આક્ષેપ : વાવાઝોડાના સહાય પેકેજને કોંગ્રેસે લોલીપોપ ગણાવતા રાજકોટમાં કૃષિમંત્રીએ કહ્યું -કોંગ્રેસ માટે પેકેજ પડીકું હોઈ અમારા મતે તો આ સેવા છે

આક્ષેપ : વાવાઝોડાના સહાય પેકેજને કોંગ્રેસે લોલીપોપ ગણાવતા રાજકોટમાં કૃષિમંત્રીએ કહ્યું -કોંગ્રેસ માટે પેકેજ પડીકું હોઈ અમારા મતે તો આ સેવા છે

સરકારી આંકડા મુજબ 500 કરોડનું નુકશાન થયું છે. માટે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે – ફળદુ

રાજયમાં વાવાઝોડાએ કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોચાડ્યું છે. આ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જયારે જ્યારે રાજયમાં અતિવૃષ્ટી, દુષ્કાળ, વાવાઝોડા આવ્યા છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે અલગ અલગ કૃષિ રાહત પેકેજ આપીને તેઓને પગભર કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે. આવા સમયે કોંગ્રેસના સિનિયર આગેવાનો માનસિકતા ગુમાવી બેઠા છે. સરકારી આંકડા મુજબ 500 કરોડનું નુકશાન થયું છે. માટે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં બાગાયતી ખેતી અને ઉનાળું પાક ને નુકશાન માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પરેશ ધાનાણીએ રાહત પેકેજ મુદ્દે સોશિયલ મીડિયામાં સરકારે જાહેર કરાયેલી સહાય અવ્યાવહારિક ગણાવી હતી તેના પ્રતિકાર રૂપે કૃષિ મંત્રી ફળદુએ જણાવ્યું હતું કે,કોંગ્રેસ માટે પેકેજ પડીકું હોઈ અમારા મતે તો આ સેવા છે

16 લાખ કરતા વધારે ફળ ઝાડ પડી જવાથી નાશ પામ્યા
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ આવા સમયે પણ રાજકારણ કરે છે. હાલ વાવાઝોડાના કારણે કૃષિના વાવેતર તેમજ બાગાયત પાકોને વ્યાપક નુકશાન થયેલ છે. જેમાં મુખ્ય પ્રાપ્ત જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જુનાગઢ તથા બોટાદ જીલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે નવસારી, સુરત, ખેડા, ભરૂચ, વલસાડ, અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાઓમાં મધ્યમ કે ઓછુ નુકશાન થયેલ છે. આમ રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજીત 2 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી અસર થઇ છે. ઉપરાંત 16 લાખ કરતા વધારે ફળ ઝાડ પડી જવાથી નાશ પામેલ છે. આ અસરગ્રસ્ત જીલ્લાઓમાં કુલ 669 ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે, જે હાલ પૂર્ણતાના આરે છે.

સરકારે જાહેર કરાયેલી સહાય અવ્યાવહારિક : MLA
તૌકતેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને ઘણું નુકશાન થયું છે. ત્યારે વિધાનસભા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યુ હતુ કે,સરકારે જાહેર કરાયેલી સહાય અવ્યાવહારિક છે. કેરીના પાક અંગે ખેડૂતોને આંબાના રોપાના રૂ. 250, ખાડો ખોદવા-વાવેતરના રૂ.160, દવા- ખાતરના રૂ. 25, પાણી તથા મજુરી ખર્ચના રૂ. 100 મળી કુલ રૂ. 500 પ્રતિ આંબાદીઠ ખર્ચ છે. 10 વર્ષના ઉછેર પછી કેરીની આવક વર્ષે આંબાદીઠ 700 કિલો x રૂ.40 ભાવ ગણતાં રૂ. 28 હજાર લેખે 10 વર્ષના 2.80 લાખ થતા ખેડૂતને આંબાદીઠ રૂ. 2.80 લાખ ચુકવવાની માગ કરી હતી. જ્યારે ઉનાના ધારાસભ્ય પૂજા વંશે સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95.100ની સહાય પર્યાપ્ત ન હોવાનું જણાવ્યું હતું. આમ ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ કરતા વધુ નુકસાન ખેડૂતોએ ભોગવ્યું છે.