કોર્ટ આધારિત સરકાર : આ એ 10 નિર્ણય છે જે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા પછી રાજ્ય સરકારે નાછૂટકે લીધા

કોર્ટ આધારિત સરકાર : આ એ 10 નિર્ણય છે જે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા પછી રાજ્ય સરકારે નાછૂટકે લીધા

રેમડેસિવિર, ઓક્સિજન, RTPCR ટેસ્ટ, પ્રાઇવેટ વ્હિકલથી એડમિશન જેવા નિર્ણયો હાઈકોર્ટના આદેશથી લેવાયા અને નાગરિકોને રાહત થઈ

કોરોના અંગેની જાહેરહિતની અરજી, સુઓમોટો દ્વારા નાગરિકોની સુવિધાઓ માટે સરકારને કઈ રીતે વધુ અસરકારક કામ કરતી કરી શકાય છે તેનું સ્પષ્ટ ઉદાહરણ છેલ્લા બે મહિનામાં હાઈકોર્ટે કરેલી સુનાવણીઓ દરમિયાન જોવા મળ્યું છે. માત્ર બે મહિનામાં જ લોકોને અસરકર્તા અનેક મહત્ત્વના નિર્ણયો કે સુધારો કરવા માટે હાઈકોર્ટે આપેલા આદેશોએ સરકારને ફરજ પાડી હતી. 108 સિવાય કોરોનાના દર્દીઓને દાખલ કરવાના, આધારકાર્ડ સિવાય દાખલ કરવાના, ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર ઉપલબ્ધ કરાવવા તથા આંશિક લોકડાઉન લાદવા સહિતના રાજ્ય સરકારે લીધેલા ઘણા મહત્ત્વના નિર્ણયો હાઈકોર્ટને આભારી છે.

13 એપ્રિલ: લગ્ન સમારંભોમાં માત્ર 50 જ વ્યક્તિઓને મંજૂરીનો નિર્ણય
હાઇકોર્ટ: તમે લગ્નોમાં 100ને છૂટ આપી છે, અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં વધુ લોકો એકઠાં થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી.
સરકારે એ જ દિવસે રાત્રે લગ્ન 50 સભ્ય સાથે યોજવાની, ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે ચલાવવાની તથા ધાર્મિક સ્થળો બંધ રાખવાની જાહેરાત કરી હતી.

14 એપ્રિલ: GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની હોસ્પિટલની તાબડતોબ જાહેરાત
હાઇકોર્ટ: (સરકારને ઉદ્દેશીને) તમારી પાસે બેડની ઉપલબ્ધતા કેમ ઓછી છે તે સ્પષ્ટ કરો.
સરકારે બીજા દિવસે 15 એપ્રિલે જીએમડીસીમાં ઓક્સિજનની સુવિધા સાથેની 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવાની જાહેરાત કરી દીધી. જોકે આ હોસ્પિટલમાં દર્દીઓને પ્રવેશ મોડો અપાયો હતો.

13 એપ્રિલ: એસવીપીમાંથી દર્દીઓનાં સગાંને રેમડેસિવિરનું વિતરણ કરાયું
હાઇકોર્ટ: સરકાર ઘરે અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને રેમડેસિવિર ઉપલબ્ધ કરાવે, સરકારી અને ખાનગી હોસ્પિટલનો ભેદભાવ ન રાખે.
સરકારે 13 એપ્રિલ બાદ એસવીપી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલને પણ તેની જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું.

28 એપ્રિલ: હોસ્પિટલોમાં 108 સિવાય પ્રાઇવેટ વાહનમાં આવતા દર્દીને દાખલ કર્યા
હાઇકોર્ટ: 108 સિવાય આવતા દર્દીઓને મ્યુનિ.ની હોસ્પિટલોમાં દાખલ કેમ કરાતા નથી. મ્યુનિ.નો નિયમ સરકાર કરતાં અલગ કેમ છે?
અમદાવાદ મ્યુનિ.એ 29 એપ્રિલે તેની તમામ હોસ્પિટલોમાં 108 ઉપરાંત ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ એડમિશનનો નિર્ણય લીધો.

28 એપ્રિલ: શહેર બહારના દર્દીઓને મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય
હાઇકોર્ટ: અમદાવાદમાં માત્ર અમદાવાદ શહેરના નાગરિકોને જ દાખલ કરવાનો નિર્ણય કઈ રીતે થઈ શકે? શું અમદાવાદ ગુજરાત રાજ્યનો હિસ્સો નથી?
અમદાવાદ મ્યુનિએ 29 એપ્રિલે નિર્ણય લીધો કે, હવે દર્દી પાસે આધાર કાર્ડ મગાશે નહિ. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં બહારના દર્દીઓને દાખલ કરી શકાશે.

28 એપ્રિલ: આખરે હોસ્પિટલમાં ખાલી રિયલ ટાઇમ બેડની વિગતો દર્શાવાઈ
હાઇકોર્ટ: નાગરિકો દર્દીઓને લઈને અહીં-તહીં ભટકી રહ્યા છે, બેડની ઉપલબ્ધતા બાબતે રિયલ ટાઇમ અપડેટ ઓનલાઇન જાહેર કરો.
રાજ્ય સરકારે તમામ શહેરોને તે માટે સૂચના અાપી. મ્યુનિ.એ પણ આખરે 7 મેએ રિયલ ટાઇમ બેડ ઉપલબ્ધના ડેટા આપવાનું શરૂ કર્યું.

31 મે: ફાયર સેફ્ટી – બીયુ પરમિશન ન ધરાવતા એકમો સીલ કરવા પડ્યા
હાઇકોર્ટ: બીયુ પરમિશન કે ફાયર સેફ્ટી ન હોય તેવી તમામ ઇમારતોની યાદી તમામ શહેરો અને નગરપાલિકાઓ રજૂ કરે.
અમદાવાદ મ્યુનિ.એ બીયુ પરમિશન, ફાયર સેફ્ટી નહીં ધરાવતાં 1206 ઓફિસો, દુકાનો, હોટેલ, સ્કૂલો, રેસ્ટોરાં સહિતના એકમોને સીલ કર્યા.

21 એપ્રિલ: કેન્દ્રને રજૂઆત કરી 1 હજાર ટન ઓક્સિજનનો જથ્થો મેળવ્યો
હાઇકોર્ટ: શહેરમાં ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે. તેના માટે કેન્દ્ર કેટલો ફાળવે છે. તમામ શહેરોને કઈ રીતે સપ્રમાણ જથ્થો ફાળવાય તેની સ્થિતિ સ્પષ્ટ કરો.
સરકારે 24 એપ્રિલે કેન્દ્ર પાસેથી 1 હજાર ટન જથ્થો મગાવ્યો. મ્યુનિ.ની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લગાવાઈ. યોગ્ય સંચાલન માટે ટીમ બનાવાઈ.

6 એપ્રિલ: સરકારે 36 શહેરોમાં વેપાર-ધંધા બંધ રાખવાના આદેશ કર્યા હાઇકોર્ટ: માત્ર નાઇટ કર્ફ્યૂથી કોઈ પરિણામ આવી શકે તેમ નથી. લોકડાઉન કે 3થી 4 દિવસનો કર્ફ્યૂ લાવવાની જરૂર છે. સરકારે આખરે 5મી મેએ 36 શહેરમાં નાઇટ કર્ફ્યૂની સાથે માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો, વેપાર-ધંધા બંધ રાખવા આદેશ કરાયો.

13 એપ્રિલ: નાના શહેરો, જિલ્લા, તાલુકા કક્ષાએ RTPCR ટેસ્ટ શરૂ કરાયા
હાઇકોર્ટ: શહેરો જ નહીં પણ નાના ટાઉનમાં પણ RTPCR ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવો. કેટલાં શહેરમાં સુવિધા ઊભી કરો છો તેનું અપડેટ આપો.
સરકારે પીપીપી ધોરણે આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાવ્યા. નાનાં શહેરો, જિલ્લા-તાુલકા કક્ષાએ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાવ્યાં.

( Source – Divyabhaskar )