ડાયમંડ નગરી સુરત:આ પથ્થર નથી, 50 કરોડનો કાચો હીરો છે, જેમાંથી હવે 30-30 કરોડના બે હીરા બનશે

ડાયમંડ નગરી સુરત:આ પથ્થર નથી, 50 કરોડનો કાચો હીરો છે, જેમાંથી હવે 30-30 કરોડના બે હીરા બનશે

હીરાનો વીમો પણ લેવાયો, પ્રિમિયમ 50 લાખ

હીરો તૈયાર કરનારને 5 લાખ રૂપિયા મજૂરી મળશે

 

વિશ્વના 90 ટકા હીરા માત્ર સુરતમાં બને છે. આ ડાયમંડ નગરીમાં અનેક પ્રકારના હીરા તૈયાર થતા જોવા મળી રહ્યા છે. દિવાળી ટાણે ધર્મનંદન ડાયમંડમાં 50 કરોડની કિંમતનો માત્ર એક કાચો હીરો આવ્યો છે. ઓનર લાલજી પટેલે જણાવ્યું કે, 118 કેરેટ વજન ધરાવતો આ હીરો ખુબ જ ઊંચી ગુણવત્તાનો પથ્થર છે. જેમાં ડી.આઈ.એફ. કલર અને પ્યોરિટી છે. હીરા જગતમાં આ સૌથી ઊંચો પથ્થર ગણાય છે, જેમાંથી 2 હીરા તૈયાર થશે. એકની કિંમત ૩૦ કરોડ ગણાતા કુલ 60 કરોડની કિંમત થશે. હીરો તૈયાર કરનારને 5 લાખ રૂપિયા મજૂરી મળશે. માત્ર વિમાનું પ્રિમિયમ જ 50 લાખથી વધુ થશે.

ટેક્સટાઈલમાં 16000 કરોડ જ્વેલરીમાં 500 કરોડનો વેપાર
શહેરમાં આ વર્ષે તમામ સેક્ટરમાં દિવાળી ફળી છે. કારણ કે, એક જ મહિનામાં ટેક્સટાઈલ 16 હજાર કરોડ, જ્વેલરીમાં 500 કરોડ અને ઈલેક્ટ્રોનિક્સમાં 350 કરોડનો બિઝનેસ થયો છે. જ્યારે દિવાળી મહિનામાં 32 હજાર બાઈક અને 14 હજાર કાર વેચાવાનો અંદાજ છે. ગત વર્ષે કોરોના હોવાથી ડાયમંડ ઉદ્યોગ સિવાય તમામ ઉદ્યોગોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો હતો. કોરોનાની બીજી લહેરથી કાપડ વેપારીઓએ પ્રોડક્શન અટવાકવ્યું હતું અને આંશિક લોકડાઉનને કારણે શહેરના કામ ધંધા પર પણ અસર પડી હતી.

જેથી લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું હતું. જ્વેલરી અને ઓટો મોબાઈલ સેક્ટરમાં જેમણે ખરીદી કરવાનું અટકાવ્યું હતું તેમણે આ વર્ષે ખરીદી કરી હતી. બીજી તરણ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં સ્કિમો અને ઓફરો હોવાથી પણ લોકો દ્વારા ખૂબ ખરીદી કરવામાં આવી હતી.

ક્યા સેક્ટરમાં કેટલો વેપાર

સેક્ટર 2019 2020 2021
ટેક્સટાઈલ 15000 કરોડ 4500 કરોડ 16000 કરોડ
ઈલેક્ટ્રોનિક 340 કરોડ 150 કરોડ 350 કરોડ
જ્વેલરી 450 કરોડ 70થી કરોડ 500 કરોડ
મિઠાઈ 35 કરોડ 22 કરોડ 40 કરોડ
બાઈક 25 હજાર 12 હજાર 32 હજાર
કાર 12 હજાર 6 હજાર 14 હજાર

આ વર્ષે વેપારીઓની આશા પૂર્ણ થઈનવા વર્ષમાં સમગ્ર દેશ માટે સારા સંકેત

ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, 2019માં જેવો માર્કેટમાં માહોલ હતો તેવો વેપાર 2021માં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ સારો એવો વેપાર જેવા મળી રહ્યો છે, જે નવા વર્ષમાં સમગ્ર દેશ માટે સારા સંકેત કહી શકાય.

ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, ‘ વેપારીઓને આ વર્ષની દિવાળી ફળી છે. માર્કેટમાં વેપારીઓમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. ગત વર્ષે કોરોનાને કારણે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ આ વર્ષે વેપારીઓને સારો એવો બિઝનેસ મળ્યો છે.

કોરોનામાં ઘટાડાની સીધી અસર
ઈલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનો વ્યવસાય કરતાં અનિલ જેટવાણી કહે છે કે, ‘જેવી રીતે કોરોનાની અસર શહેરના અલગ અલગ સેક્ટર પર પડી હતી તેવી જ રીતે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં પણ અસર પડી હતી. પરંતુ આ વર્ષે વેપાર વધ્યો છે.

જ્વેલરી સેક્ટરને ચાંદી થઈ ગઈ
વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારિયા કહે છે, આ વર્ષે જ્વેલરી સેક્ટરમાં બિઝનેસ સારો થયો છે. ગત વર્ષે કોરોના હોવાથી ખુબ જ ઓછી ખરીદી હતી. આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસની સિઝન પણ સારી ગઈ છે. ’