ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા આયોજકોએ કહ્યું- આ વર્ષે પણ ગરબા નહીં રમાડીએ

ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા આયોજકોએ કહ્યું- આ વર્ષે પણ ગરબા નહીં રમાડીએ

ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અશક્ય, ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોષાય તેમ નથી

મોટા આયોજનનો સમય પણ હવે નથી રહ્યો

આયોજકોએ કહ્યું- રાજકારણીઓ જેવી ભૂલ ન કરાય

સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓએ ગરબા વિનાના નવ દિવસ પસાર કરવા પડશે. ત્રીજી લહેરની આશંકાને પગલે 2020ની જેમ 2021ની નવરાત્રિનું આયોજન ગુજરાત માટે વસમું નીવડે તેમ લાગી રહ્યું છે.

રાજ્યના મોટા ગરબાના આયોજકો સાથે દિવ્ય ભાસ્કરે આ બાબતે વાત કરી હતી. જેમાં મોટા ભાગના આયોજકો એક જ સૂર રેલાવી રહ્યાં છે કે સરકાર ત્રીજા વેવની તૈયારી કરી રહી છે. જોખમ ન લેવાના અભિગમ સાથે સરકારે હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરી નથી. જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું રિસ્ક યુનાઈટેડ વે નહીં લે
યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું- ત્રીજા વેવની બીક છે. પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે. ગરબાનું આયોજન નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી. આ વર્ષે આયોજન શક્ય લાગતું નથી.

સરકાર પરવાનગી આપે તો પણ ગરબા નહીં
વડોદરાના મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું- ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

માસ્ક પહેરીને ગરબા થઈ શકે નહીં, ખેલૈયાઓ પ્રોટોકોલને અનુસરશે નહીં

શહેર આયોજન-આયોજક ગરબા અંગે નિર્ણય
વડોદરા યુનાઇટેડ વે ઓફ બરોડા

પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું રિસ્ક ના લઈ શકીએ

વડોદરા મા શક્તિ

એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે ગરબાનું આયોજન ના કરવું જોઈએ

અમદાવાદ ફ્રેન્ડ્સ ગરબા

માસ્ક વગર ગરબા થવા શક્ય નથી, સંક્રમણનો ભય રહેલો છે

અમદાવાદ શંકુઝ એન્ટરટેઇન્મેન્ટ

લઘુતમ ખેલૈયા સાથે ગરબા કરવા પોષાય તેમ નથી

અમદાવાદ બોલિવૂડ દાંડીયા

આ વખતે નવરાત્રિ ભૂલવી જોઇએ, ખેલૈયાઓ થનગનાટમાં ભાન ભૂલે તે સ્વભાવિક છે

સુરત ઇન્ડોર સ્ટેડિયમ

500થી 1000 માણસની પરવાનગી મળે તો પણ કોમર્શિયલ ગરબા પોષાય તેમ નથી

સુરત સરસાણા કન્વેનિયન્સ

ગરબા કરીએ અને અધવચ્ચે પોલીસ આવીને બંધ કરાવે તે પસંદ નથી

રાજકોટ નિલ ક્લબ

નૈતિક રીતે ગરબા ન કરવા જોઇએ, ગરબામાં કોઈ પ્રોટોકોલનો અમલ શક્ય જ નથી

ભુજ રોટરી વોલ સિટી

રાજકારણીઓ જેવી ભૂલ ન થાય, ચાલુ ગરબામાં લૉકડાઉન થાય તો શું કામ કરીએ

ભુજ ડ્રીમ્સ ગરબા

પરવાનગી મળે તો પણ નહીં કરીએ, લોકોનું આરોગ્ય સૌથી ઉપર

ભરૂચ પટેલ કોલોની

સપ્ટેમ્બર પછી ત્રીજા વેવની વકી છે, આ વખતે ગરબા નથી તેમ જ સમજો