કોરોના વાઇરસથી મૃત્યુ થયું તો વીમા કંપનીઓ ક્લેમ કેન્સલ નહીં કરી શકે, નોમિનીને સંપૂર્ણ રકમ મળશે

કોરોના વાઇરસથી મૃત્યુ થયું તો વીમા કંપનીઓ ક્લેમ કેન્સલ નહીં કરી શકે, નોમિનીને સંપૂર્ણ રકમ મળશે

નવી દિલ્હી. લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે વીમાધારકોને રાહત આપતા જણાવ્યું છે કે, કોઇપણ વીમા કંપની કોવિડ -19ને કારણે થયેલા મૃત્યુના ક્લેમને નકારી નહીં શકે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની વીમા કંપનીઓએ કોરોના વાઇરસથી જોડાયેલા ડેથ ક્લેમની વહેલી તકે કાર્યવાહી કરવાની રહેશે. નોમિનીને ડેથ બેનિફિટ હેઠળ સંપૂર્ણ રકમ મળશે.

કાઉન્સિલે આ સંદર્ભમાં નિવેદન બહાર પાડ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે, જાહેર અને ખાનગી બંને પ્રકારની જીવન વીમા કંપનીઓ કોવિડ -19 સંબંધિત કોઈપણ મૃત્યુ દાવાના નિકાલ માટે પ્રતિબદ્ધ છે. કાઉન્સિલના જણાવ્યા મુજબ, કોવિડ -19થી થયેલા મૃત્યુના ક્લેમ બાબતમાં ‘ફોર્સ મેજ્યોર’ની જોગવાઈ લાગુ થશે નહીં.

ફોર્સ મેજ્યોર ક્લેમ એટલે શું?

ફોર્સ મેજ્યોરનો અર્થ એવી અણધારી ઘટનાઓથી છે જ્યારે કોન્ટ્રાક્ટનું પાલન કરવું બંધનકર્તા નથી હોતું. તેમાં એક્ટ ઓફ ગોડ અથવા કુદરતી આફતો, યુદ્ધ અથવા આવી પરિસ્થિતિઓ, રોગચાળો, હડતાલ વગેરે સામેલ છે.

વીમા પોલિસી પ્રીમિયમ ભરવા માટે 30 દિવસનો વધારાનો સમય આપ્યો

કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉનથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓનેધ્યાનમાં રાખી વીમા રેગ્યુલેટર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA)એ જીવન વીમા પોલિસીધારકોનેમોટી રાહત આપી છે. IRDAએ જીવન વીમા પલિસી ધારકોને પ્રીમિયમ ચૂકવણી માટે 30 દિવસનો વધુ સમય આપ્યો છે. તેનો ફાયદો એ  પોલિસીધારકોને થશે તેના રિન્યૂઅલની ડેટ માર્ચ અને એપ્રિલમાં આવે છે. તેમને પ્રીમિયમ ચૂકવણી માટે વધારાના 30 દિવસ મળશે.