પુરીમાં ભગવાન જગન્નાથ 15 દિવસ માટે ક્વોરન્ટીન થયા, 284 વર્ષમાં પ્રથમ વખત રથયાત્રામાં શ્રદ્ધાળુ સામેલ નહીં થાય

પુરીમાં ભગવાન જગન્નાથ 15 દિવસ માટે ક્વોરન્ટીન થયા, 284 વર્ષમાં પ્રથમ વખત રથયાત્રામાં શ્રદ્ધાળુ સામેલ નહીં થાય

  • પુરીમાં 1 જુલાઈ સુધી ધારા 144 લાગુ રહેશે, બહારનાં વાહનો અને ટ્રેનોને ભુવનેશ્વરમાં રોકવામાં આવી રહ્યાં છે
  • રથયાત્રામાં પંડા-પૂજારી જ રહેશે, પીએમ-સીએમને અપાયું આમંત્રણ

પુરી. જ્યેષ્ઠ પૂર્ણિમા પર સ્નાન કર્યા પછી ભગવાન જગન્નાથ અને તેમનાં ભાઈ-બહેન બીમાર થઈ ગયાં છે, જેના કારણે આગામી 15 દિવસ માટે તેઓ ક્વોરેન્ટાઈનમાં રહેશે. કેટલાક ખાસ સેવકોને જ તેમની પાસે જવાની મંજૂરી રહેશે. 15 દિવસના આ સમયને ‘અણસર’ કહેવાય છે. આ દરમિયાન તેમને માત્ર પાણી, ફળ અને ઉકાળાનો જ ભોગ ચઢાવાય છે. એવી માન્યતા છે કે એકાંતવાસ અને ઔષધિઓના સેવનથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા 15 દિવસમાં સ્વસ્થ થઈ જશે અને અષાઢ પ્રતિપદાના રોજ નવયૌવન ધારણ કરશે. દ્વિતીયા (23 જૂન)ના રોજ 9 દિવસની રથયાત્રા શરૂ થશે.

જુલાઈ-1થી ધારા 144 લાગુ કરાઈ છે
દર વર્ષે સ્નાનયાત્રામાં લગભગ બેથી અઢી લાખ દર્શનાર્થી મંદિર પહોંચે છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે માત્ર પૂજારી અને પુરોહિતોને જ સ્નાનયાત્રામાં સામેલ થવાની તક મળી છે. 9 દિવસની રથયાત્રામાં પણ આ વખત માત્ર પુરીના પંડા-પૂજારી અને સુરક્ષા કર્મચારીઓને સામેલ થવાની મંજૂરી અપાઈ છે. 284 વર્ષમાં એવું પ્રથમ વખત થયું છે કે સ્નાનયાત્રામાં એક પણ શ્રદ્ધાળુ સામેલ થયો નથી અને રથયાત્રામાં પણ કોઈને આવવાની મંજૂરી નથી. જેનું કારણ, પુરીમાં 1 જુલાઈ સુધી ધારા-144 લાગુ કરાઈ છે. આથી પુરીમાં બહારનાં વાહનોનો પ્રવેશ પણ પ્રતિબંધિત છે અને ટ્રેનોને પણ ભુવનેશ્વરમાં જ રોકી લેવામાં આવી રહી છે. જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી જનાર્દન પટ્ટાજોશી મહાપાત્રએ કહ્યું કે સ્નાનયાત્રા અને રથયાત્રામાં ભગવાન જગન્નાથને વિશ્વ કલ્યાણ અને કોવિડ-19ને સમાપ્ત કરવાની પ્રાર્થના કરાઈ છે. ‘અણસર’નો સંદેશો એવો છે કે, બીમાર પડીએ તો પોતે એકાંતવાસમાં રહેવું જોઈએ. આ વખતે રથયાત્રામાં શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી નથી, આથી તેમના પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન અને તમામ મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું છે.