસ્તારના નાગરિકોને સાયબર ક્રાઈમ સંદર્ભે વધુ સુરક્ષા મળશે. તેમજ સાયબર ક્રાઈમના ગુનાઓ નોધાવવા તથા માર્ગદર્શનની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે.

જાડેજાએ વડાપ્રધાનના મુખ્યમંત્રી તરીકેની કામગીરીના વખાણ કર્યા
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને સ્માર્ટ, શાર્પ અને ટેક્નોલોજીથી સજજ બનાવીને લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુજરાત દેશને રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પરંપરાગત વ્યવસ્થાઓમાંથી બહાર આવીને અદ્યતન ટેક્નોલોજી સાથે કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શકિત યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી જેવા નવા આયામોનું ગુજરાતમાં નિર્માણ કર્યુ છે જેને રાજ્યના મુખ્યમંત્રીએ આગળ વધારીને નાગરિકોને સાયબર ક્રાઈમ સામે રક્ષણ આપવા મકકમ નિર્ધાર કરીને જે આયોજન કર્યુ એના પરિણામે આજે ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બની છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બની છે.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ 4 યુનિટ કાર્યરત
તેમણે ઉમેર્યુ કે,પ્રવર્તમાન યુગમાં ગુનેગારો આજે ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ક્રાઈમ કરતા થયા છે તે સામે નાગરિકોને સુરક્ષા પુરી પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમય બધ્ધ આયોજન કર્યુ છે.સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ (IRU), એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU), સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ (CCPU), સાયબર સુરક્ષા લેબ (CSL) એમ કુલ-4 સેવાઓનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળ્યો છે.

ફ્રોડમાં ગયેલી રૂ.13.22 કરોડની રકમ લોકોને પરત કરાવી
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, સાયબર ક્રાઇમ આચરનારા વ્યકિતઓ ખૂબ જ આધુનિક ટેક્નિકની મદદથી અને મોડસ ઓપરેન્ડીથી નાણાકીય છેતરપિંડી, હેકિંગ, સાયબર બુલિંગ , ટેલી ફિસિંગ , સેક્સટોર્શન તેમજ રેન્ડસમવેર જેવી આધુનિક તક્નિકનો ઉપયોગ કરી ગુના આચરી રહ્યા છે. તેને નાથવા માટે ગુજરાત પોલીસ સજજ બની છે. સી.આઇ.ડી. ક્રાઇમ સાયબર સેલની હેલ્પલાઇન તથા આશ્વસ્ત પ્રોજેક્ટ થકી ફાયનાન્સિયલ ફ્રોડમાં ગયેલી રૂ.13.22 કરોડ જેટલી રકમ નાગરિકોને પરત કરાવી છે અને રૂ .21.12 કરોડ જેટલી રકમ ફીઝ કરવામાં આવેલી છે. તે ઉપરાંત સાયબર બુલિંગનો ભોગ બન્યા હોય તેવા હજારો નાગરિકોનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે.