કોરોનાથી થયેલા મોત પર કેન્દ્રની ચોખવટ:સરકારે કહ્યું- ઓક્સિજનની ઉણપથી દેશમાં એક પણ મોત નથી થયું, રાજ્યોના રિપોર્ટનો આપ્યો હવાલો

કોરોનાથી થયેલા મોત પર કેન્દ્રની ચોખવટ:સરકારે કહ્યું- ઓક્સિજનની ઉણપથી દેશમાં એક પણ મોત નથી થયું, રાજ્યોના રિપોર્ટનો આપ્યો હવાલો

કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં જાણકારી આપી કે કોરોનાની બીજી લહેર દેશમાં કોઈનું પણ મોત ઓક્સિજનની ઉણપથી નથી થઈ. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રિપોર્ટ મુજબ કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ઉણપથી કોઈ પણ દર્દીનું મોત નથી નિપજ્યું.

માંડવિયાએ એમ પણ કહ્યું કે અમે કોઈ રાજ્યને કોરોનાથી જોડાયેલા આંકડામાં છેડછાડ કરવાનું દબાણ કર્યું ન હતું. કેન્દ્ર સરકારનું કામ માત્ર ડેટાને રાજ્યોમાંથી એકઠાં કરીને પબ્લિશ કરવાનું છે. અમે ક્યારેય કોઈ રાજ્યના ડેટા સાથે છેડછાડ કરવાનું નથી કહ્યું. આવું કરવાનું કોઈ કારણ પણ નથી. મુખ્યમંત્રીની સાથે બેઠકમાં વડાપ્રધાને આજ વાત કરી હતી.

માંડવિયાએ કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ પર જવાબ આપી રહ્યાં હતા. વેણુગોપાલે ગૃહમાં સરકારને સવાલ કર્યો કે રસ્તા અને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ઉણપને કારણે આવું થયું છે.

સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યસભામાં વેક્સિન અને ઓક્સિજનને લઈને પણ જાણકારી આપી. માંડવિયાએ કરી મોટી વાત

  • રાજ્ય 15 દિવસ પહેલાં વેક્સિનના સ્ટોકની જાણકારી આપી. તે મુજબ વેક્સિનેશન માટે યોજના બનાવી.
  • સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનના 11-12 કરોડ ડોઝ દર મહિને મળી રહ્યાં છે.
  • ભારત બાયોટેક ઓગસ્ટમાં પોતાની કોરોના વેક્સિન કોવેક્સિનની 3.5 કરોડ ડોઝની સપ્લાઈ કરશે.
  • દેશની વધુ એક કંપની ઝાયડસ કેડિલાએ પોતાની DNA આધારીત વેક્સિનના ઈમરજન્સી યુઝ માટે અરજી કરી છે.
  • કોરોનાની ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત નહીં કરે, એવું કહેવું યોગ્ય નથી.
  • ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેક બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરી રહ્યાં છે.
  • 1,573માંથી 316 ઓક્સિજન પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે, બાકીના ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થઈ જશે.

કેન્દ્ર સરકારે રાજ્યોને પૂરતી મદદ કરી
સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડોકટર ભારતી પ્રવીણ પવારે કહ્યું કે સ્વાસ્થ્ય વ્યવસ્થા રાજ્યોનો વિષય છે. જે બાદ પણ કેન્દ્ર સરકારે તેમની ઘણી મદદ કરી છે. તમામ રાજ્યો સુધી ઓક્સિજન સપ્લાઈ પહોંચાડવામાં આવી. ડૉ. ભારતીએ કહ્યું કે કોરોનાની પહેલી લહેરમાં રોજ 3,095 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી, જ્યારે બીજી લહેરમાં રોજ 9,000 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત પડી. કેન્દ્રએ રાજ્યો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે એક સારું ફ્રેમવર્ક તૈયાર કર્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રીએ ત્રીજી લહેર અંગે શું કહ્યું?
ત્રીજી લહેર અંગે ચર્ચા કરતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે 130 કરોડ લોકોની સાથે તમામ રાજ્ય સરકાર પણ સંકલ્પ લે કે આપણે દેશમાં ત્રીજી લહેર નહીં આવવા દઈએ. આપણો સંકલ્પ અને વડાપ્રધાન મોદીનું માર્ગદર્શન આપણને ત્રીજી લહેરથી બચાવી શકે છે.

આ સમય એકજૂથ થઈને કામ કરવાનો છે. કેન્દ્ર સરકારે કોઈ રાજ્યને એમ નથી કહ્યું કે તમે કામ કર્યું છે કે નથી. અમે આ મુદ્દે રાજનીતિકરણ નથી કરવા માગતા. માંડવિયાએ એમ પણ કહ્યું કે અમને દર મહિને સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડના 11-12 કરોડ ડોઝ મળે છે.