30 દેશનો ભારત પર ગંભીર આક્ષેપ:USમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો, લખ્યું, ‘ભારતમાં બિનહિન્દુ સાથે ધાર્મિક ભેદભાવ અને તેમની પર અત્યાચાર થાય છે, બાઈડેન સરકાર પગલાં લે’

30 દેશનો ભારત પર ગંભીર આક્ષેપ:USમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો, લખ્યું, ‘ભારતમાં બિનહિન્દુ સાથે ધાર્મિક ભેદભાવ અને તેમની પર અત્યાચાર થાય છે, બાઈડેન સરકાર પગલાં લે’

ભારતનો જવાબ- અમારે ત્યાં સ્વતંત્ર સુપ્રીમકોર્ટ છે, માનવ અધિકાર આયોગ છે, સ્વતંત્ર મીડિયા છે જે દેખરેખ રાખે છે

દુનિયાના 30થી વધુ સિવિલ સોસાયટી સંગઠનોએ ગુરુવારે ભારત સરકાર વિરુદ્ધ એક સંયુક્ત પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવમાં અમેરિકન વિદેશ વિભાગને અપીલ કરાઈ છે કે, ભારતને ધાર્મિક મામલામાં કંટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્ન -સીપીસી (વિશેષ ચિંતા ધરાવતા દેશો) કેટેગરીમાં મૂકવું જોઈએ. ભારતમાં બિનહિંદુઓ એટલે કે લઘુમતીઓ સાથે ધાર્મિક ભેદભાવ અને તેમનું ખુલ્લેઆમ ઉત્પીડન થઈ રહ્યું છે, જેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ.

કહેવાય છે કે, આ પ્રસ્તાવ અમેરિકામાં પહેલીવાર થયેલી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સમિટ દરમિયાન રજૂ થયો હતો. તેમાં સામેલ વિવિધ ધર્મના નેતાઓએ ભારત સરકારની ટીકા કરવાની સાથે બાઈડેન એડમિનિસ્ટ્રેશન પર પણ નિશાન સાધ્યું હતું. કોઈ પણ દેશને સીપીસીની યાદીમાં નાંખવાની મંજૂરી અમેરિકન વિદેશ મંત્રી તરફથી અપાય છે. કોઈ પણ દેશમાં ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના ગંભીર મામલા સામે આવે ત્યારે તેઓ આ‌વી મંજૂરી આપે છે.

જો અમેરિકન વિદેશ મંત્રી કોઈ દેશને આ પ્રકારની યાદીમાં નાંખે, તો તે અંગે અમેરિકન સંસદને પણ માહિતી અપાય છે. ત્યાર પછી અમેરિકન સંસદ આર્થિક અને બિનઆર્થિક પ્રતિબંધો થકી આવા દેશો પર ધાર્મિક સ્વતંત્રતા જાળવવા દબાણ કરે છે. જોકે, આ આરોપો ફગાવતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતમાં સ્વતંત્ર મીડિયા છે. ભારતની લોકતાંત્રિક, બંધારણીય વ્યવસ્થામાં સિવિલ સોસાયટી અને સ્વતંત્ર ન્યાયપાલિકા પણ છે. અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના માનવાધિકાર આયોગ છે, જે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનો પર દેખરેખ રાખે છે.

ડેમોક્રેટ સાંસદોએ ચિંતા વ્યક્ત કરી
અમેરિકામાં સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદે પણ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકાર સામાજિક અને રાજકીય કાર્યકરોને નિશાન બનાવી રહી છે અને અભિવ્યક્તિની આઝાદી વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા આયોજિત ‘ભારત મેં ધાર્મિક સ્વતંત્રતા: ચુનૌતિયા ઔર અવસર’ વિષય પર સામૂહિક ચર્ચામાં ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ એડ માર્કે કહ્યું કે, હું ભારતના 20 કરોડ મુસ્લિમો સહિત લઘુમતીઓના અધિકારોની સુરક્ષા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા મુદ્દે ભારે ચિંતિત છું. બીજી તરફ, સાંસદ મેરી ન્યૂમેને પણ આરોપ લગાવ્યો કે, છેલ્લા સાત વર્ષમાં ભારતમાં સેંકડો મુસ્લિમો પર ટોળાએ હુમલો કર્યો છે. આ ન્યાયની મજાક છે અને ડરામણું છે.