શુકન-અપશુકન:1 નંબરના બંગલામાં જે CM રહ્યા, તે ટક્યા નહીં; નરેન્દ્ર મોદી 26 નંબરના બંગલામાં રહ્યા અને 1 નંબરના બંગલાને ઓફિસ બનાવી હતી

શુકન-અપશુકન:1 નંબરના બંગલામાં જે CM રહ્યા, તે ટક્યા નહીં; નરેન્દ્ર મોદી 26 નંબરના બંગલામાં રહ્યા અને 1 નંબરના બંગલાને ઓફિસ બનાવી હતી

મુખ્યમંત્રી માટે 26 નંબરનો બંગલો લકી માનવામાં આવે છે

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર નવી બની છે

હવે મંત્રીઓના નિવાસસ્થાનની ફાળવણી કરવામાં આવશે

 

ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તી રહી છે, જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીપદ ગુમાવવું પડે છે. એટલું જ નહીં, મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ નથી. ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે, જેમાં કુલ 42 બંગલા છે. એમાં બધા બંગલાને નંબર ફાળવવામાં આવ્યા છે, પણ 13 નંબરનો કોઈ બંગલો નથી, કેમ કે એ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.

જેઓ એક નંબરના બંગલામાં રહે તેઓ પાંચ વર્ષ પૂરા ના કરી શકે
ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર નથી. કેટલીક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો, એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહે તેઓ પાંચ વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ હતી.

મોદીએ પણ 26 નંબરના બંગલામાં રહેવાનું પસંદ કર્યું હતું
ગુજરાતના મુખ્યમંત્રીને ફાળવવામાં આવતો એક નંબરનો બંગલો અપશુકનિયાળ માનવામાં આવતો હોવાથી 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલી તોડી બંગલા નંબર 1ની બાજુ આવેલા બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યું અને ચીફ મિનિસ્ટર બંગલાને પોતાની ઓફિસ બનાવી હતી. જોકે મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયા નહિ તો પણ તેમને એક જ વર્ષમાં સત્તા છોડી દેવી પડી હતી. હવે વિજય રૂપાણી પણ બંગલા નંબર 26માં રહેતા હતા છતાં પણ તેમણે સત્તા છોડવી પડી હતી.

26 નંબરનો લકી બંગલો
ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટૂ મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમનેમુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી બીજા નંબરે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો. એ પછી તેઓ મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતાં મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસના શીરે આવી ગયો હતો.

કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવેલો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યપ્રધાન બન્યા એ જાણીતી વાત છે. બળવો કરી સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળમાં દિલીપ પરીખને આપ્યો હતો. સપને પણ મુખ્યમંત્રી બનવાનો વિચાર ન કર્યો હોય એવા દિલીપ પરીખ પણ થોડા મહિનાઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

ગાંધીનગરમાં 13 નંબરનો બંગલો જ નથી
સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે અપશુકનની માન્યતાને કારણે મંત્રીઓના બંગલામાં 13 નંબરનો કોઈ બંગલો રાખવામાં આવ્યો જ નથી, એને બદલે 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.