કેનેડામાં રોજગારનું સંકટ! વેઈટરની નોકરી માટે 3000 ભારતીયો લાઈનમાં લાગ્યાનો દાવો

કેનેડામાં રોજગારનું સંકટ! વેઈટરની નોકરી માટે 3000 ભારતીયો લાઈનમાં લાગ્યાનો દાવો

કેનેડાએ તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કર્યો છે. જેમાં આગામી વર્ષે વધુ 10 ટકાનો ઘટાડો થઇ શકે છે. ટ્રુડો સરકાર 2025માં 437000 સ્ટડી પરમિટ જારી કરવાની યોજના બનાવી રહી છે. જે 2024માં જારી થનાર 485000 પરમિટથી 10 ઓછી છે.

કેનેડાના બ્રૈમ્પટનમાં આવેલ રેસ્ટોરન્ટ તંદુરી ફલેમમાં વેઇટર અને નોકરની નોકરી માટે ભરતી શરૂ કરી દીધી છે. રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટીવ મેનેજર ઇન્દીપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે અમને લાગે છે કે બે દિવસમાં 3000 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. કારણકે પહેલા દિવસે પણ ખૂબ જ ભીડ અને લાંબી લાઇન હતી. ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં મોટા ભાગે ભારતીયો હતાં.

કેનેડાની એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને નોકરની નોકરી માટે લાંબી લાઇન લાગી છે. બે દિવસમાં 3000 થી વધારે લોકોએ અરજી કરી હોવાનું માનવામાં આવે છે. આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળમાં વધતી બેકારીની તરફ ઇશારો કરે છે. આ ઉપરાંત આ બાબત એ ભારતીયો માટે ચિંતાજનક છે જે ભણવા અથવા નોેકરી મેળવવા કેનેડા જવાના સ્વપ્ન જોઇ રહ્યાં છે કારણકે વેઇટર અને નોકરની નોકરી માટે લાગેલી લાંબી લાઇનમાં મોટા ભાગના ભારતીયો છે. 

અમેરિકા અને કેનેડામાં અભ્યાસ કરવાની સાથે ડોલરમાં કમાણી કરવાની આશાએ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા અથવા કેનેડાના વિઝા મેળવે છે. ગુજરાત સહિત ભારતમાં હજારો માતા-પિતા દેવું કરીને પણ તેમના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલે છે. આવા સમયે અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટર અને ડીશ ધોવાની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે. આ વીડિયો ભારતીયો માટે આંખ ઉઘાડનારો છે. આ વીડિયોની સત્યતાની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ લાખોની કમાણીના સપના જોઈને કેનેડા જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે.

બ્રૈમ્પટનની એક રેસ્ટોરન્ટમાં કેટલાક વેટરોની જરૂર હતી. પરંતુ અચાનક 3000 વિદ્યાર્થીઓ (મોટા ભાગે ભારતીયો) પહોંચી ગયા.  કેનેડામાં રોજગારની ભયાનક સ્થિતિ અને વધતા ખર્ચને કારણે કેટલાક લોકોનું જીવન નર્ક બની ગયું છે. સુંદર સ્વપ્ન લઇ કેનેડા જઇ રહેલા વિદ્યાર્થીઓ માટે ગંભીર આત્મનિરીક્ષણની જરૂર છે.