અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનો દિવાળી સુધી હાઉસફુલ, રેલવે વધારાની ટ્રેનો દોડાવશે
તહેવારો ઉપરાંત છઠ પૂજા માટે ઉત્તર ભારતીયોનું વતન જવા મોટાપાયે બુકિંગ
અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી વિશેષ ટ્રેનોમાં મોટી સંખ્યામાં શ્રમિકો પરત ફરતા ટ્રેનો હાઉસફુલ આવી રહી છે. ત્યારે આગામી દિવાળી અને છઠ પુજાના તહેવારો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્તર ભારત તરફ જતા હોવાથી આ સમય દરમિયાન તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. તેમાં પણ દિવાળી પહેલા તો કેટલાક શહેરો માટે નોરૂમ પણ આવી ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ ડિવિઝન દ્વારા દિવાળીમાં પેસેન્જરોની સુવિધા માટે વધુ કેટલીક વિશેષ ટ્રેનો શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને રેલવે બોર્ડની મંજૂરી બાદ અમદાવાદથી આ ટ્રેનો દોડાવવામાં આવશે.
કોરોના કાળમાં રેલવે દ્વારા હાલ રેગ્યુલર ટ્રેનોનું સંચાલન બંધ છે. હાલમાં અમદાવાદ સહિત દેશના કેટલાક રૂટ પર વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ-પટના, અઝીમાબાદ, અમદાવાદ -ગોરખપુર, અમદાવાદ-મુઝફ્ફરપુર, અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ઉપરાંત તાજેતરમાં શરૂ થયેલી અમદાવાદ – પુરી એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી સંખ્યામાં શ્રમિકો પરત ફરતા આ ટ્રેનો હાઉસફુલ આવે છે. પરંતુ હાલમાં અમદાવાદથી જતી વખતે આ ટ્રેનોમાં લોકોને સરળતાથી જગ્યા મળી રહેતી હતી.
જો કે હવે દિવાળીનો સમય નજીક આવતા અમદાવાદથી ઉપડતી આ ટ્રેનો હાઉસફુલ થઈ રહી છે. તેમાં પણ નવેમ્બરમાં તો આ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ સ્લીપરમાં 300ને પાર તો થર્ડ એસીમાં 100 સુધી પહોંચી ગયું છે. હાલમાં કોરોના મહામારીને પગલે રિઝર્વેશન ટિકિટ વગર કોઈને પણ ટ્રેનમાં બેસવા દેવાતા નથી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ટિકિટ માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ઉત્તર ભારતનાં શહેરો માટે વેઇટિંગ
શહેર | સેકન્ડ સીટ | સ્લીપર | થર્ડ AC | સેકન્ડ AC |
વારાણસી | 65 | નોરૂમ | 55 | 30 |
પટના | 106 | 262 | 99 | 27 |
હાવડા | 50 | 310 | 98 | 31 |
ગોરખપુર | 66 | 245 | 64 | 18 |
મુઝફ્ફરપુર | 69 | 262 | 69 | 27 |
સોમનાથ-જબલપુર વચ્ચે વિશેષ ટ્રેન
રેલવ4 ઓક્ટોબરથી સોમનાથ-જબલપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. ટ્રેન સોમનાથથી સવારે 9.30 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 14.20 વાગ્યે જબલપુર પહોંચશે. આ ટ્રેન માટે 2 ઓક્ટોબરથી બુકિંગ શરૂ થશે.