પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ:ઈમરાને કહ્યું- ભારત દરેક મામલે આપણાંથી ઘણું આગળ; જીવ જશે કે સરકાર, ગુનેગારોને ક્યારેય માફ નહીં કરું

પાકિસ્તાનમાં રાજકીય ઘમાસાણ:ઈમરાને કહ્યું- ભારત દરેક મામલે આપણાંથી ઘણું આગળ; જીવ જશે કે સરકાર, ગુનેગારોને ક્યારેય માફ નહીં કરું

  • ઈમરાનના ખાસ સલાહકાર શાહજેન બુગતીએ રાજીનામુ આપ્યું
  • બુગતીએ કહ્યું- ઈમરાન ખાને દેશને ડૂબાડી દીધો છે
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર વિરૂદ્ધ સોમવારે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થશે. જેના પર વોટિંગ 3 કે 4 એપ્રિલે થઈ શકે છે. માનવામાં આવે છે કે ઈમરાન પોતાની સરકારને બચાવી નહીં શકે. લગભગ 39 સાંસદ તેમનો સાથ છોડી ચુક્યા છે. હાલ સંસદમાં વોટિંગ પહેલા ઈમરાને ઈસ્લામાબાદમાં એક રેલી સંબોધી. દાવો 10 લાખ લોકો આવશે તેવો કરાયો હતો પરંતુ નજરે 1 લાખ લોકો માંડ જોવા મળ્યા. રેલીમાં અનેક મુદ્દાનો ઉલ્લેખ કરાયો. ઈમરાને ઈમોશનલ કાર્ડ પણ ખેલ્યું. તેમને કહ્યું કે- જીવ જશે કે સરકાર. હું ગુનેગારોને માફ નહીં કરું. વિરોધ પક્ષના ત્રણ ઉંદર પોતાના દેશને લૂંટી રહ્યાં છે.

    ખાને ભાષણમાં ભારતનો ઉલ્લેખ બે વખત કર્યો. પહેલી વખત ક્રિકેટને લઈને અને બીજી વખત ડેવલપમેન્ટના મુદ્દે. ઈમરાને કહ્યું- આજે ભારત આપણાંથી દરેક મામલે આગળ છે. આ આપણાં પૂર્વ શાસકોની નાલાયકીનું પરિણામ છે. 90ના દશકામાં જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા આવતી હતી ત્યારે તેમના પ્લેયર્સને લાગતું હતું કે તેઓ કોઈ પૈસાદાર દેશમાં આવી ગયા છે.

    ભારતીય સમય મુજબ ઈમરાને સાંજે 7:28 વાગ્યે ભાષણ શરૂ કર્યું અને તે રાત્ર 9:27 વાગ્યે ખતમ થયું.

  • ઈમરાનના ભાષણની મહત્વપૂર્ણ વાતો

    • વિપક્ષના 3 ઉંદર પરત ફરી રહ્યાં છે- અસલી હકિકત ભાષણના અંતે જણાવીશ. પાકિસ્તાન નથી જાણતું કે આપણો દેશ કેટલો અમીર છે, આપણી પાસે તો સોનાની ખાણ છે. પાકિસ્તાનમાં બેરોજગારી સૌથી ઓછી છે. પાકિસ્તાનમાં 50 વર્ષ પછી કોઈ ડેમ બની રહ્યો છે.
    • પાર્લામેન્ટમાં જ્યારે વોટિંગ થશે ત્યારે આખી કોમ જોવા મળશે. જો વિપક્ષને સરકાર પસંદ નથી તો તેઓ રાજીનામું આપી દે. 25 કરોડ રૂપિયા કેમ લઈ રહ્યાં છો. ભારત વિરૂદ્ધ 24 વનડેમાંથી 19 મેચ જીતી. અમ્પાયર પણ તેમના હતા, તેમ છતાં જીત્યાં.
    • ખીસ્સામાંથી એક પત્ર કાઢીને દેખાડ્યો, પરંતુ તે ન જણાવ્યું કે તેમાં શું લખ્યું છે. કહ્યું- ટૂંક સમયમાં જ ખુલાસો કરીશે. હું એવી કોઈ વાત નથી કરવા માગતો કે મારા દેશને નુકસાન થાય. તેથી મેં પૂરી વાત નથી કરી. મને કોઈ ઈન્સાન કંઈ ન આપી શકે. મારી પાસે કોઈ વસ્તુથી ઉણપ નથી.
    • 90ના દશકામાં જ્યારે ભારતના પ્લેયર પાકિસ્તાન આવતા હતા તો તેમને લાગતું હતું કે કોઈ અમીર દેશમાં આવી ગયા છીએ. આજે હિન્દુસ્તાન દરેક મુદ્દે આપણાંથી આગળ છે. બાંગ્લાદેશ પણ આપણાંથી ઘણું આગળ નીકળી ગયું છે.
    • જૂનાં લીડર્સના કારણે ધમકીઓ મળી રહી છે. બીજા દેશે આપણાં કેટલાંક લોકોની મદદથી દેશની સરકાર તોડી પાડવાની ચાલ રમી છે.
    • દેશને તોડવાના પ્રયાસ બીજા દેશમાંથી થઈ રહી છે. આ ષડયંત્રનો મને ઘણાં મહિનાઓથી જાણ છે. પરંતુ અમે કોઈની ગુલામી નહીં કરીએ. બહારથી પૈસા આવી રહ્યાં છે અને દેશની સરકાર બદલાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.
    • જેનું કોઈ માન નથી તેની કોઈ ઈજ્જત નથી કરતા. અમે સુપર પાવર્સની ગુલામી કરીએ છીએ. બીજા મુલ્કના પૈસા લઈને પોતાના લોકો પર જ બોમ્બ ફેંકે છે.
    • 90ના દશકામાં આતંકી રહેલા રમ્ઝી યુસુફનો ઉલ્લેખ કરતા ઈમરાને કહ્યું, તેને અમેરિકાને સોંપવામાં આવ્યો. ત્યાં તેમના વકીલે કહ્યું- પાકિસ્તાની તો ડોલર્સ માટે પોતાની માતા-બહેનોને વેચી શકે છે.
    • અમારી સરકાર 10 અબજ વૃક્ષો વાવી રહ્યાં છે. જેમાં ફ્યૂચર સારું છે. પાકિસ્તાનને દુનિયાનું સૌથી મોટું ટૂરિઝ્મ સેન્ટર બનાવીશું.
    • પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ પછી પહેલું શહેર બની રહ્યું છે. જેનું નામ રાવી સિટી છે. આ દુનિયાના સૌથી મોર્ડન શહેરોમાંથી એક હશે. જનરલ મુશર્રફે ચોર અને ડાકૂઓનો સાથ આપ્યો. આજે આપણે તેના દેવાંની ભરપાઈ કરી રહ્યાં છે.
    • સરકાર તો આવે છે અને જાય છે, જીવ જતો હોય તો જાય પણ ગુનેગારોને માફ નહીં કરું.
    • ઈમરાનની રેલી પહેલા તેમના સ્પેશિયલ એડવાઈઝર શાહઝેન બુગતીએ રાજીનામું આપી દીધું. બુગતીએ કહ્યું- ખાને દેશને ડૂબાડી દીધો છે. ઈમરાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ 28 માર્ચે આવશે. જેના પર વોટિંગ 3 કે 4 એપ્રિલે થઈ શકે છે.

    બિલાવલ ભુટ્ટોએ કહ્યું- કેપ્ટન ફરી પિચ છોડી ગયા
    પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ આરોપ લગાવ્યો કે ઈમરાન ઈચ્છે છે કે સ્ટેટ ઈન્સ્ટિટ્યૂશન્સ તેમની પાર્ટીના કહ્યાં પ્રમાણે કામ કરે પરંતુ અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આગામી ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ થશે. કોઈ એક ઈન્સાન માટે અમે આપણાં સ્ટેટ ઈન્સ્ટિટ્યૂશન્સને વિવાદાસ્પદ નહીં બનવા દઈએ. ઈમરાન પર કટાક્ષ કરતા બિલાવલે કહ્યું કે, 'કેપ્ટન ફરી પિચ છોડી ગયા, હંમેશાની જેમ. સરકાર અવિશ્વાસ પ્રસ્તાવને ટાળવા માટે દરેક પેંતરા અપનાવી રહી છે.'

  • 50 મંત્રીઓ ગુમ
    પાકિસ્તાની મીડિયા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ ઈમરાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 50 મંત્રીઓ ગુમ થઈ ગયા છે. આ મંત્રીઓ ઘણા સમયથી જોવા મળ્યા નથી. માહિતી અનુસાર, 25 સંઘીય અને પ્રાંતીય સરકારોના લગભગ 25 સલાહકારો પણ ગાયબ છે. ન્યૂઝ વેબસાઈટ ARYના સૂત્રોના જણાવ્યા અનુસાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન પાર્ટીના સભ્યો આજે ઈમરાન ખાનને મળી શકે છે. પાર્ટી ઈમરાન સરકારને ચાલુ રાખવાનું સમર્થન કરી રહી છે.
  • પાકિસ્તાનની રાજનીતિ સાથે જોડાયેલા આજના અપડેટ્સ...

    • અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઇમરાનના મંત્રીઓ તેમના સાથી પક્ષોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને સંરક્ષણ પ્રધાન પરવેઝ ખટક શનિવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદા (PML-Q)ના નેતાઓને મળ્યા હતા.
    • ગૃહમંત્રી શેખ રાશિદે થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં વહેલી સામાન્ય ચૂંટણી થઈ શકે છે, પરંતુ હવે તેમણે પોતાના નિવેદન પરથી યુ-ટર્ન લીધો છે. ઈસ્લામાબાદમાં મીડિયાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે આ માત્ર મારો અભિપ્રાય છે. આ પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી.
    • શુક્રવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન સરકારને મોટો ઝટકો આપ્યો છે. PTIએ સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી કે બળવાખોર ધારાસભ્યોના મતની ગણતરી ન કરવામાં આવે, જેના પર કોર્ટે કહ્યું કે કોઈપણ સાંસદ તેની પાર્ટી વિરુદ્ધ વોટ કરી શકે છે. સરકારનું કહેવું છે કે જો બળવાખોર સાંસદો અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષનું સમર્થન કરશે તો તેમને સંસદમાંથી ગેરલાયક ઠેરવી શકાય છે. જો કે, મુખ્ય ન્યાયાધીશનું કહેવું છે કે બંધારણમાં આવું કંઈ કહેવામાં આવ્યું નથી.

    શનિવારે પાકિસ્તાનના રાજકારણમાં શું થયું?
    શનિવારે મીડિયા સાથે વાત કરતા ગૃહમંત્રી શેખ રશીદે કહ્યું કે તેમણે PM ઈમરાન ખાનને સમય પહેલા ચૂંટણી કરાવવાની માંગ કરી છે. રશીદ ઇચ્છે છે કે 2022-23નું બજેટ રજૂ કર્યા પછી તરત જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે. અહીં વિપક્ષે સંસદના સ્પીકર અસદ કૈસર પર ગંભીર આરોપ લગાવ્યા. ગૃહ સ્થગિત થયા બાદ વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML-N)ના નેતા શાહબાઝ શરીફે સ્પીકર અસદ કૈસરને ઈમરાન ખાનની કઠપૂતળી કહ્યા.

    વિપક્ષ સાંસદોને ખરીદી રહ્યું છેઃ ઈમરાન
    ઈમરાન ખાને કહ્યું કે વિપક્ષો ખુલ્લેઆમ અમારા સાંસદોને ખરીદી રહ્યા છે. જો કે, કેપ્ટને હજુ પણ આશા ગુમાવી નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અસંતુષ્ટ સાંસદ ટૂંક સમયમાં જ પીટીઆઈમાં પાછા આવશે. વડાપ્રધાને દાવો કર્યો હતો કે અવિશ્વાસની દરખાસ્ત પાછળ વિપક્ષનો ઉદ્દેશ્ય તેમની સામેના ભ્રષ્ટાચારના કેસો બંધ કરવા માટે સરકારને "બ્લેકમેલ" કરવાનો હતો. પરંતુ તેઓ તેના માટે બિલકુલ તૈયાર નથી.

    ઝૂકવાના મૂડમાં નથી PPP, PML-N
    પાકિસ્તાનમાં આ સમયે કિંમતો ભયંકર રીતે વધી રહી છે. દૂધ, તેલ, ઘઉં, ઈંડા, વીજળીના ભાવ આસમાને પહોંચ્યા છે. વિપક્ષે આને મુદ્દો બનાવ્યો છે. આ મુદ્દે પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટોની પાર્ટી PPP, નવાઝ શરીફની પાર્ટી PML-Nસરકારને દુર કરવા ઈચ્છે છે. તેમણે આરોપ લગાવ્યા છે કે વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની સરકાર દેશમાં આર્થિક કટોકટી અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે. અને તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

    પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે ઈમરાન ખાન ઈચ્છતા હતા કે દેશની સંસ્થાઓ તેમની પાર્ટીની ટાઈગર ફોર્સ તરીકે કામ કરે પરંતુ તેઓ આવું થવા નહીં દે. તેમણે કહ્યું કે અમે કોઈને પણ અમારી સંસ્થાઓને એક વ્યક્તિ માટે વિવાદાસ્પદ બનાવવા નહીં દઈએ.

    શું ઇમરાન ખાન ખુરશી છોડશે?
    પાકિસ્તાનમાં એવી ચર્ચા છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ઈમરાન ખાન રાજીનામું આપી શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે કેટલાક એવા સંકેત પણ મળી આવ્યા છે. હકીકતમાં પાકિસ્તાનના પીએમ ઓફિસની યુટ્યુબ ચેનલનું નામ PMOથી બદલીને ઈમરાન ખાન કરી દેવામાં આવ્યું છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઈમરાન આજની રેલીમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

    શેખ રશીદે ચૂંટણીના સંકેત આપ્યા
    પાકિસ્તાનમાં હોબાળા વચ્ચે ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે. ગૃહમંત્રી શેખ રશિદે બે વાર કહ્યું છે કે દેશે સામાન્ય ચૂંટણીઓ માટે તૈયાર રહેવું જોઈએ. શનિવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે પીએમ ઈમરાન ખાનને સમય પહેલા ચૂંટણી કરાવવાની માંગ કરી છે. શેખ રશીદ ઈચ્છે છે કે 2022-23નું બજેટ રજૂ કર્યા બાદ તરત જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે. ફરી એકવાર તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં સમયથી પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે, જો કે બાદમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.

    પાકિસ્તાનમાં એકપણ વડાપ્રધાન 5 વર્ષ પૂરા કરી શક્યા નથી
    પાકિસ્તાનમાં લોકશાહીનો મિજાજ કંઈક એવો રહ્યો છે કે ત્યાં લોકશાહી ક્યારેય ખીલી શકી જ નથી. ભારત વિરોધ, કાશ્મીર રાગ, શસ્ત્ર માટેની દોડ અને ધાર્મિક કટ્ટરતામાં આ દેશ ક્યારેય વિકાસ પામી શક્યો નથી. આ દેશમાં આજ સુધી એકપણ વડાપ્રધાન તેમના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. ક્યારેક લશ્કરી સરમુખત્યારોએ લોકો દ્વારા ચૂંટાયેલા પીએમને કચડી નાખ્યા, તો ક્યારેક અદાલતોએ પીએમને ગેરલાયક ઠેરવ્યા. અથવા તો કેટલીકવાર પોતાના જ કાર્યોથી સરકાર પડી ગઈ. જો ઈમરાનની સરકાર પડી જશે તો તેમને આ ત્રીજી કેટેગરીમાં સામેલ કરવામાં આવશે.

    જો તમને પાકિસ્તાનની રાજનીતિમાં 5 વર્ષ પહેલા જુલાઈ 2017ની ઘટના યાદ હશે તો તમને પનામાગેટ પ્રકરણ યાદ હશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં પનામાગેટ કેસમાં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પીએમ પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા અને તેમને વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી પોતાના નિર્ણયમાં નવાઝ શરીફને પનામા કેસમાં દોષી ઠેરવ્યા હતા. આ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ રહેલા પરવેઝ મુશર્રફે પણ નવાઝ શરીફને પીએમ પદ પરથી હટાવી દીધા હતા.