મનમોહનનો મોદીને પત્ર : અમેરિકા અને યુરોપે જે વેક્સિનને મંજૂરી આપી, તેને ટ્રાયલ વગર ઉપયોગ કરવાની મંજૂરી આપો

મનમોહનનો મોદીને પત્ર : અમેરિકા અને યુરોપે જે વેક્સિનને મંજૂરી આપી, તેને ટ્રાયલ વગર ઉપયોગ કરવાની મંજૂરી આપો

કોરોના સંક્રમણની બીજી લહેરથી દેશની સ્થિતિને જોતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાનું મૌન તોડ્યું છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને કહ્યું કે વેક્સિનેશન ડ્રાઈવમાં ગતિ લાવવી જોઈએ અને વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન મંગાવવા માટે એડવાન્સમાં ઓર્ડર આપી દેવા જોઈએ.

5 મહત્વની સલાહ આપતાં મનમોહને કહ્યું કે જે વેક્સિનને યુરોપ અને અમેરિકાની મોટી હેલ્થ એજન્સીઓેએ મંજૂર કરેલી, તેને સ્થાનિક લેવલે ટ્રાયલ કર્યા વગર વેક્સિનેશન ડ્રાઈવમાં સામેલ કરવી જોઈએ.

મોદીને મનમોહનની 5 સલાહ
1. સરકારે લોકોને જણાવવું જોઈએ કે કયા વેક્સિન પ્રોડયૂસર્સને કેટલાં ડોઝના ઓર્ડર આપવામાં આવ્યા છે અને આગામી 6 મહિના સુધી તેમની સપ્લાઈ માટે કેટલાં ઓર્ડર સ્વીકારવામાં આવ્યા છે. જો આપણને આ 6 મહિના દરમિયાન કોઈ નિશ્ચિત જનસંખ્યાને વેક્સિન લગાડવાની છે તો તેના માટે આપણે એડવાન્સમાં ઓર્ડર દેવા જોઈએ, કે જેથી વેક્સિન સપ્લાઈમાં મુશ્કેલી ન આવે.

2. સરકારે એમ પણ જણાવવું જોઈએ કે આ બધું કઈ રીતે કરવામાં આવશે અને તમામ રાજ્યોમાં વેક્સિન કઈ રીતે વહેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યોને 10 ટકા વેક્સિનની ડિલીવરી ઈમરજન્સી તરીકે કરી શકે છે. જે બાદ વેક્સિનની ડિલીવરી થયા પછી આગળની સપ્લાઈ કરવામાં આવે.

3. રાજ્યોને ફ્રન્ટલાઈન વર્કર્સ નક્કી કરવામાં થોડી રાહત આપવી જોઈએ, જેથી 45 વર્ષથી ઓછી ઉંમર હોવાના સંજોગોમાં તેમને પણ વેક્સિન લગાવી શકાય. ઉદાહરણ તરીકે એવું બની શકે છે કે શિક્ષકો, બસ-ટેક્સિ-થ્રી વ્હિલર ચલાવનારા, નગર પાલિકા અને પંચાયતના સભ્યો તથા વકીલોને ફ્રન્ટ લાઈન વર્કર્સ જાહેર કરવા. આ સંજોગોમાં તેમને 45 વર્ષથી ઓછી ઉંમરના હોવાના સંજોગોમાં પણ વેક્સિન લગાવી શકાય છે.

4. છેલ્લા એક દાયકાથી ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ તરીકે ઉભરી રહ્યો છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં. સરકાર દ્વારા જે નીતિ અપનાવવામાં આવી છે તેને લીધે આ શક્ય બન્યું છે. આ ઈમર્જન્સીની સ્થિતિમાં સરકારે વેક્સિન ઉત્પાદકોએ ઉત્પાદન વધારવા માટે સુવિધાઓ અને રાહતો આપવી જોઈએ. કાયદામાં લાયન્સને લગતા નિયમોને ફરી શરૂ કરવા જોઈએ,જેથી કંપનીઓ તે હેઠળ લાઈસન્સ પ્રાપ્ત કરી ઉત્પાદન શરૂ કરી શકે. એઈડ્સ જેવી બીમારીઓ સામે લડવાના સમયે અગાઉ પણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. કોવિડની વાત કરીએ તો મે વાંચ્યુ છે કે ઈઝરાયલે કમ્પલ્સરી લાઈસન્સની જોગવાઈ લાગૂ કરી છે. ભારતમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા અહીં પણ આ બાબતને લાગૂ કરી શકાય છે.

5. સ્વદેશી વેક્સિનનો પુરવઠો મર્યાદિત છે. આ સંજોગોમાં યુરોપિયન મેડિકલ એજન્સી અને USFDA જેવી વિશ્વસનીય એજન્સીઓ કે જેમણે વેક્સિનને મંજૂરી આપી છે તેનો ઘરેલુ ટ્રાયલ જેવી શરતો વગર મંગાવવામાં આવે. મને લાગે છે કે ઈમર્જન્સીની સ્થિતિમાં નિષ્ણાતો પણ તેને યોગ્ય માનશે. આ સુવિધા નિયત સમય સુધી જ હોવી જોઈએ, જેમાં ભારતમાં બ્રિજ ટ્રાયલને પૂરા કરી લેવામાં આવશે. જે લોકોને આ વેક્સિન આપવામાં આવશ તેમણે પણ આ અંગે જાણકારી આપવામાં આવશે કે તેમને વિદેશની વિશ્વસનીય એજન્સીઓની મંજૂરી ધરાવતી વેક્સિન આપવામાં આવી છે.​​​​

( Source – Divyabhaskar )