…લ્યો રેમડેસિવિર : ‘98241-27694’ આ ફોન નંબર ઇન્જેક્શનના ‘સરકાર’ C.R.પાટીલનો છે, પરેશાન પ્રજા ફોન કરીને ઇન્જેક્શન માંગે
અમને મિત્રોની મદદથી ઇન્જેક્શન મળ્યાં – પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5000 રેમેડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદ સર્જાયો હતો. પાટીલે આ ઇન્જેક્શન કેવી રીતે મેળવ્યા એવા સવાલો થયા હતા. આ અંગે શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછાયું કે પાટીલ પાસે આ ઇંજેક્શન કેવી રીતે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મને ખબર નથી પાટીલને પૂછો.’ આ તરફ પાટીલે દાવો કર્યો હતો કે કેટલાંક સેવાભાવી મિત્રોની મદદથી ઇન્જેક્શનનો જથ્થો મેળવ્યો હતો.
કોંગ્રેસે ફૂ઼ડ એન્ડ ડ્રગ્સ વિભાગને પત્ર લખ્યો
કોંગ્રેસે આ સમગ્ર વિવાદમાં ભાજપ સરકારની ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી એવી સ્થિતિમાં પાટીલ ઈન્જેકશન કયાંથી લાવ્યા. આ અતિ ગંભીર સવાલ છે. આ તરફ કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડાએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જેમ પાટીલે 5000 ઇન્જેક્શન સુરત માટે મેળવ્યાં તેમ 2,500 ઇન્જેક્શન કોંગ્રેસને ગાંધીનગર માટે આપવામાં આવે.
લાઇસન્સ વિના આટલો સ્ટોક રાખવો ક્રાઈમ, શું પાટીલ સામે ગુનો નોંધાશે?
કાયદો કહે છે કે, સરકારી નિયંત્રણમાં હોવાના કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વિના નામ મળી શકે. એટલું જ નહીં, લાઇસન્સ વિના કોઈ પણ આટલો સ્ટોક પણ ના રાખી શકે. સરકારે નિયમ બનાવ્યા છે કે, કોઈ પણ વ્યક્તિને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવ્યા વિના 6થી વધુ ઈન્જેક્શન ના મળી શકે. એટલે સવાલ એ છે કે, સી.આર. પાટીલ પાસે 5000 રેમડેસિવિર ઈન્જેક્શન કેવી રીતે પહોંચ્યા? તે પણ સરકારને જાણ વિના. સવાલ એ પણ છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ પાટીલ સામે ગુનો નોંધશે કે પછી તપાસનો દેખાડો કરશે? જોકે, સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, સી.આર. પાટીલને આ 5000 રેમડેસિવિર ઈન્જેક્શન સરકારી મદદ વિના મળ્યા ના હોત!
સુરતની હોસ્પિટલ માટે 10 હજાર રેમડેસિવીર આસામથી મંગાવાયાં
રાજ્ય સરકારે સુરતની કિરણ હોસ્પિટલને 10 હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડવાની જાહેરાત કરી હતી. આ ઇન્જેક્શન ખાસ કિસ્સામાં આસામના ગૌહત્તીથી એર લિફ્ટ કરીને સુરત પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12હજાર 500 રેમડીસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે.
( Source – Divyabhaskar )