કોરોના વાયરસની દવા સમજી ઝેરી દારૂ ગટગટાવી જતા એક જ ઝાટકે 600 લોકોના મોત

કોરોના વાયરસની દવા સમજી ઝેરી દારૂ ગટગટાવી જતા એક જ ઝાટકે 600 લોકોના મોત

કોરોના વાયરસથી બચવાના ચક્કરમાં ખોટી અફવાઓમાં ભોળવાઈને નીટ આલ્કોહોલ (ઝેરીલો દારૂ) પીવાથી ઈરાનમાં 600 લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે હજી 3000 લોકો એવા પણ છે જેમને દેશની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે. જેથી માનવામાં આવે છે કે, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

ઇરાનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા આશરે 3800 છે પરંતુ આ દરમિયાન ખોટી અફવાથી પ્રેરાઈને ઝેરી આલ્કોહોલ પીવાના કારણે અહીં 600 લોકોના મોત થઇ ગયાં છે.

ઇરાનના એક પ્રવક્તા ઘોલમ હુસેન ઇસ્માઇલીએ જણાવ્યું હતું કે, લોકોએ કોરોના વાયરસની દવા સમજીને નીટ આલ્કોહોલ પી લીધું હતું. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો બીમાર થઇ ગયાં. ઇસ્માઇલીએ ઉમેર્યું હતું કે, ઝેરી આલ્કોહોલ પીવાથી થનાર મોતનો આંકડો ઘણો મોટો છે અને આ આશંકાઓ કરતાં ઘણો વધુ છે. તેમણે કહ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બિમાર સ્વસ્થ નહી થાય પરંતુ તે જીવલેણ સાબિત થઇ શકે છે.

ઝેરી આલ્કોહોલ પીવાના કારણે 3000 જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી પણ અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. માટે આશંકા સેવાઈ રહી છે કે, આ કેસમાં મૃતાંક હજી પણ વધે તેવી શક્યતા છે.

તેમણે તેમ પણ કહ્યું હતું કે, આ મામલે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો પર આપરાધિક ગતિવિધિ માટે કેસ ચલાવવામાં આવશે.

ઇરાનમાં કોરોના વાયરસથી 62 હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. પરંતુ ઇરાન તરફથી કોરોના વાયરસને લઇને જારી આંકડાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે. સરકાર પર આરોપ છે કે તે મૃતકોની સંખ્યા ઓછી કરીને દેખાડી રહી છે.