ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાની જાહેરાત કરી:CMની ખુરશીની સાથે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડ્યું; જાતે જ ડ્રાઈવ કરીને રાજભવન જવા નીકળ્યા ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાની જાહેરાત કરી:CMની ખુરશીની સાથે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડ્યું; જાતે જ ડ્રાઈવ કરીને રાજભવન જવા નીકળ્યા ઉદ્ધવ

  • સુપ્રીમ કોર્ટે બુધવારે રાત્રે શિવસેનાની દલીલ ફગાવી દીધી હતી
  • એકનાથ શિંદેએ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી
  • ભાજપે શિંદે જૂથને ડેપ્યુટી CM અને મંત્રી પદની ઓફર આપી
  • મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે રાત્રે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા. જેના થોડા સમય બાદ જ CM ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમને પોતાનું રાજીનામું મંત્રીમંડળના સહયોગી અનિલ પરબના માધ્યમથી રાજભવન મોકલ્યું છે.

    રાત્રે લગભગ સવા 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવા જાતે જ ડ્રાઈવ કરીને રાજભવન જવા નીકળ્યા. તેમની સાથે કારમાં બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ રાજભવન જવા નીકળ્યા. તો આ તરફ બળવાખોર ધારાસભ્યો મોડી સાંજે ગોવા પહોંચી ગયા છે. જે બાદ બળવાખોરના નેતા એકનાથ શિંદેએ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી.

    ઉદ્ધવે શિંદે જૂથને લઈને પોતાની વાત રાખી અને કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે મૂકવાની જરૂર હતી. ઉદ્ધવે કહ્યું કે જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCPના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો.

  • આનંદીબેન પછી બીજા ઉદ્ધવ ઠાકરે CM જેમને સોશિયલ મીડિયા પરથી રાજીનામું આપ્યું
    ઉદ્ધવ ઠાકરે બીજા એવા મુખ્યમંત્રી છે જેમને પોતાના રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. આ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે ફેસબુકમાં રાજીનામાની જાહેરાત કરી હતી. 1 ઓગસ્ટ, 2016નાં રોજ આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં પોતાનું રાજીનામું આપ્યું હતું.

    ભાજપમાં જશ્નનો માહોલ
    તો આ તરફ ઉદ્ધવના રાજીનામાની જાહેરાતની સાથે જ ભાજપના ધારાસભ્યો ઉત્સવના મૂડમાં જોવા મળ્યા. તાજ હોટલમાં ચાલી રહેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં 'વંદે માતરમ'ના નારા લાગ્યા અને કેટલાંક ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મિઠાઈ ખવડાવીને મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હોવાથી જશ્ન મનાવ્યો. બેઠક પૂર્ણ થયા બાદ ફડણવીસ હોટલમાંથી બહાર નીકળ્યા. જો કે તેમને મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી.

  • ભાજપે શિંદે જૂથને ડેપ્યુટી CM અને મંત્રી પદની ઓફર આપી
    સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવા પર મંથન ચાલી રહ્યું છે. ભાજપે શિંદે જૂથને 8 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીની ઓફર આપી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડેપ્યુટી CM માટે એકનાથ શિંદેનું નામ સુચવવામાં આવ્યું છે. ગુલાબરાવ પાટિલ, શંભુરાજ દેસાઈ, સંજય શિરસાટ, દીપક કેસરકર, ઉદય સામંતને મંત્રી બનાવવામાં આવી શકે છે.

    બળવાખોર ધારાસભ્યો ગોવા પહોંચ્યા
    બળવાખોર ધારાસભ્યો બુધવારે મોડી રાત્રે ગોવા પહોંચ્યા. તેઓ સાંજે જ ગુવાહાટીથી ચાર્ટર્ડ પ્લેનથી ગોવા નીકળ્યા હતા. તેઓ રેડિસન બ્લૂ હોટલથી ચાર ચાર્ટર્ડ બસથી એરપોર્ટ ગયા હતા અને રસ્તામાં તેઓએ વિક્ટ્રી સાઈન પણ દેખાડી. એકનાથ શિંદે સવારે તમામ ધારાસભ્યોની સાથે કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

  • મહારાષ્ટ્ર રાજકારણના મોટા અપડેટ્સ....

    • રાજકીય સંગ્રામ વચ્ચે રાજ્ય સરકારે મુંબઈના પોલીસ કમિશન સંજય પાંડેની જગ્યાએ વિવેક ફણસલકરને નવા કમિશનર બનાવ્યા છે. પાંડેના રિટાયરમેન્ટ પછી નવી નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત ઔરંગાબાદ શહેરના મ્યૂન્સિપલ કમિશનરને પણ બદલ્યા છે. સાંગલીના જિલ્લાધિકારી ડૉ. અભિજીત ચૌધરીને ઔરંગાબાદના મ્યૂન્સિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.
    • શિવસેનાના નેતા એકનાથ શિંદેના વિદ્રોહ વચ્ચે પુણે જિલ્લામાં શિવસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. પુરંદરના પૂર્વ શિવસેના ધારાસભ્ય અને મંત્રી રહી ચુકેલા વિજય શિવતારેએ એકનાથ શિંદે જૂથમાં સામેલ હોવાની જાહેરાત કરી છે. સંજય રાઉતે બળવાખોરની તુલના ઔરંગઝેબ સાથે કરી છે. તેમને ઉદ્ધવ ઠાકરેના અત્યાર સુધીના કામની પ્રશંસા પણ કરી છે.
    • ઉદ્ધવ કેબિનેટે ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલીને સંભાજી નગર કર્યું છે. જ્યારે ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું છે. આ સિવાય નવી મુંબઈ એરપોર્ટનું નામ ડિવાય પાટિલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. સપાએ નામ બદલવાનો વિરોધ કર્યો છે.
    • ( Source - Divyabhaskar )