કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે "સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ"ના ૮૨ લાભાર્થીઓને રૂ. ૧૭ કરોડથી વધુની સહાય વિતરણ કરાઈ
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧) હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના વધુ ૮૨ જેટલા લાભાર્થીઓને રૂ. ૧૭ કરોડથી વધુની સહાયનું સીધા તેમના બેંક ખાતામાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકો અનેકગણો વધારો થયો છે. રાજ્યના ખેડૂતોની ખેત પેદાશોનું યોગ્ય મૂલ્યવર્ધન અને માર્કેટિંગ થાય, તો ખેડૂતોને નિશ્ચિતપણે આવક વધારો મળે અને તેની સાથે જોડાયેલા કૃષિ ઉદ્યોગોને પણ તેનો મહત્તમ લાભ મળી શકે છે. ઉત્પાદનની ગુણવત્તા વધતા નિકાસની તકોમાં પણ વધારો થઇ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
મંત્રીશ્રીએ કૃષિ ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહવર્ધન કરતા કહ્યું હતું કે, સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવતા રાજ્યના કૃષિ ઉદ્યોગોમાં મૂડી રોકાણોને વેગ મળ્યો છે. સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. કૃષિ પેદાશોના ઉચ્ચ માપદંડો જાળવીને તેમની નિકાસમાં વધારો કરવામાં તેમજ કૃષિ પેદાશોના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવામાં પણ આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ નીતિના માધ્યમથી રાજ્યના અનેક કૃષિ ઉદ્યોગો અને ઉદ્યોગો થકી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની વધુ તકો ઉભી થઇ રહી છે.
કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના ૨૫ ટકા અને બેંકની મુદતી લોન પર ૭.૫ ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ. ૨૦૦ કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના કેટલાક લાભાર્થીઓએ યોજના અંતર્ગત મળેલી સહાયથી તેમને થયેલા લાભ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ, ગોપકા સંસ્થાના નિયામકશ્રી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કૃષિ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
