WHO પર ભડક્યું ભારત:કોરોનાથી મોતના આંકડા પર વિવાદ, કેવી રીતે ડેટા ભેગો કરાય છે એ એક્સપર્ટ પાસેથી સમજીએ

WHO પર ભડક્યું ભારત:કોરોનાથી મોતના આંકડા પર વિવાદ, કેવી રીતે ડેટા ભેગો કરાય છે એ એક્સપર્ટ પાસેથી સમજીએ

  • WHOનો દાવો- ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોનાં મોત થયાં
  • ભારત સરકારે કહ્યું- કોરોના દરમિયાન દેશમાં 4.8 લાખ લોકોનાં મોત થયાં
  • કોરોનાના વધતા કેસ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના દાવા પર વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં WHOએ એવો દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાથી 47 લાખ લોકોનાં મોત થયાં છે. આ સંખ્યા સરકારે દર્શાવેલા આંકડા કરતાં 10 ગણી વધારે છે. પરિણામે, WHOના આ દાવા સામે ભારત સરકારે સવાલ ઊભા કર્યા છે. ભારતીય નિષ્ણાતોએ પણ WHOના આ રિપોર્ટ સામે નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ભારત સરકારનું કહેવું છે કે કોરોના દરમિયાન દેશમાં 4.8 લાખ લોકોનાં મોત થયાં છે, જ્યારે WHOએ દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં મોત થયાં છે.

    ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવ, નીતિ આયોગના સભ્ય વીકે પોલ અને એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ રિપોર્ટનો વિરોધ કર્યો છે. વીકે પોલે WHOના રિપોર્ટનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમારી પાસે CRS (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ)ની એક મજબૂત પદ્ધતિ છે અને અમે એ રિપોર્ટ ગઈ કાલે જાહેર કર્યો છે. અમારી પાસે 2020નાં કુલ મોતના વાસ્તવિક આંકડાઓ છે અને આગામી સમયમાં 2021ની સંખ્યા પણ સામે આવશે.

  • CRSમાં જિલ્લા અને રાજ્ય પ્રશાસન દ્વારા ચોક્કસ આંકડા ભેગા કરવામાં આવે છે. પોલે કહ્યું હતું કે રાજ્યના સબસેટના આધારે, વેબસાઈટ અને મીડિયા તરફથી આવતા રિપોર્ટના આધારે આંકડા દર્શાવવા યોગ્ય નથી. WHOએ જે કર્યું છે અમે તેમનાથી નિરાશ છીએ.

  • Dr. N.K.Arora
  •  

    જ્યારે લોકો મરી રહ્યા હતા ત્યારે WHO પાસે કોઈ શબ્દો જ નહોતા: ડૉ બલરામ ભાર્ગવ
    ICMRના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું હતું કે જ્યારે કોરોનાને કારણે લોકોનાં મોત થતાં હતાં ત્યારે WHO પાસે કોઈ વ્યાખ્યા પણ નહોતી. ભાર્ગવે ઉદાહરણ આપીને સમજાવ્યું કે જો આજે કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે અને 15 દિવસ પછી તેનું મોત થઈ જાય તો એ મોત કોરોનાને કારણે થયું માની શકાય છે. પરંતુ જો 2 મહિના કે 6 મહિના પછી તેમનું મોત થઈ જાય તો તે કોરોનાને કારણે મોત થયું ના ગણાય.

  • ડૉ. ભાર્ગવે કહ્યું હતું કે અમે દરેક ડેટા જોયા છે અને પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે કોવિડ-19 પોઝિટિવ થયા પછી જે મોત થયાં છે એમાંથી 95 ટકા મોત પહેલાં ચાર સપ્તાહમાં થયાં હતાં, એથી 30ની કટ-ઓફ મૃત્યુની વ્યાખ્યા માટે દિવસ નક્કી કરવામાં આવ્યો છે. તેમણે ભાર દઈને કહ્યું હતું કે સરકારે વ્યવસ્થિત રીતે કોવિડ-19 મહામારીથી સંબંધિત દરેક ડેટા ભેગા કર્યા છે, જેમાં વેક્સિન લીધેલા લોકોની સંખ્યા પણ સામેલ છે.

  • Dr. Balram Bhargav
  •  

    WHOનો રિપોર્ટ સ્વીકાર્ય નથી: એનકે અરોરા
    NTAGIના કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન એનકે અરોરાએ WHOના રિપોર્ટને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતે કોવિડ-19ના મેનેજમેન્ટમાં સારી મહેનત કરી છે. ઘણા વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઘણો ઓછો છે. મને લાગે છે કે ભારત પાસેથી હવે તેઓ મહામારીનું મેનેજમેન્ટ શીખી શકે છે. હકીકતમાં તો દુનિયાએ આપણી પાસેથી ઘણું શીખવાનું છે.

  • Dr. Randeep Guleriya
  • ગુલેરિયાએ કહ્યું- રિપોર્ટમાં વિશ્વાસ નથી એનાં ઘણાં કારણો
    AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ WHOના આંકડાને સાચા નથી માન્યા. એ માટે તેમણે ત્રણ મોટાં કારણ જણાવ્યાં છે. તેઓ કહે છે, ભારતમાં જન્મ-મૃત્યુના આંકડા રજિસ્ટર્ડ કરાવવાની એક યોગ્ય પદ્ધતિ છે. એમાં કોવિડ સિવાય દરેક પ્રકારનાં મોતના આંકડા રજિસ્ટર્ડ કરવામાં આવે છે, જ્યારે WHOએ આ આંકડાનો ઉપયોગ જ નથી કર્યો.

    બીજું કારણ ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે WHOએ જે આંકડા ભેગા કર્યા છે એ વિશ્વસનીય નથી. એ આંકડા તેમણે ગમે ત્યાંથી લઈ લીધા છે. અપૂરતા સોર્સ, મીડિયા રિપોર્ટ્સ અથવા કોઈ અવૈજ્ઞાનિક રીતે તેમણે આ આંકડા ભેગા કર્યા છે. વિશ્વાસ સ્વાસ્થ્ય સંગઠને જ્યાંથી આંકડા લીધા છે એ વિશ્વસનીય સોર્સ નથી.

  • આ સિવાય ડૉક્ટર ગુલેરિયાએ કોરોનાનાં મોત પછી વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે જો ખરેખર આટલા લોકોનાં મોત થયાં હોત તો તેમનાં પરિવારજનોએ વળતરની માગણી કરી જ હોત. તે પરિવારજનોએ સરકાર પાસે આર્થિક સહાયતા પણ માગી હોત, પરંતુ હજી એવું કશું જ થયું નથી. જો આટલાં મોત થયાં હોત તો એ રેકોર્ડ બની જાત.

    નોંધનીય છે કે WHOએ દાવો કર્યો છે કે મહામારીને કારણે અત્યારસુધીમાં દુનિયામાં અંદાજે દોઢ કરોડ લોકોનાં મોત થયાં છે. આ આંકડો બે વર્ષમાં કોવિડને કારણે થયેલાં મોતની સરખામણીએ 13 ટકા વધારે છે. એ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે કોવિડથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યાની ગણતરી ઓછી થઈ છે. ભારતમાં મૃતકોની સંખ્યા જે દર્શાવવામાં આવી છે એ દુનિયામાં થયેલાં મોતના એક તૃતીયાંશ છે.

  • ( Soure - Divyabhaskar )