ગુજરાતમાં 21 જૂનથી તમામ સેન્ટર્સ પર 18થી 44ની વય સહિતના તમામ લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન થશે, સોમવારના બપોરે 3 વાગ્યાથી અમલ

ગુજરાતમાં 21 જૂનથી તમામ સેન્ટર્સ પર 18થી 44ની વય સહિતના તમામ લોકો માટે વોક-ઈન-વેક્સિનેશન થશે, સોમવારના બપોરે 3 વાગ્યાથી અમલ

ગુજરાતમાં 18 થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન માટે અગાઉથી રજિસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે જ હવે તમામ લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરીયાત રહેશે નહીં.

SMSથી સ્લોટ મેળવેલા લોકોને અગ્રતા અપાશે​​​​​​​
રાજ્યમાં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પ્રાયર રજિસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

પરંતુ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજિસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજિસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે. કોરોનાથી બચવાના અક્સિર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

અત્યાર સુધીમાં 2.15 કરોડને વેક્સિન ડોઝ અપાયા
​​​​​​​​​​​​​​ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે. આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે. હવે, આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટે બપોરે 3 કલાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી વોક-ઈન-વેક્સિન ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે.

રાજ્યમાં 262 નવા કેસ અને 5ના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 262 નવા કેસ નોંધાયા છે અને 776 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.90 ટકા થયો છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે. તેમજ 7 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

7 હજાર 230 એક્ટિવ કેસ અને 198 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 21 હજાર 931ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 23 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 4 હજાર 668 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7 હજાર 230 એક્ટિવ કેસ છે, જેમાંથી 198 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7 હજાર 32 દર્દીની હાલત સ્થિર છે.

(Source Divya Bhaskar)