અમેરિકા જવા માગતા ભારતીયો માટે રાહત:ટ્રાવેલ બૅન વખતે વિદેશીઓને વિઝા ના આપવા ગેરકાયદેઃ અમેરિકી કોર્ટ
અમેરિકાની ફેડરલ કોર્ટના જજે કોરોનાનું સંક્રમણ રોકવાના આશયથી લગાવવામાં આવેલા ટ્રાવેલ બૅન દરમિયાન વિદેશીઓને વિઝા નહીં આપવાના સરકારના નિર્ણયને ગેરકાયદે ઠેરવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી અમેરિકા જવા માગતા ભારતીયોને રાહત મળશે.
વિવિધ ઇમિગ્રેશન લૉ ફર્મ્સ અમેરિકી કોર્ટમાં સરકારના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ટ્રાવેલ બૅનનો અર્થ વિઝા પર પ્રતિબંધ ન હોઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટ્ાવેલ બૅનના નામે વિઝાની પ્રોસેસ અટકાવી શકાય નહીં.
આ સાથે જજે વિઝા પ્રક્રિયા અટકાવી દેવાના નિર્ણયને રદ ઠેરવ્યો છે. અમેરિકાએ ટ્રાવેલ બૅનના નામે ભારત ઉપરાંત ચીન, ઈરાન, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, યુકે સહિતના દેશોના પ્રવાસીઓના વિઝાની પ્રક્રિયા અટકાવી દીધી હતી.
આ બૅનની સૌથી ઘેરી અસર ભારત સહિતના દેશોના એવા લોકો પર થઈ હતી જેઓ કોરોનાકાળમાં પોતાના પરિવારજનોની દેખભાળ રાખવા કે તેમને મળવા માટે સ્વદેશ આવ્યા હતા. યુએસ સરકારના નિર્ણયને કારણે તેઓ અમેરિકા પાછા ફરી શકતા નહોતા.