સાઇડ ઇફેક્ટ્સ:સેનિટાઈઝરના વધુ ઉપયોગથી શરીરમાં ખરજવું, ચકામા, એલર્જી જેવી તકલીફો ઊભી થઇ રહી છે

સાઇડ ઇફેક્ટ્સ:સેનિટાઈઝરના વધુ ઉપયોગથી શરીરમાં ખરજવું, ચકામા, એલર્જી જેવી તકલીફો ઊભી થઇ રહી છે

બજારમાં મળતા અનેક સેનિટાઈઝરમાં બ્લીચનો ઉપયોગ, જેનાથી ચામડીના રોગ થવાની સંભાવના

વૈશ્વિક મહામારી કોરોનાને નાથવામાં માટે હાલ એક જ ઉપાય છે અને તે છે માસ્ક અને સેનિટાઈઝર. બજારમાં મળતા અનેકવિધ પ્રકારના માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ લોકો કરતા હોઈ છે, પરંતુ હકીકત એ છેકે શું બજારમાં મળતા સેનિટાઈઝર શરીર માટે હિતાવહ છે કે કેમ? લોકોએ ક્યાં પ્રકારના સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, એ જાણવું પણ અત્યંત જરૂરી છે. હાલ બજારમાં જે સેનિટાઈઝર મળી રહ્યા છે તેના ઉપયોગથી લોકોને ચામડીના ઘણા રોગો થતાં જોવા મળ્યા છે.

ઘણા સેનેટાઇઝરમાં બ્લીચ વપરાય છે
સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગથી શરીરમાં એલર્જી, ખરજવું, ચકામા જેવી તકલીફો ઊભી થઇ રહી છે. જેનું મુખ્ય કારણ એ પણ છે કે લોકો જે સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે તે નબળી ગુણવત્તાવાળા હોય છે અથવા તો તેનો વપરાશ યોગ્ય રીતે થતો ન હોય. આ અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ અને સેનિટાઈઝરનું ઉત્પાદન કરતા ઉત્પાદક સાથે પણ વાત કરવામાં આવી. જાણવા જેવી વાત એ છે કે, તબીબો જે સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે તેમાં આલ્કોહોલનું પ્રમાણ 80 થી 90 ટકા હોઈ છે. જ્યારે લોકો જે સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોય છે તેમાં આલ્કોહોલનું પ્રમાણ 60 થી 70 ટકા જેટલું હોઈ છે. હાલ બજારમાં મળતા સેનિટાઈઝરમાં ભેળસેળ જોવા મળે છે અને ઘણી વખત બ્લીચનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ચામડીને ઘણી નુકસાની પહોંચે છે. લોકોએ મેડિકેટેડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને મુખ્યત્વે જે ફાર્મા કંપનીઓ સેનિટાઈઝર બનાવે છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ.

સેનિટાઈઝરના ઉપયોગથી લાંબા ગાળે ચામડીની તકલીફો વધવાની શક્યતા : તબીબ
ડો.જનક ઠક્કરે જણાવ્યું હતું કે, સેનિટાઈઝરમાં મુખ્યત્વે આલ્કોહોલનું પ્રમાણ 70 ટકા હોવાથી ચામડીને સૂકી કરી નાખે છે જેનાથી લોકોને ચામડીની બળતરા, ચામડી લાલ થઇ જવી જેવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. સેનિટાઈઝરના ઉપયોગથી લાંબાગાળે લોકોને ચામડીના ઇન્ફેક્શન થવાની શક્યતામાં વધારો થશે. તેમણે કહ્યું હતું કે, લોકો કે જે સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે તે જેલવાળા હોવા જોઈએ જેથી તેમા ભેજ હોવાના કારણે ચામડીને ઓછી નુકસાની પહોંચે છે. જ્યારે ચામડીના નિષ્ણાત ડો.પ્રિયંકા સુતરિયાએ જણાવ્યું હતું કે, લોકોએ સેનિટાઈઝરની ખરીદી કરતી વખતે તેમાં ઉપયોગમાં લેવાયેલી ચીજવસ્તુઓને જોવી જોઈએ અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ પ્રકારની આડઅસર લોકોમાં જોવા મળે છે

  • ચામડીમાં સોજા
  • ચકામા
  • સિરસ
  • પેટમાં દુખાવો
  • આંખની એલર્જી
  • હાથની ચામડી ફાટી જવી
  • બળતરા થવી
  • ચામડી લાલ થઇ જવી

( Source – Divyabhaskar )