કર્ફ્યુનું પાલન કરાવવા જડબેસલાક બંદોબસ્ત, લોકડાઉન ભંગ કરતાં 80 હજારથી વધુ લોકોની ધરપકડ
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, 3 મે સુધી લોકડાઉન વધારાયું છે. આવતીકાલે 6 વાગ્યાથી કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. શાહપુર, કારંજ, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર, દાણીલીમડામાં કર્ફ્યુ લાગુ થશે. કર્ફ્યુ વિસ્તારમાં 1થી 4 મહિલાઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. દૂધ, શાકભાજી, જીવન જરૂરી વસ્તુ માટે છૂટછાટ આપવામાં આવી છે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, કર્ફ્યુમાં 2000 કરતાં વધુનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. 374 નાકાબંધી, 159 PCR વાન, RAF તૈનાત કરવામાં આવી છે. પેરામિલિટરી ફોર્સની મહિલા બટાલીયન પણ તૈનાત કરાઈ છે. બાકીના વિસ્તારમાં પુરતો સ્ટાફ લોકડાઉનનો અમલ કરાવશે. અતિઆવશ્યક સેવાઓ માટે કર્ફ્યુ પાસ મેળવવા જરૂરી છે. કર્ફ્યુ પાસ ઓનલાઈન મેળવી શકાશે.
શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકોને પોલીસની મદદની જરૂર જણાય તો સંપર્ક કરે. હોટસ્પોટ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાશે. ગુજરાતને સારું પરિણામ મળે તે માટે કામ કરીશું. આ પોલીસની ફરજ નહીં, માનવ ધર્મ છે. બીમારી પર કાબુ ન થાય ત્યાં સુધી કામ ચાલુ રહેશે. હોટસ્પોટ ઉભા ન થાય તે માટે કઠોર પગલાં લેવાશે. ગુજરાતમાં કુલ 51361 ગુના નોંધાયા છે. 80 હજાર કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં 1.20 લાખ જવાનો ખડેપગે છે. અને લાખો લોકોના ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
