અમદાવાદમાં ધનતેરસે ધૂમ ખરીદી:અંદાજે 80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ

અમદાવાદમાં ધનતેરસે ધૂમ ખરીદી:અંદાજે 80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ

ચાંદીની ખરીદી શુકનવંતી મનાતી હોવાથી ચાંદીની લગડીનું સૌથી વધુ વેચાણ થયું

 

શહેરમાં અંદાજે રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદી અને 80 કરોડના 125 કિલો સોનાનું વેચાણ થયું છે. શહેરના વેપારીઓએ ધાર્યા કરતા વધારે વેચાણ થયું હોવાનું જણાવ્યું હતું. આ વખતે ચાંદીની લગડીઓનું વેચાણ ગત વર્ષો કરતા વધારે થયું છે. આ ઉપરાંત હીરા-ઝવેરાત અને પ્લેટિનમ મળીને અંદાજે 100 કિલો જેટલું વેચાણ થયું છે.

ધનતેરસે ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. શહેરમાં ધનતેરસના દિવસે 1 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું છે. ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ તેર ગણી વધી જાય છે. જેથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે સૌથી વધારે ચાંદીનું વેચાણ થતું હોય છે. સતત બે વર્ષથી મંદીમાં રહેલા સોનીઓને ધનતેરસે ચાંદી ચાંદી થઇ ગઇ છે.

દિવાળી પછી ભાવ વધી શકે
ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 125 કિલો સોનાનું અને 100 કિલો કરતા વધારે હીરા, ઝવેરાત અને પ્લેટિનમનું વેચાણ થયું છે. નવરાત્રિથી વેપાર સારો થઇ રહ્યો છે, પરંતુ દિવાળી પછી સોના-ચાંદીના ભાવ વધી શકે છે. જેના કારણે લોકો દાગીના, લગડી લેવા લાગ્યા છે. તેમજ લગનસરાની ઘરાકી ચાલુ થઇ છે. - નિશાંત સોની, સોના-ચાંદીના વેપારી