USમાં હેટ ક્રાઇમ : શૂટઆઉટમાં માર્યા ગયેલા 8 લોકોમાં 4 શીખ, ભારતીયો આઘાતમાં, ભારતીય સમાજે કહ્યું- રંગભેદ નવી વાત નથી

USમાં હેટ ક્રાઇમ : શૂટઆઉટમાં માર્યા ગયેલા 8 લોકોમાં 4 શીખ, ભારતીયો આઘાતમાં, ભારતીય સમાજે કહ્યું- રંગભેદ નવી વાત નથી

અમેરિકાના ઈન્ડિયાપોલિસમાં શુક્રવારે ફેડએક્સ પરિસરમાં થયેલા ગોળીબારમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા જેમાં 4 શીખ સમુદાયના હતા. ઘટના બાદ અહીં શીખ સમુદાયના લોકો ભયભીત છે. મોટાભાગના લોકો કહે છે કે શૂટઆઉટ ચોંકાવનારું હતું પણ ભારતીયો અને ખાસ કરીને શીખ સમુદાય માટે જાતીય ઉત્પીડન, ટિપ્પણી અને ભેદભાવ કોઈ નવી વાત નથી.

સ્થાનિક સંગઠન શીખ કોઅલિશને કહ્યું કે અમેરિકી નાગરિકોની તુલનાએ શીખોએ ભેદભાવ અને જાતીય ઉત્પીડનનો ભોગ વધારે બનવું પડે છે. શુક્રવારની ઘટનામાં માર્યા ગયેલા અમેરિકી શીખ સમુદાયના લોકોની ઓળખ અમરજીત કૌર જોહલ(66), જસવિન્દર કૌર(64), જસવિન્દર સિંહ(68) અને અમરજિત સેખો(48) તરીકે થઇ હતી. ગોળીબાર કરનારા 19 વર્ષીય શ્વેત અમેરિકી બ્રેન્ડન સ્કૉટ હોલ ફેડએક્સનો પૂર્વ કર્મચારી છે જેના બાદમાં કથિત રીતે આપઘાત કરી લીધો હતો.

ઘટનામાં માર્યા ગયેલા અમરજિત કૌર જોહલની પૌત્રી કોમલ ચૌહાણ ઈન્ડિયાપોલિસમાં રહે છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે અમે આ આઘાતથી બહાર નહીં આવી શકીએ. અમે હાલ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ કે કોણ કોણ ઘવાયો છે. અમારા પરિવારના અનેક સભ્યો એ જ પરિસરમાં કામ કરે છે. કોમલ કહે છે કે અમારા પરિવારને કાર્યસ્થળે, પૂજાસ્થળે જવામાં ડર ન લાગવો જોઈએ.

આ સ્થિતિ ઠીક નથી. અમે પહેલાથી અનેક તણાવ સહન કરી ચૂક્યા છીએ. 40 વર્ષીય પરમિન્દર ઘટનાની થોડીવાર પહેલા ફેડએક્સ બિલ્ડિંગથી નીકળ્યા હતા. ઘટના થઈ ત્યારે તે બિલ્ડિંગમાં પાછા ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મને લાગ્યું કે કોઈ અકસ્માત થયો છે. પછી એક વ્યક્તિને રાઈફલ સાથે અંદર જતા જોયો. તેમણે કહ્યું કે મેં લોકોને સાવચેત કરવા પ્રયાસ કર્યો. સિંહ કહે છે કે શીખ સમુદાયના લોકોએ વારંવાર જાતીય ટિપ્પણીઓ, ઉત્પીડન તથા ભેદભાવનો સામનો કરવો પડે છે.

સિંહ જેવા અનેક ભારતીય અમેરિકી લોકો એવું માને છે કે ઘટના એશિયન મૂળના લોકો અને પ્રવાસીઓ વિરુદ્ધ શ્વેત અમેરિકીઓના ગુસ્સાનું પરિણામ છે. કોરોના બાદ જાતીય ટિપ્પણીઓ અને ભેદભાવ વધી ગયો છે. મોટાભાગના લોકોએ ફરિયાદ કરવાનું છોડી દીધું છે. ઈન્ડિયાનાપોલિસના ડેપ્યુટી પોલીસ ચીફ ક્રેગ મેક્કાર્ટ કહે છે કે શૂટઆઉટ થોડીક મિનિટ ચાલ્યું હતું. ફેકએક્સ પરિસરની બહાર કારથી ઉતર્યા પછી શૂટરે ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પરિસરમાં ઘૂસ્યા પછી તે અંદર સુધી નહોતો ગયો. થોડી મિનિટોમાં ગોળીબાર ખતમ થઈ ગયો. આ મામલે હવે હેટ ક્રાઈમની આશંકાઓની તપાસની માગ થઇ રહી છે. શીખ કોઅલિશનના નિર્દેશક સતજીર કૌરે કહ્યું કે હાલ ઘટના પાછળના કારણ જાણી શકાયા નથી પણ એક તથ્ય એ છે કે શૂટરે એ જ પરિસરની પસંદગી કરી જ્યાં વધારે શીખ કર્મચારી હતા.

( Source – Divyabhaskar )