કોરોના દરવાજાને અડવા કે બટન દબાવાથી ફેલાતો નથી, નવા રિસર્ચમાં કેટલાંય મોટા દાવા

કોરોના દરવાજાને અડવા કે બટન દબાવાથી ફેલાતો નથી, નવા રિસર્ચમાં કેટલાંય મોટા દાવા

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલ દુનિયા માટે સારા સમાચાર છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરવામાં આવેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારી સરફેસ જેવા દરવાજા દ્વારા ફેલાતી નથી. આ રિસર્ચ સાથે સંકળાયેલા પ્રોફેસર મોનિકા ગાંધીએ કહ્યું કે સપાટી દ્વારા ફેલાયેલા કોરોના વાયરસનો મુદ્દો વાસ્તવમાં ખત્મ થઈ ગયો છે. તેમણે કહ્યું કે જમીન પર પડેલા કોઈપણ વાયરસમાં વ્યક્તિને બીમાર કરવાની એટલી શક્તિ હોતી નથી.

આ રિસર્ચ પરથી ખબર પડે છે કે કોરોનાનો ફેલાવો રોકવા માટે હાથ ધોવા અને પોતાના ચહેરાને ના અડવા જેવા પગલાંથી નહીં પરંતુ વધુ કારગર સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક પહેરવાથી છે. મોનિકાએ કહ્યું કે આનો અર્થ એ પણ છે કે સમગ્ર વિશ્વમાં સતત એન્ટિ બેક્ટેરિયલ સ્પ્રેનો છંટકાવ જમીન પર કરવો બિનજરૂરી હોઈ શકે છે. આપને જણાવી દઇએ કે કોરોના મહામારી દરમ્યાન આખા વિશ્વમાં આ પ્રકારના સ્પ્રેનો છંટકાવ જમીન પર કરવામાં આવી રહ્યો છે.

‘વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ સપાટી અને આંખોને સ્પર્શવાથી નથી, પરંતુ…’

પ્રોફેસર ગાંધીએ યુ.એસ. સાયન્સ વેબસાઇટ નઉટિલુસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ સરફેસ દ્વારા ફેલાતો નથી. આ મહામારીની શરૂઆતમાં સંક્રમક પદાર્થોને લઇ લોકોમાં કેટલાંય પ્રકારનો ભય હતો. હવે આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસના ફેલાવાનું મુખ્ય કારણ સરફેસ અને તમારી આંખોને સ્પર્શવાથી નથી. તેમણે કહ્યું કે કોરોના વાયરસ એવા કોઈ વ્યક્તિની નજીક હોવાથી ફેલાય છે જે કોરોના વાયરસથી પીડિત છે અને તેમના નાકમાંથી પાણી નીકળે છે અથવા તો ઉલટી થઇ રહી છે.

બીજીબાજુ પ્રતિષ્ઠિત મેગેઝીન લેન્સેટના એક રિપોર્ટમાં જણાવાયું છે કે જો કોરોના વાયરસ સરફેસ પર ફેલાય છે તો તેનાથી સંક્રમણનો ‘બહુ ઓછો ખતરો’ છે. આપને જણાવી દઇએ કે વિશ્વભરના તમામ પ્રયાસો છતાંય કોરોના મહામારી ભયંકર રૂપ લઈ રહી છે. ચીનથી ફેલાયેલ આ મહામારીના અમેરિકા, ભારત, બ્રાઝિલ અને રશિયા સૌથી મોટા ગઢ બની ગયા છે.